Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

નોરતુ ૬ ઠુ : યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

મા બાળકના અવગુણોને ક્ષમ્ય કરે છે

શ્રધ્ધા અને ભકિતની દ્રષ્ટિએ જોઇએ તો ભગવતી મા શકિતની ઉપાસના અકલ્પ સુખને પ્રાપ્ત કરાવનારી છે.

ભગવતી મા ની ઉપાસના સર્વમાન્ય છે તે નિર્વિવાદ છે. ભગવતીની અદ્વેત શકિતની પરમ દયા છે અને તેમની જ કૃપા છે.

એકજનિરંજન નિરાકાર મહાશકિતને કોઇ બ્રહ્મ, કોઇ તત્વ, અથવા શકિત એમ અનેક સ્વરૂપે કલ્પે છે.

નિરાકાર બ્રહ્મથી સૃષ્ટિ પર સાકાર સ્વરૂપે અવતાર ધારણ કરી ચુકેલા અવતારો એ પણ પરમાત્મા શકિતમાની સાકાર સ્વરૂપમાં સ્તુતિ પૂજા કરેલ છે.

ભગવાન વિષ્ણુએ પણ પૃથ્વી પર રહીને ભગવતી શકિતમાની સ્તુતિ અને ઉપાસના કરી હતી તેમણે મધુ- કૈરભના ત્રાસથી મુકત થવા યુધ્ધ કરતાં મા ભગવતીની પ્રાર્થના કરી હતી. વિષ્ણુની સ્તુતિમાં ભગવતીમાંનું પૂર્ણ સામર્થ્ય અને બ્રહ્મશકિતનું એક  અદ્વેત સ્વરૂપ વર્ણવ્યું છે. વિષ્ણું ભગવાન પોતે જ પોતાના કરતાં ભગવતી માને શ્રેષ્ઠભાવે સ્તુતિ કરે છે. ન તે રૂપ વિનીનામિ સગુણ નિર્ગુણ તથા ચરિત્રાણી કુતો દેવી સંખ્યાતીતાની યાની ે તે!

હે માં! હું સગુણ કે નિર્ગુણ સ્વરૂપને જાણતો નથી, તો હે દેવી! તારામાં જે અસંખ્ય ચરિત્રો છે, તેઓને તો હું કયાથી જાણું....

મા બાળકના અવગુણોને અપરાધની દ્રષ્ટિથી નહી જોતાં અક્ષમ્ય ક્ષમ્ય કરે છે, તેમ શકિતના સ્વરૂપને માત્ર પ્રકૃતિની દ્રષ્ટિથી જ જો વિચારી હશે તો ત્યાં માત્ર શકિતનું સ્થુળ વર્ણન દ્રષ્ટિગોચર થાય, પરંતુ શકિતએ માત્ર જડ બ્રહ્મમાં રહેલ કોઇ સંહારક તત્વ નથી, પરંતુ તે તો વિશ્વજનની છે એ ભાવે મા શકિતની આરાધના સ્તુતી કરવી આવશ્યક છે.

શંકરાચાર્યજીએ કહ્યું છે '' કુ પુત્રો જાયેત, કવચિદપિ કુમાતા ન ભવતિ''! એ અનુસાર ભગવતી માં એ સર્વ કાર્ય કર્યુ છે અને એટલેજ મા ના વિશાળ વિશ્વ માતૃત્વનો ભાવ સિધ્ધ થાય છે. દૈત્યના સંહારથી સંસારમાં ઉલ્લાસ છવાઇ ગયો....!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(8:49 am IST)