Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પ્રેમ પ્રિયતમાથી પરમાત્મા સુધીની સફર

પ્રેમી ધન નથી કમાઇ શકતો, કમાઇ લે, તો બચાવી નથી શકતો, એક તો પ્રેમીને કમાવવું મુશ્કેલ થશે, કારણ કે તેનામાં હજાર કરૂણાઓ જાગશે. કોઇની પાસેથી વધારે પણ નહીં લઇ શકે. છેતરી પણ નહીં શકે. જેના હૃદયમાં પ્રેમ છ, તે બહુ-બહુ તો પોતાના પૂરતું કમાઇ લે. એટલું પણ થાય તો ઘણું ! ધન ભેગું કરવા માટે તો, છાતીમાં હૃદય નહીં, પથ્થર હોવો જોઇએ. ધન પ્રેમની હત્યા કરીને ભેગું થાય છે.

જે વ્યકિત પ્રેમને ઉપલબ્ધ થયો છે, તે જેટલો પ્રેમ આપશે એટલો સુખી થશે. એટલો બીજાને સુખી જોશે. તેના દ્વારા કોઇને દુઃખની કોઇ સંભાવના નથી. કારણ કે બીજાને દુઃખ દેવામાં તે પોતે જ દુઃખી થઇ જવાનો છે. પ્રેમપૂર્ણ ચિત્તનો અર્થ જ એ છે કે ત્યાં બીજાનું દુઃખ દુખી કરે છે, બીજાનું સુખ સુખી કરે છે.

પ્રેમ એક હાર્દિક ઘટના છે, ન તો તેની કોઇ પ્રમાણિક વ્યવસ્થા છે; ન કોઇ વિધિ છે, ન કોઇ તંત્ર છે, ન કોઇ મંત્ર છે. પ્રેમ એક હાર્દિક ભાવ છે. પ્રાર્થના એક હાર્દિક ભાવ છે. તેને શીખવવાનો કોઇ ઉપાય નથી. બધા ધર્મ શીખવવાની કોશિશ કરી રહ્યા છે, એટલે લોકો અધાર્મિક થઇ ગયા છે.

આપણાં બધાનો આગ્રહ તો એ જ હોય છે, કે પ્રેમ એક સાથે હોય. કયાંય વહેંચાઇ ન જાય. આપણે પ્રેમને નથી સમજતા, એટલે આપણે એમ પણ માનીયે છીએ કે જો પ્રેમ વહેંચાઇ જશે, તો મારા માટે ઓછો થઇ જશે. પ્રેમ જેટલો ફેલાય છે, એટલો વધે છે. પ્રેમ જેટલો વહેંચાય છે, એટલો વધે છે, જો હું પ્રેમપૂર્ણ છું, તો એક પ્રત્યે જ પ્રેમ-પૂર્ણ નથી થઇ શકતો. પ્રેમપૂર્ણ હોવું મારો સ્વભાવ થઇ જશે. હું અનેક પ્રત્યે પ્રેમપૂર્ણ થઇ શકીશ.

પ્રેમ પરમાત્માનું ઉપલું રૂપ છે. ત્યાં શીખવાની છે  પ્રાર્થના. જેણે શીખી લીધી, તે પછી ગહરાઇમાં જશે. જેની પછી કોઇ સીમા જ નથી, તેમાં જઇ શકાય છે. જો તમે પ્રેમમાં કુશળ થઇ ગયા છો, તો પરમાત્મા દૂર નથી. જેટલી તમારી કુશળતા પ્રેમમાં છે, તેટલો પરમાત્મા નજીક આવે છે.

પ્રેમની પરાકાષ્ઠા ત્યારે જ છે, જયારે જ્ઞાન બિલકુલ શુન્ય થઇ જાય, ન દ્રશ્ય રહે, ન દ્રષ્ટા રહે, ન જ્ઞાતા, ન જ્ઞાની, એ જ વ્યકિત પરમાત્મા સાથે એક થઇ જાય છે. પ્રેમથી મધુર આ સંસારમાં કાંઇ જ નથી.પ્રેમ તો મધુશાલા છે, માદક છે. પરંતુ પ્રેમને પીવાની તૈયારી અતિ કઠિન છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(9:21 am IST)