યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના સભ્યોએ અન્નકુટ મહોત્સવની કરેલી શાનદાર ઉજવણી : વીલીંગ ટાઉનમાં આવેલ સ્વામી નારાયણ મંદિરમાં થયેલ ભવ્ય ઉજવણી : વામાન ઠંડુગાર અને સ્નો પડતો હોવા છતાં ર૦૦ જેટલા સભ્યોએ આપેલ હાજરીઃ સંસ્થાના નવયુવાન સભ્યો કનુભાઇ પટેલ તથા મનુભાઇ પટેલે અન્નકુટની વ્યવસ્થિત રીતે કરેલી સજાવટઃ પ્રમુખ રમણીકભાઇ પટેલ, પદ્યુમન પાઠક, તથા રમેશ ચોકસીએ પ્રવચનો કર્યા
(કપિલાશાહ દ્વારા) શિકાગો :ડેસપ્લેઇન્સ વિસ્તારમાં સીનીયરોના હિતાર્થે એક યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગો નામની સંસ્થા ચાલે છે. અને તેના સભ્યો વીલીંગ ટાઉનમા આવેલ સ્વામીનારાયણ મંદિરમાં દિવાળી પર્વની ઉજવણી નિમિતે ભવ્ય રીતે અન્નકુટનું આયોજન કર્યુ હતુ. આ પ્રસંગે હવામાન ઠંડુગાર હોવા છતાં તેમજ પુષ્કળ પ્રમાણમાં સ્નો પડતો હોવા છતા ર૦૦ જેટલા ભાઇ બહેનોએ હાજરી આપી હતી. સંસ્થાના નવયુવાન કાર્યકરો કનુભાઇ પટેલ, મનુભાઇ પટેલ, તેમજ વિરેન્દ્રભાઇ પટેલે અન્નકુટની સુંદર સજાવટ કરી હતી અને પ્રસંગને સુંદર રીતે દિપાવ્યો હતો.
અન્નકુટ મહોત્સવની ઉજવણીની શરૂઆતમાં પન્નાબેન જોશી તેમજ પુર્ણીમાબેન ભટેૃ પ્રસંગ અનુસાર સુંદર ભજનો રજુ કર્યા હતા. જેમા સંસ્થાના ભાઇ બહેનોએ જરૂરી સહકાર આપ્યો હતો. ત્યારબાદ સંસ્થાના સેક્રેટરી રમેશઇભાઇ ચોકસીએ સૌ સભ્યોને આવકાર આપી સંસ્થા દ્વારા જે વિવિધ પ્રકારની પ્રવૃતિ સીનીયરોના હિતાર્થે કરવામા આવે છે તેની આછેરી રૂપરેખા સમજાવી હતી. આખા વર્ષ દરમ્યાન સીનીયર ભાઇ બહેનો દ્વારા તમામ પ્રવૃતિઆમાં જે સહકાર આપવામા આવ્યો હતો તે બદલ તેમણે તમામનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે શિકાગો ક્રિમેશનના અગ્રણી ચંદ્રકાંત મોદી પણ હાજર રહ્યા હતા. અને તેમણે વ્યકિતની અંતિમ વિધિ પ્રસંગે જે વિવિધ પ્રકારની કાર્યવાહીઓ કરવાની હોય છે તેનો આછેરો ખ્યાલ આપ્યો હતો.
સંસ્થાના પ્રમુખ રમણભાઇ પટેલે પણ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં સૌ સભ્યોને દિવાળીના શુભ અવસરે સૌ સભ્યોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમણ સૌ સભ્યોને નવા વર્ષના સભ્ય થઇ જવા હાકલ કરી હતી.
અન્નકુટ જેવા પર્વની ઉજવણી પ્રસંગે લગભગ રપ જેટલા ભાઇ બહેનોએ સામુહિક રીતે આરતી કરી હતી. પ્રધુમન પાઠકે પણ દિવાળીના પર્વ નિમીતે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.
શરૂઆતમાં દિપપ્રાગટયની વિધી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના અગ્રણીઓએ ભાગ લીધો હતો. સ્વામીનારાયણ મંદિર દ્વારા પુરૂ પાડવામા આવેલ ભોજનનો સ્વાદ લઇ સૌ વિખુટા પડયા હતા. આ પ્રસંગે પ્રસાદની વહેચણી પણ કરવામા આવી હતી. અને વધારાનો પ્રસાદ નર્સીગ હોમમાં દર્દીઓને આપવામાં આવ્યો હતો.