એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 23rd April 2019

ભગવી લહેર... NRI ટીમે ગુજરાત ખુંદયું

મોદી સરકારની યોજનાઓથી લોકો ખુશઃ ડો.વાસુદેવ પટેલ : મોદીજીના શુધ્ધ-સક્ષમ નેતૃત્વને લોકોની મહોરઃ હિતેશ વ્યાસઃ આતંકને ધ્રુજાવે તેવી મોદી સરકારઃ ભાવિક ભટ્ટ

ડો.વાસુદેવ પટેલ (અમેરીકા), હિતેશ વ્યાસ (ન્યુઝીલેન્ડ), ભાવીક ભટ્ટ (દુબઇ) નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૩: આજે મતદારો ભારતનું ભવિષ્ય ઘડી રહયા છે. લોકસભાની ચૂંટણી માટે મતદાન થઇ રહયું છે. મતદારો આગામી સરકારનું નિર્માણ કરે છે. વધારેમાં વધારે મતદાન થાય અને રાષ્ટ્રના હિતમાં મતદાન થાય એ ઉદ્દેશથી બિન નિવાસી ભારતીયોએ ગુજરાત ધમરોળ્યું હતું. વિશ્વભરમાં પથરાયેલા ભારતીયો સ્વદેશ આવ્યા છે અને મતદાર જાગૃતી માટે કામ કર્યુ હતું.

'અકિલા'ની મુલાકાતે આવેલી એનઆરઆઇ ટીમે ગુજરાતભરમાં પ્રવાસ કરીને તારણ કાઢયું હતું કે રાજયમાં ભગવી લહેર ફેલાયેલી છે. મોદી સરકારથી લોકો સંતુષ્ટ છે અને આગામી પાંચ વર્ષ માટે ફરી મોદી સરકાર રચાય તે માટે લોકો મતદાન કરી રહયા છે.

યુએસએથી ડો. વાસુદેવ પટેલ, ન્યુઝીલેન્ડથી હિતેશ વ્યાસ, દુબઇથી ભાવીક ભટ્ટ ટીમ સાથે ગુજરાત આવ્યા હતા. 'અકિલા' સાથે વાતચીત કરતા ડો.વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, મોદીજીએ રાષ્ટ્ર માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી. લોકકલ્યાણની અભુતપૂર્વ યોજનાઓ સક્રિય કરી છે. લોકો સંતુષ્ટ છે અને ખુશ છે. ગુજરાતમાં ભગવી લહેર બરકરાર છે.

ડો. વાસુદેવ પટેલ મૂળ મહેસાણા પંથકના પાટીદાર છે અને ૩પ વર્ષથી અમેરીકામાં સ્થાયી થયેલા છે. તેઓ પેઢીઓથી આર.એમ.એસ. સાથે સંકળાયેલા છે.

આ રીતે મૂળ અમદાવાદના અને બે દાયકાથી ન્યુઝીલેન્ડ સ્થાયી થયેલા હિતેશ વ્યાસ પણ સંઘના ચુસ્ત સ્વયંસેવક છે. તેઓ પણ દિવસોથી ગુજરાતભરમાં ઘુમીને ભાજપ તરફી મતદાર જાગૃતીનું કાર્ય કર્યુ હતું. શ્રી વ્યાસે જણાવ્યું હતુ કે, મોદીજીના શુધ્ધ-સક્ષમ નેતૃત્વ પર લોકોએ મહોર મારી છે.

મૂળ વડોદરાના અને એક દાયકાથી દુબઇ સ્થાયી થયેલા ભાવીકભાઇ ભટ્ટ પણ વતનપ્રેમ અને સંઘના સંસ્કાર ભૂલ્યા નથી. તેઓએ પણ ગુજરાતભરમાં પ્રવાસ કરીને મતદાર જાગૃતીનું કામ કર્યુ હતું. ભટ્ટજીએ કહયું હતું કે ભારતને મજબુત અને આતંક સામે લડનારી સરકારની જરૂર હતી. મોદી સરકારે આતંકીઓને ઘરમાં ઘુસીને માર્યા છે. આવી સરકારને લોકો પસંદ કરી રહયા છે.

એનઆરઆઇ ટીમ ગુજરાતભરમાં ઘુમી હતી. સમાજના વિવિધ વર્ગોનો સંપર્ક કર્યો હતો.

હાર્દિક પટેલ અંગે વાસુદેવભાઇ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકની સમસ્ત પાટીદારોમાં પહેલેથી જ કોઇ વેલ્યુ ન હતી. પ્રારંભ થોડા યુવાનો ભોળવાયા હતા. પરંતુ હાર્દિકની અસલીવૃતિ છતી થતા હવે તેની સાથે કોઇ નથી. હાર્દિકે સમાજને ખુબ નુકશાન કર્યુ છે.

(4:03 pm IST)