દક્ષ પ્રજાપતિની પુત્રી અને ધર્મરાજાની મહારાણી શ્રીમૂર્તિને બે પુત્રો હતા.
એકનુ નામ નર અને બીજાનું નામ નારાયણ બન્ને ભાઈઓ વચ્ચે અગાધ પ્રેમ. નર નાનો હતો અને નારાયણ મોટો હતો. માતા-પિતાની સેવામાં એકાગ્ર રહે.
પિતા ધર્મરાજા તો રાજકારભારમાં સમય વિતાવે એટલે તેનું લક્ષ બન્ને ભાઈઓ તરફ ઓછું રહેતુ હતુ પરંતુ માતા શ્રીમૂર્તિ પોતાના પુત્રોની માતૃપિતૃ ભકિતથી ખૂબ જ રાજી રહેતા હતા. પુત્રોના સદગુણોથી સંતુષ્ઠ થયેલ માતાએ એક દિવસ બન્ને ભાઈઓને કહ્યું, 'દિકરા તમે અમારી બહુ સેવા કરો છો, કોઈ દિવસ કાંઈ માંગતા નથી, આજે તો કંઈક માંગો..'
સદ્ગુણી મા-બાપના દિકરાઓ સંસ્કારી હોય છે એ બોલ્યા એવું તે શું કરીએ છીએ કે તમે અમારા પર આટલા બધા રાજી થયા છો ? વળી અહીં શંુ ખોટ છે? કે જેની અમે માંગણી કરીએ...?
'ના...ના... છતા કંઈક તો માંગો.. ! મારા સંતોષ ખાતર...!'
વિચાર કરીને કહ્યું તો અમને તપ કરવા જવાની ઈચ્છા છે તો તપ કરવાની રજા આપો.
સાંભળીને શ્રીમૂર્તિ હેબતાઈ ગઈ, માં શું કહે ? વચનથી બંધાઈ ગયા હતા. આશિર્વાદ આપીને તપ કરવાની અનુમતિ આપી.
નર નારાયણ હિમાલયમાં આવ્યા, બોરડીનું એક મજાનું વૃક્ષ જોયુ, તે ગમી ગયું. બન્ને ભાઈઓએ ત્યાં આસન જમાવ્યું. બોરડીનું બીજુ નામ બદરી છે. આ બદરી વૃક્ષ નીચે નર નારાયણ તપ કરવા લાગ્યા...!
તપથી ઈન્દ્રાસન ડોલવા લાગ્યું. રાજા ઈન્દ્ર તપસ્વીથી ખૂબ ગભરાય છે. તેને ઈન્દ્રાસનનું સિંહાસન સલામત લાગતું નથી નર-નારાયણની તપશ્ચર્યાથી તેને ભય લાગ્યો કે કયાંક ઈન્દ્રાસન આ તપસ્વીઓ લઈ લેશે.
ઈન્દ્રે યુકિત અજમાવી, તેમણે અપ્સરાઓને મોકલી, પણ આ અપ્સરાઓ તપસ્વીઓને ડગાવી શકી નહીં.
તપસ્વીઓ સમાધિ લગાવીને બેઠા હતા. અપ્સરાઓ તેની સમાધી ભંગ કરવા અનેક પ્રકારના પ્રયોગો કરતી હતી છતાં સમાધી ભંગ થતી ન હતી.
સમાધીનો સમય પુરો થતા નારાયણ સમાધી મુકત થયા, તેણે આંખ ઉઘાડી, આંખ ઉઘાડતા જ જાણે, કામદેવે ત્રીજુ લોચન ઉઘાડયું હોય તેવો પ્રકાશ ફેલાયો, અપ્સરાઓ ગભરાઈ ગઈ, બાળી કે બાળશે ?
અપ્સરા અને આખરે તો નારી એ બીચારીઓ તો ઈન્દ્રની આજ્ઞાને આધીન હતી.
નારાયણે અપ્સરાઓને જોઈ, ગભરાયેલી હરણી જેવી તેમની મનોદશા હતી. નારાયણને દયા આવી બોલ્યો દેવીઓ મારાથી ગભરાશો નહી તમે નિર્દોષ છો તે હું જાણુ છું એમ કહીને બદરી વૃક્ષની એક જ ડાળ તેની પાસે પડી હતી તે ઉપાડીને પોતાની જાંઘ પર ઘસી.
ડાળીથી ઘસાતી જાંઘમાંથી એક પછી એક સુંદરી નિકળતી હતી. એવી સુંદરીઓ કે જેને જોઈને અપ્સરાઓ તેના રૂપ અને સૌંદર્યનું અભિમાન ગળી જતુ હતું. જાંઘમાંથી એક અતિ સૌંદર્યવાન અપ્સરા નીકળી. નારાયણે ઈન્દ્રની અપ્સરાઓને કહ્યું, 'જુઓ અહીં રૂપ અને સૌંદર્ય તો મારી જાંઘમાં છે, તમે દુઃખી થાવ નહીં, ઈન્દ્રને કહેજો કે નારાયણે તમને અપ્સરા ભેટ આપી છે' એમ કહીને જે અતિ સ્વરૂપવાન અપ્સરાને કહ્યું 'ઉર્વશી દેવી તમે અપ્સરાઓ સાથે ઈન્દ્રલોકમાં જાઓ.'
ઉર્વશીને લઈને અપ્સરાઓ, ઈન્દ્રલોકમાં આવી. વાસનાનો કીડો સળવળ્યો, ઉર્વશીના રૂપને જોઈને ઈન્દ્ર ગાંડા થયા.. !! છતાં એ વિચારવા લાગ્યાં, જાંઘમાંથી અપ્સરા કાઢનારો તપસ્વી જેવો તેવો નહીં હોય. નક્કી હવે કળી કાળ આવી ગયો છે. ભગવાન નર-નારાયણ સ્વયં બદરી વૃક્ષ નીચે તપ કરતા હશે..!
ઈન્દ્રની ધારણા ખરી હતી. કળી કાળમાં ભગવાન શ્રી નારાયણે કૃષ્ણ અવતાર ધારણ કર્યો જ્યારે નર અર્જુનરૂપે અવતર્યોે જ્યારે અવતાર ધારણ કરવાનો સમય થયો ત્યારે બદરી વૃક્ષ નીચેથી નર નારાયણ તપશ્ચર્યા પૂર્ણ કરી, સ્વધામ જવા તૈયાર થયા. એ વખતે બદરી વનના ઋષિઓએ નર નારાયણને એક જ સ્વરૂપે આ વનમાં નિવાસ કરવા પ્રાર્થના કરી. એ વખતે ભગવાન નારાયણે કહ્યુ 'મુનીઓ કળીયુગની કાળાશ દૂર કરવા માટે કૃષ્ણ બનવુ પડશે માટે તમે અહીં જે કુંડ છે. જેમા મારી મૂર્તિ છે. એ મૂર્તિને એક મંદિર બનાવીને તેમા પ્રતિષ્ઠા કરજો.
ભગવાન નારાયણના આદેશ મુજબ બદરી વનમાં પ્રભુની મૂર્તિ મંદિરમાં પધરાવી. પુરૂષોતમ માસમાં હિમાલયમાં નારાયણ મંદિર અને નારકુંડના દર્શન કરવાથી શ્રી ભગવાન નર નારાયણ સુફળ આપવા તત્પર રહે છે...!!
'ગંગા કાંઠે ખેતરે નમો નારાયણ,
વાવજો જમણે હાથ, હરિહર વાસુદેવાય...!
દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪