એન. આર. આઈ. સમાચાર
News of Friday, 13th April 2018

દક્ષિણ આફ્રિકામાં સ્‍થાયી થયેલો ગુજરાતનો મુસ્‍લિમ પરિવાર આગમાં ભડથું : વહેલી સવારે ઘરમાં અચાનક આગ ફાટી નીકળતા ર બાળકો સહિત પાંચ સભ્‍યોના કરૂણ મોત : પોલીસ તપાસ ચાલુ

સાઉથ આફ્રિકા : દક્ષિણ આફ્રિકામાં છેલ્લા કેટલાક સમયથી સ્‍થાયી થયેલા ગજુરાતના ભરૂચ અંકલેશ્વર નજીક આવેલા દીવા ગામના મુસ્‍લિમ પરિવારના પાંચ લોકોનું ઘરમાં આગ લાગતા કરૂણ મોત નિપજયુ હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે. જે અંતર્ગત બે બાળકો સહિત એક જ પરિવારના આ પાંચ સભ્‍યો આગમાં ભડથું થઇ ગયા છે.

દક્ષિણ આફ્રિકા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કે, વહેલી સવારે 3.30 કલાકે પરિવાર ઉંઘતો હતો તે સમયે કેટલાક તોફાની તત્વોએ પેટ્રોલ બોંબ તેમના ઘરમાં નાખ્યો હતો, જેના કારણે ઘરમાં ભિષણ આગ લાગી હોવાની હાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં એક પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.

. અબ્દુલ અઝિઝ સાઉથ આફ્રિકામાં સીબીડી સ્ટોરમાં કામ કરતા હતા. તેમના મોત બાદ પોલીસ તપાસમાં જાણવા મળેલ છે કે, તેઓ લાર્ચ રોડ પર આવેલ ઘરમાં પાંચ મહિનાથી શિફ્ટ થયા હતા.

સાઉથ આફ્રિકા પોલીસે ઘટના મુદ્દે હજુ ખુલીને વાત નથી કરી પરંતુ તેમની પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું કે, ઘટના વહેલી સવારે 3.30 કલાકે બની છે, જેમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, કોઈકે પેટ્રોલ બોમ્બ દ્વારા ઘર સળગાવ્યું છે. જેના કારણે એક પરિવારના લોકોના મોત નિપજ્યા છે. પોલીસને પરિવારના મૃતદેહ ઘરના વરંડામાંથી મળી આવ્યા છે. પાડોશીઓનું કહેવું છે કે, ફાયર બ્રિગેડ આવી ત્યારે અમને આગ લાગવાની ઘટનાની જાણ થઈ.

હવે એક પરિવારના પાંચ લોકોના મોતનું રહસ્ય ઘુંટાતુ જોવા મળી રહ્યું છે. હવે પ્રશ્ન થાય છે કે, ઘરમાં આગ લાગી તો, ઘરના વરંડામાંથી તેમની લાસ કેવી રીતે મળી. હાલ પોલીસ બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ કરી રહી છે. પોલીસે અકસ્માત, હત્યા, કાવતરૂ એમ ત્રણે એન્ગલને ધ્યનમાં રાખી તપાસ હાથ ધરી છે.

(11:43 pm IST)