ઇન્ડિયન અમેરિકન રઘુનંદનને ‘સજા એ મોત'ની તારીખ વધુ એક વાર મુલતવીઃ ડબલ મર્ડર આરોપી રઘુનંદનને ૨૩ ફેબ્રુ.ના રોજ લેથલ ઇન્જેકશન આપવાનું હતું
પેન્સીલ્વેનિઆઃ યુ.એસ.માં સૌપ્રથમવાર સજાએ મોતનો ચૂકાદો જે ઇન્ડિયન અમેરિકન રઘુનંદન યંદાપુરી માટે આપવામાં આવ્યો હતો તેને લેથલ ઇન્જેકશન આપવાનું નક્કી થયું હતું. પરંતુ આ માટેની તારીખ ૨૦૧૫ની સાલથી અવારનવાર મોકૂફ રાખવાાં આવે છે. જે મુજબ ગઇકાલ ૨૩ ફેબ્રુ. ૨૦૧૮ની તારીખ પણ ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
કદાચ આ વ્યક્તિની મોતની સજા આજીવન કેદમાં ફેરવી શકાય છે કે કેમ તેવું પેન્સીલ્વેનિઆ બોર્ડ ઓફ પાર્ડન્સ દ્વારા વિચારાઇ રહ્યું હોવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે રઘુનંદનએ ૨૦૧૨ની સાલમાં માસુમ બાળકી સાનવીનું અપહરણ કરવાની યોજના બનાવી હતી.જેનો હેતુ ૫૦ હજાર ડોલરની ખંડણી પડાવવાનો હતો. પરંતુ તેમા બાધારૂપ થનાર બાળકીના દાદીમા સત્યવતીની હત્યા કરી નાખી હતી. બાદમાં બાળકી પણ મૃત્યુ પામી હતી. આમ ડબલ મર્ડરના આરોપસર તેને ૨૦૧૫ની સાલમાં મોતની સજા ફરમાવાઇ હતી.