Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

શ્રાવણ શ્રધ્ધા બિંદુ

ભોળાનાથે ભકતને કહ્યું, તારૂ ચિત્ત શુધ્ધ થયું છે

તારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે

પ્રતિર, માતા ગંગાને પોતાની ભાવનાઓમાં વસાવી લેવા માંગતા અને તેના કણ કણમાં સ્વયંને વિલીન કરી દેવા માંગતા હતા. તેમના જીવનનો ઉદ્દેશ સંપૂર્ણપણે પવિત્રતા પ્રાપ્ત કરવાનો હતો. આ જીવનને એટલું પવિત્ર કરી દેવા માંગતા હતા કે તેમના હૃદયમાં ભોળાનાથ મહાદેવજી બીરાજી શકે.

પ્રતિર, માતા ગંગા અને દેવાધિદેવ મહાદેવ પ્રત્યે અનન્ય ભાવ ધરાવતા હતા.

મહાદેવજીની આરાધના માટે તેમણે ગંગા તટ એટલા માટે પસંદ કર્યો હતો કે માતા ગંગા તેમને પવિત્રતા પ્રદાન કરે. ગંગા જળનું પાન કરીને તેઓ તપસ્યા કરવા માંગતા હતા.

પ્રતિરે એવું પણ સાંભળ્યુ હતુ કે, ગંગાજીના કિનારે રૂદ્રાભિષેક કરવાથી હજાર ગણો લાભ મળે છે. ચિત્ત પાવન અને નિર્મળ બની જાય છે.

આથી ગંગાજીમાં સ્નાન કરવુ, ગંગાજીની રેતીથી પાર્થિવ શિવલીંગ નિર્માણ કરવુ પછી તેનુ બીલીપત્ર ધતુરો, આંકડો વગેરેથી પૂજન કરવું. પ્રતિરનો આ નિત્યનો નિયમ બની ગયો હતો. પૂજન બાદ પાર્થિવ શિવલીંગને ગંગાજળમાં વિસર્જીત કરી દેતા.

બાકીના સમયમાં તેઓ દિન-રાત ઓમ નમઃ શિવાય.. ઓમ નમઃ શિવાય.. નામનો જપ કરતા રહેતા. ધીરે ધીરે તેમની દિનચર્યા અને રાત્રી ચર્ચા શિવમય થતી ગઈ..!

તેમના આહારમાં શરૂમાં બે વખતનું ભોજન હતુ પછીથી એક વખતમાં સીમીત થઈ ગયુ. એ પછી ફળ આહારમાં બદલાઈ ગયો. પછી તો ઘણા સમય સુધી તેમનો આહાર બીલ્વ ફળ અથવા બીલીપત્ર સુધી જ સીમીત રહ્યો. ધીમે ધીમે તેનુ મન સ્થિર અને એકાગ્ર થવા લાગ્યું. તપની આ ત્વરા તીવ્રતા, તલ્લીનતા અને તન્મયતાને કારણે તેમનુ મન બહારના ઘટનાક્રમોમાંથી હટવા લાગ્યું. ભકિતએ ફળ જેવી છે. જે પાકી જતા ડાળી પરથી આપોઆપ પડી જાય છે અને ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા દોડતા તેની પાસે આવે છે.

ભકતની ભકિતથી ભોળાનાથ મહાદેવ પ્રસન્ન થયા. તેમણે કહ્યુ તારી ભકિતથી હું અતિ પ્રસન્ન છું, માંગ તારે શું જોઈએ ?... ! ત્યારે આ તપસ્વી ભકતે કહ્યું હે, પરમ પદ આપનાર અવનીશ ! હે દેવોના દેવ મહાદેવ જો આપ મારા પર પ્રસન્ન હો તો વરદાન આપો કે હું સદા સર્વદા આપના અને માતાના ચરણ કમળોથી કયારેય દૂર થાવ નહીં. હે ! પ્રભુ મારે સંસાર જોઈતો નથી. મને તો જોઈએ આપ આપને આપ જ. એના વિના મારા માટે બધુ અસાર છે.

આ સાંભળીને ભગવાન ભોળાનાથે કહ્યું, વત્સ, તે અતિશય કઠોર તપ કર્યુ છે અને તે જે કર્યુ છે તે તારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. કઠોર તપથી ચિત્ત શુદ્ધ થયુ અને આજે તું સંપૂર્ણપણે મુકત થઈ ચૂકયો છે. તારી મનોકામના અવશ્ય પુરી થશે.

ઓમ શિવ ઓમ શિવ પરાત્પરા શિવ,

ઓમ કારેશ્વર તવ શરણમ્

ઓ હેમ શિવશંકર ભવાની શંકર

ઉમા મહેશ્વર તવ શરણમ્... ઓમ...

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:46 am IST)