કુવૈતે ભારતીય નાગરિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો
પ્રતિબંધ બાદ ૮ લાખ લોકો પર સંકટના વાદળો : આ નિર્ણયથી તે હજારો લોકોની નોકરીઓલ જતી રહેશે જે ભારત જઈને ત્યાં મહામારીને કારણે ફસાઈ ગયા છે
નવીદિલ્હી, તા.૩૧ : કુવૈતએ કડક પગલાં ભરતાં હાલ દેશમાં ભારતીય નાગરિકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગુરુવારે કુવૈત સરકારે જાહેરાત કરી કે ૧ ઓગસ્ટથી ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈરાન અને ફિલિપાઇન્સથી આવનારાને બાદ કરતાં અન્ય દેશોમાં રહેનારા કુવૈત નાગરિક અને પ્રવાસી અવર-જવર કરી શકે છે. કુવૈતે જાહેરાત કરી છે કે ૧ ઓગસ્ટથી સાડા ત્રણ મહિનાથી બંધ આંતરરાષ્ટ્રીય પ્લેન સેવાઓમાં પણ શરૂ કરી દેવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રાલયને ભારતીય નાગરિકો પર મૂકવામાં આવેલી પાબંધીની જાણકારી છે અને તેઓ આ મામલે પ્રશાસનિક સ્તરે ઉકેલ શોધવાનો પ્રયાસો કરી રહ્યા છે. 'અરબ ન્યૂઝલ્લના રિપોર્ટ મુજબ, ઈન્ડિયા કમ્યૂનિટી સપોર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજપાલ ત્યાગીએ જણાવ્યું કે આ નિર્ણયથી તે હજારો લોકોની નોકરીઓલ જતી રહેશે જે ભારત જઈને ત્યાં મહામારીને કારણે ફસાઈ ગયા છે. આવા અસંખ્ય પરિવાર છે જેમના કેટલાક સભ્યો કુવૈતમાં રહી ગયા છે અને કેટલાક ભારત જઈને ફસાઈ ગયા છે.
હવે તેઓ કુવૈત પરત આવવા માંગે છે. તેઓએ કહ્યું કે, રજાઓ પર ગયેલા લોકો પરત નથી પહોંચતા તો તેમની નોકરીઓ જઈ શકે છે. ઘણા બધા લોકોના વીઝા ખતમ થવાના છે અને આગળ કુવૈતનું આવું વલણ રહ્યું તો તે રિન્યૂ નહીં કરવામાં આવે. નોંધનીય છે કે, કુવૈતની સરકારે ભારતીય કામદારો માટે એક મોટો નિર્ણય લીધો છે. કુવૈતની સરકારે એક નવો મુસદ્દો તૈયાર કર્યો છે જેમાં વિદેશી લોકોને દેશમાં કામ કરવાની મંજૂરી સંબંધિત કેટલાક નવા નિયમ બનાવવામાં આવી રહ્યા છે. ભારતીય કામદારો માટે રાહતની વાત એ છે કે આ પ્રસ્તાવિત કાયદા હેઠળ કુવૈતમાં કામ કરનારા ભારતીય લોકો માટે ૧૫ ટકાનો કોટા નક્કી કરવામાં આવ્યો છે. જોકે આ કાયદો લાગુ થયો તો લગભગ ૮.૫ લાખ ભારતીયોને પરત સ્વદેશ ફરવું પડશે.