એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 17th March 2018

વાસુદેવ મહેતા અજોડ પત્રકાર હતા : અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટ તથા ગુજરાત દર્પણ (અમેરિકા)ના સંયુકત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણી સાહિત્‍યકારોનું ઉદ્‌બોધન

અમદાવાદ : અમદાવાદઃ વાસુદેવ મહેતા એક અજોડ પત્રકાર હતા. લોકનિષ્ઠા અને મૂલ્યનિષ્ઠા સાચવીને તેમણે પાંચ દાયકાથી પણ વદારે સમય સુધી પત્રકારત્વ કર્યું હતું. તેમણે કાયમ પોતાને યોગ્ય લાગે તે લખ્યું, કોઈની શેહ-શરમમાં તેઓ આવ્યા નહીં. જોખમો કે પ્રલોભનોએ તેમને વિચલિત કર્યા નહીં. લોકહિતમાં સાચું લાગે તે તેમણે સતત લખ્યું. શબ્દો જાણીતા સાહિત્યકાર અને ચિંતક કુમારપાળ દેસાઈએ સત્ત્વ અને સત્યના ઉપાસક શ્રી વાસુદેવ મહેતા વિષય પર બોલતાં કહ્યા હતા. કાર્યક્રમ અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશના હીરાલાલ ભગવતી સભાગૃહમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાત દર્પણ (અમેરિકા)ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કુમારપાળ દેસાઈએ ઉમેર્યું હતું કે તેમનું જીવન સાદુ હતું અને તેઓ કોઈ પણ ભોગે મૂલ્યનિષ્ઠાને વળગી રહેવામાં માનતા હતા

પ્રસંગે તેમના હાથ નીચે ભણેલાં અને તેમનાં પૂર્વ સહકાર્યકર પ્રીતિબહેન શાહે વાસુદેવ મહેતાની નિર્ભિક અને લોકભોગ્ય ભાષાશૈલીની ચર્ચા ઉદાહરણો આપીને કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાની વાતને સચોટ અને અસરકારક રીતે મૂકી શકતા હતા

જાણીતા પત્રકાર અને તંત્રી રમેશ તન્નાએ વાસુદેવ મહેતાના જીવન-કવન અને પ્રદાન વિશે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે 80 વર્ષના પોતાના આયખામાં તેમણે આશરે 55 વર્ષ સક્રિય પત્રકારત્વ કર્યું હતું. તેઓ એક એવા પત્રકાર હતા જેમણે પોતાની રાજકીય સમીક્ષા દ્વારા વાચકોના રાજકીય મતનું ઘડતર કર્યું હતું. પત્રકાર અને કટારલેખક તરીકે તેમમે ખૂબ મહેનત કરીને સજ્જતા કેળવી હતી. 196 વર્ષના ગુજરાતી પત્રકારત્વની સફરમાં આગલી હરોળના 15-20 પત્રકારોનાં નામો નક્કી કરવાં હોય તો તેમાં અચૂક નામ મૂકવું પડે તેવું માતબર અને નોંધપાત્ર તેમનું પ્રદાન હતું

પ્રસંગે વાસુદેવ મહેતાના દીકરા અને નિવૃત ન્યાયમૂર્તિ (એજ્યુકેશન ટ્રિબ્યનલ) ધ્રુવમન મહેતાએ પોતાના પિતાનાં કેટલાંક રસપ્રદ સ્મરણો વાગોળીને વાસુદેવ મહેતાના વ્યક્તિત્વની બીજી બાજુ રજૂ કરીને શ્રોતાઓની તાળીઓ મેળવી હતી. પ્રસંગે ગુજરાત દર્પણના સ્થાપક તંત્રી સુભાષ શાહે જણાવ્યું હતું કે અમે વ્યાખ્યાનમાળા સાથે જોડાઈ શક્યા તેનો અમને આનંદ છે. પ્રફૂલ્લ ભારતીયે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે વાસુદેવ મહેતાનું પ્રદાન લાંબો સમય યાદ રહેશે. તેમણે અમેરિકાસ્થિત સુભાષ શાહની સાહિત્યિક સેવાઓને પણ બિરદાવી હતી

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જશુ કવિએ કર્યું હતું. કાર્યક્રમમાં ચંદ્રકાન્ત શેઠ, રોહિત પટેલ, સુભાષ શાહ (આણંદ) જંયતિ દવે, ભૂપત પારેખ, શૈલેષ પરીખ, હિમ્મત શાહ, અરુણ શાહ, મહેશ જોશી, ભિખેશ ભટ્ટ, રોહિત શાહ, દિલીપ દવે, પ્રદીપ ત્રિવેદી, બંકિમ મહેતા, ભૂમિકા ભાવસાર સહિત મોટી સંખ્યામાં સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.  તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(11:28 pm IST)