એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 18th July 2018

સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં જય રણછોડ માખણ ચોરના નારા સાથે લંડનના રાજમાર્ગ પર નીકળેલ ભવ્ય રથયાત્રા

       લંડન તા.૧૭ SGVP ગુરુકુલ પરિવાર - યુ.કે. દ્વારા SGVP અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાનિધ્યમાં રથયાત્રાનું અનોખું આયોજન થયું.

        શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - નોર્થહોલ્ટ, લંડન ખાતે આયોજીત હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર અંતર્ગત રથયાત્રા મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

        અષાઢ સુદ બીજના પવિત્ર દિને મંગલ પ્રભાતે સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીના વરદ્ હસ્તે ભગવાન શ્રીજગન્નાથજી, બહેન સુભદ્રાદેવી તથા ભાઈ બલરામજીનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું.

        આ મંગલ પ્રસંગે લંડનના ભાવિક ભક્તજનો ઘરે ઘરેથી સૂકોમેવો લાવ્યા હતા, જેને અન્નકૂટની જેમ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો.

        સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીએ રથયાત્રાનો દિવ્ય મહિમા સમજાવ્યો હતો. સ્વામીશ્રીએ ભગવાન શ્રીકૃષ્ણ વિશે રાધાજીના નિર્મળ પ્રેમની કથાઓ કહી હતી. રાધાજીના પ્રેમની કથાઓ સાંભળતા સાંભળતા ભગવાન, બલરામજી અને સુભદ્રાદેવીના પીગળેલા સ્વરૂપો પ્રેમના પ્રતિક સ્વરૂપે જગન્નાથપુરીમાં બિરાજે છે. જે ભક્તને દર્શન આપવા માટે અષાઢ સુદ બીજના દિને રથમાં બિરાજીને નગરમાં વિહાર કરે છે.

        રથયાત્રાનો સવિસ્તાર મહિમા કહ્યા બાદ સ્વામીશ્રીએ ઠાકોરજીની આરતી કરી હતી.

        સંતોએ ઠાકોરજીને પ્રેમથી ઝુલાવતા ઝુલાવતા રથમાં બિરાજમાન કર્યા હતા. આજના દિને સુભદ્રાબહેનની સાથે ભગવાન બિરાજમાન હોવાથી રથમાં બિરાજમાન શ્રીજગન્નાથ ભગવાનની રથ પ્રસ્થાનની આરતી બહેનોએ કરી હતી.

        જ્યારે સ્વામીજીના વરદ્ હસ્તે પહિંદ વિધી થયા બાદ વૈદિક મંત્રોના ગાન સાથે શ્રીફળ વધેરીને રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારે ઢોલીઓના ઢોલના ઢબકાર અને 'જય રણછોડ...માખણ ચોર', 'ગોવિંદા...ગોવિંદા'ના દિવ્ય નાદથી ગગન ગુંજી ઉઠ્યું હતું. ભાવિક ભાઈ-બહેનોએ ઠાકોરજીનો રથ ખેંચીને ભગવાનને વિશાળ કેમ્પસમાં વિહાર કરાવ્યો હતો.

        રથયાત્રાના અંતિમ ચરણમાં ભક્તજનોએ ખૂબ જ પ્રેમથી રાસ લીધો હતો જ્યારે સ્વામી માધવપ્રિયદાસજીએ વૈદિક મંત્રોના ગાન સાથે પુષ્પવૃષ્ટિ દ્વારા ભગવાનની રથયાત્રાનું ભવ્ય પૂજન કર્યું હતું.

        આરતી કર્યા બાદ રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરીને સૌ ભક્તજનોએ હર્ષનાદથી જય જયકાર કર્યા હતા.

 

(3:22 pm IST)