‘‘પાકિસ્તાની આતંકવાદી મુર્દાબાદ, ભારત માતા કી જય, વંદે માતરમ'': અમેરિકાના મેનહટનમાં આવેલા પાકિસ્તાનના વાણિજય દૂતાવાસ સામે દેખાવોઃ ન્યુયોર્ક તથા ન્યુજર્સીમાં વસતા ૨૦૦ ઉપરાંત ઇન્ડિયન અમેરિકન નાગરિકોએ પુલવામાં હુમલા વિરૂધ્ધ રોષ વ્યક્ત કર્યો
મેનહટનઃ અમેરિકાના મેનહટનમાં આવેલા પાકિસ્તાનના વાણિજય દૂતાવાસ ખાતે ન્યુયોર્ક તથા ન્યુજર્સીમાં વસતા ૨૦૦ ઉપરાંત ઇન્ડિયન અમેરિકન નાગરિકોએ શુક્રવારે દેખાવો કર્યા હતા. તથા ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલા પુલવામાં ખાતે પાકિસ્તાનમાં અડ્ડો ધરાવતા આતંકવાદી સંગઠન જૈસએ મહમ્મદના આતંકી હુમલાનો સખત વિરોધ નોંધાવી ત્વરિત કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. આ આત્મઘાતી હુમલાથી ભારતીય CRPFના ૪૦ જવાનો શહીદ થવા બદલ દુઃખ તથા રોષની લાગણી વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. તથા આ આતંકવાદી સંગઠન વિરૂધ્ધ પાકિસ્તાન સરકાર ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી.
દેખાવકારોએ હાથમાં ભારત તથા અમેરિકાના રાષ્ટ્રધ્વજ રાખ્યા હતા. તથા ભારત માતા કી જય, વંદે માતરમ પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાની આતંકવાદી મુર્દાબાદ, સહિતના નારાઓ લગાવ્યા હતા.
વિરોધ વ્યક્ત કરતી રેલીને OFBJPના શ્રી ક્રિશ્ના રેડ્ડી અનુગૂલા, ઇન્ડિયન પબલીક અફેર્સ કમિટીના શ્રી જગદીશ સેહવાની તથા શ્રી ગણેશ રામક્રિશ્નન, સહિતનાઓએ સંબોધન કર્યુ હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.