એન. આર. આઈ. સમાચાર
News of Friday, 22nd November 2019

કંપાલા - યુગાન્ડામાં યોગીન્દ્રવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૧૨ મી ભાગવતી મહાદીક્ષા જયંતી ઉજવાઇ...

યોગીરાજ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાને આજે સં.૧૮૬૪ કારતક વદ ૮ ના શુભ દિને શ્રી હરિએ ગઢપુરમાં ભાગવતી મહાદીક્ષા આપી હતી.

ગર્ભસિદ્ધ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીબાપા આ સંપ્રદાયના એક મહાન યોગીપુરુષ હતા.યોગી તરીકે તેમની શક્તિ સૂર્ય-ચંદ્રની ગતિમાં પણ ફેરફાર કરી શકતી.અનેક ઐશ્વર્યોના સ્વામી હોવા છતાં શ્રીહરિનું દાસત્વ તેમની આગવી છાપ હતી.

પ્રભાવશાળી વ્યક્તિત્વ,સતાવાહી આવાજ,ઉત્કૃષ્ઠ તત્વજ્ઞાન,વિપુલ સાહિત્ય સર્જન અને ગમે તેવા મન ભેદ કે મતભેદનો સરળ ઉકેલ શોધવાની વ્યવ્હાર દક્ષતાને કારણે સંપ્રદાયમાં બંન્ને દેશના ગાદિપતિ આચાર્યોના પણ ઉપરી તરીકે શ્રીહરિ દ્વારા નિયુક્તિ પામેલા યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાનું પ્રાગટ્ય સાબરકાંઠા જિલ્લાના ટોરડા ગામે રહેતા મોતીરામ ઠાકરને ઘરે માતા શ્રી કુશળબાની કૂખે વિ.સં.૧૮૩૭ મહાસુદ ૮ ને સોમવારે થયો હતો.

બાળપણથી જ સ્વામીના જીવનમાં અનેક પરચાઓ નોંધાયા છે.શામળાજી ભગવાન તેમની સાથે બાળરુપ ધારણ કરી રમવા આવતા.આ વાત પ્રસિદ્ધ છે.ગામમાં આવેલા માંત્રિકના શાલીગ્રામ ઘણાં પ્રયત્નો કરવા છતા માંત્રિકને મળ્યા નહતા એ પણ ખુશાલની યોગશક્તિનો જ પ્રભાવ હતો.

ખુશાલ ભટ્ટે પાઠશાળામાં વિપ્ર બટુકોને ભણાવવાનું શરુ કરેલું.થોડી ભણાવી,ઝાઝુ ભજન કરાવે.સમય જતા જેતલપુર આવ્યા.મહારાજને મળ્યા.મુક્તાનંદ સ્વામી પાસે રહીને રામાનુજ ભાષ્ય સહિત શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણ્યા અને અંતે દિક્ષા ગ્રહણ કરી "ગોપાળાનંદ સ્વામી"થયા.

સ્વામીએ સત્સંગના બંધારણને સ્થિર સ્વરુપ આપ્યુ.સ્વયં ઈશ્વર જેવું સામર્થ્ય ધરાવતા હોવા છતા શ્રીજી મહારાજના સંદેશ વાહક બનીને અવિરત વિચરણ કરતા રહ્યા.તેમની યોગશક્તિ અને ઐશ્વર્યના સ્વતંત્ર ગ્રંથો રચાય એટલા વિપુલ પ્રસંગો છે.

વૈદુષ્યની દુનિયામાં તેઓ બ્રહ્મસૂત્ર,ભગવદ્ ગીતા અને ઉપનિષદ્ ભાષ્યના કર્તા છે.યોગીઓના સમુહમાં તેઓ જગવંદ્ય યોગીરાજ કહેવાય છે. અપાર શક્તિ સામર્થ હોવા છતા તેમણે ક્યારેય પોતાના માટે તેનો ઉપયોગ નથી કર્યો. છતાં અવાર નવાર દુઃખી ભક્તોની પ્રાર્થનાથી તેમનું સંત હૃદય દ્રવી ઉઠતુ ત્યારે તેમના યોગ સામર્થ્યના વિજચમકારા જોવા મળતા.

સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાએ આશરે સાડાચાર દાયકઓ સુધી સત્સંગની સેવા બજાવી છે.શ્રીજી મહારાજ અતંર્ધાન થયા પછી લગભગ ૨૨ વર્ષ સુધી સત્સંગને ફેલાવવા,સુદ્રઢ બનાવવા શિરછત્ર બન્યા હતા.

 

પૂર્વ આફ્રિકામાં "ધ જેવેલ ઓફ આફ્રિકા" થી સુપ્રસિદ્ધ યુગાન્ડા રાષ્ટ્રની રાજધાની કંપાલા શહેરમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ  સંત ભક્ત મંડળ સહ પધાર્યા છે. યુગાન્ડા - કંપાલા વિશ્વ પ્રસિદ્ધ મીઠા પાણીનું સરોવર વિક્ટોરિયા અને તેમાંથી  નીકળતી નાઈલ નદીના ખીણ પ્રદેશમાં આવેલું છે. કમ્પાલા એ પૂર્વ આફ્રિકામાં યુગાન્ડાની રાજધાની છે માટે એનું સૌન્દર્ય છે એમ નથી. એ શહેરનું પોતાનું વિશિષ્ટ રૂપ છે. સાત ટેકરીઓની વચ્ચે વસેલું આ શહેર સાત બહેનોમાં શોભતા એકના એક ભાઈ જેવું રમણીય લાગે છે. પ્રકૃતિના આ શહેર ઉપર ચારે હાથ છે. દિવસ આથમ્યો હોય, રાત પડી ન હોય અને સંધ્યાએ પાલવ પાથર્યો હોય ત્યારે આછા અંધકારમાં આ શહેર જંપેલા સપના સમું પડ્યું હોય છે. સાત ટેકરીઓની પેલી પારથી ઊતરીને જ્યારે રાત્રિ શહેરમાં આવે છે ત્યારે રોશની ઝબકી ઊઠે છે. રાત વીતીને જ્યારે પ્હો ફાટે છે ત્યારે જીવનની વણઝાર પાછી શરૂ થાય છે.

  રાજધાની કંપાલામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પધારવાથી ભક્તિનું મોજું ફરી વળ્યું હતું. 

સાંજે સંધ્યા આરતી બાદ યોગીન્દ્રવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૧૨ મી ભાગવતી મહાદીક્ષાની ઉજવણી પરમ ઉલ્લાસભેર કરવામાં આવી હતી‌. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીબાપાનું પૂજન, અર્ચન, પુષ્પ હાર પહેરાવી, થાળ ધરાવી અને આરતી ઉતારી હતી. ત્યારબાદ પૂજ્ય સંતોની હરિભક્તોએ પણ આરતી ઉતારવાનો અલભ્ય લાભ લીધો હતો. આ પાવન અવસરે પૂજનીય સંતોએ પણ મહિમાગાન કર્યું હતું.

 

(11:33 am IST)