Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

જે વ્યકિતનો આત્મબોધ જાગ્રત થયો, જેણે સ્વયંનો સાક્ષાત્કાર કર્યો તેના માટે આ સમગ્ર અસ્તિત્વ એક પરિવાર બની જાય છે, એક સંબંધ ઉભો થાય છે.

જે દિવસે તમે સ્વયંને જાણશો, તે દિવસે એ વાત પણ અનુભવશો કે તમે આ વિરાટ અસ્તિત્વથી ભિન્ન નથી, પૃથક નથી, આ તમારો જ વિસ્તાર છે. અથવા તો તમે તેનું અંગ છો.... પરંતુ બન્ને જોડાયેલા છો.

આ એકાત્મભાવમાં તમે કઇ રીતે કોઇને હાનિ પહોંચાડી શકેા ? તમે કઇ રીતે હિંસા કરી શકો ? તમે કઇ રીતે કોઇને દુઃખ આપી શકશો? તમે કઇ રીતે કોઇ પણ સ્તર પર કોઇની પણ સાથે બળજબરી કરી શકશો? તે તો પોતાના જ પગ પર કૂહાડો મારવા જેવું થશે, તે તો પોતાની સાથે જ અત્યાચાર કરવા જેવું થશે.

જે વ્યકિત આત્મજ્ઞાનને ઉપલબ્ધ થાય છે તેને તે સત્ય પણ સમજાય છે કે અહીં દ્વૈત નથી, એક જ છે. અને તે ઐકયના બોધમાં દાયિત્વ સંભવેછે. પરંતુ તે દાયિત્વ તમારા કર્તવ્ય જેવું નથી. તમારે તો કર્તવ્ય કરવું પડે છે.

તે સર્વતંત્ર-સ્વતંત્ર અવસ્થામાં 'કરવું પડે' તેવી તો કોઇ વાત હોતી નથી. દાયિત્વ આપમેળે સંભવે છે.

હિમાલયની યાત્રા પર નીકળેલો સંન્યાસી બોજો લઇને ચઢતો હતો, જયારે પહાડી છોકરી પોતાના ભાઇને ઉંચકીને ચઢતી હતી. ત્યાં એક સંબંધ છે. આંતરસંબંધ ! જયાં પણ આંતરસંબંધ હોય ત્યાં બોજો કેવો ?

અને જે વ્યકિત સર્વતંત્ર-સ્વતંત્ર હોય તે તો સર્વ સાથે એક આંતરસંબંધથી જોડાઇ જાય. તે તંત્રથી મુકત થઇને સર્વ સાથે સંબંધિત થઇ જાય.

તંત્રમાં તો ઉપરથી થોપેલુ હોય છે-કાયદો કહે છે કે આમ કરો, નીતિ-નિયમ કહે છે કે આમ કરો. જો નહિ કરો તો ન્યાયાલય છે, ન્યાયાલયથી બચશો તો નર્ક છે.

જે વ્યકિતને એ જ્ઞાન કે હું તો આ વિરાટ સાથે એકરૂપ છું. આ વૃક્ષ પણ મારો જ વિસ્તાર છે. આ વૃક્ષમાં હું જ લીલાશરૂપે રહ્યો છું..તે વૃક્ષને નુકશાન પહોંચાડતા સંકોચ અનુભવશે.

તમે પૂછયું કે-ભારતીય વિચારધારા આત્મજ્ઞાનની સર્વતંત્ર-સ્વતંત્ર કહે છે. પરંતુ આશ્ચર્ય થાય છે કે આ પરમ સ્વતંત્રતામાં આટલું સુંદર અનુશાસન અને ગહન દાયિત્વ કઇ રીતે સંભવી શકે ? આ સ્થિતિથી અતિરિકત જો ફલિત થાય તો આશ્ચર્ય થવું જોઇએ.

પ્રાર્થના તો એક પ્રમાણીક, સત્ય મનોદશામાંથી જન્મવી જોઇએ, ગણીતમાંથી નહિ. પ્રેમ પણ એક પ્રામાણીક, સત્ય મનોદશા હોવી જોઇએ. ગણિત નહિ. અને આ રીતે તમારી સમગ્ર ભાવદશા પ્રામાણિક હોવી જોઇએ.

તમે અનુભવશો કે ધીરે ધીરે તમે ર્સ્વતંત્ર-સ્વતંત્ર થવા લાગ્યા અને તેમ છતાં તમારા જીવનમાં એક અપૂર્વ અનુશાસન પણ અવતરિત થયું.

સ્વતંત્રતા દ્વારા તમારામાં સ્વચ્છંદતા નહિ આવે સ્વતંત્રતા દ્વારા ત્યારે તમારામાં પરિપૂર્ણ દાયિત્વનો જન્મ થશે-એવું દાયિત્વ જેમાં કર્તવ્યભાવ જરા પણ નહિ હોય. એવું દાયિત્વ જેમાં પ્રેમની ધારા વહેતી હશે. પછી તો તમે ઉઠશો, બેસશો, ચાલશો...કંઇ પણ કરશો તે બધાંની પાછળ તમારા બોધનો દીવો પ્રજ્વલિત હશે.

અંતરમાં જ્યારે બોધનો દીવો પ્રજ્વલિત હોય તો પછી તમે જે કંઇ કરશો તેમાં તેનો પ્રકાશ પડશે. અંતરનો દીવો જો ઓલવાયેલો હશે તો પછી તમે જે કંઇ કરશો તેમાં તમારા અંધકારની છાયા પડશે.

અજાગ્રત વ્યકિત જો પુણ્ય કરે તો પણ તે પાપમાં પરિણમે છ.ે અને જાગ્રત વ્યકિત જેકંઇ કરશે તે પુણ્યમાં પરિણામશે કારણ કે જાગ્રતતા દ્વારા પાપ સંભવી જ ન શે.

સર્વતંત્ર-સ્વતંત્ર વ્યકિત તે જ છે. જેના અંતરમાં બોધનો પ્રકાશ ઝળહળી રહ્યો છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:15 am IST)