એન. આર. આઈ. સમાચાર
News of Monday, 15th April 2019

અમેરિકાના જાણીતા ન્યુરોલોજીસ્ટ ડો. વિઠલ ધડુક ભાજપ-મોદીના પ્રચાર માટે સૌરાષ્ટ્રમાં : સભાઓ યોજી : ડોર ટુ ડોર પ્રચાર

મોદી જ જીતશે : એનડીએ ને ૩૦૦ થી વધુ બેઠકો મળશેઃ ર૦ર૦ માં ભારત વિકસિત દેશ બનશેઃ સ્થાનિક ઉમેદવાર કોણ છે એ લોકો ન જુવે માત્ર મોદી ના નામ પર ભાજપને મત આપે : ડો. વિઠલ ધડુક

મોદીના હાથમાં દેશ સુરક્ષિતઃ મોદી રાજમા દરેક એનઆરઆઇ વિદેશમાં માથુ ઉંચુ કરીને રહે છે : ગૌરવ અપાવ્યુઃ મોદી પાસે સ્પષ્ટ વિઝન છે : તેઓ ભારતને સ્ટ્રોંગ - કલીન, યુનાઇટેડ ઇન્ડીયા બનાવશેઃ ડો. ધડુક અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે...

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને ''ભારતના બ્રાન્ડ એમ્બેસેડર'' અને જેમની ક્ષમતાને ભારતના સિમ્બોલ  (પ્રતિક) તરીકે ઓળખાવેલ છે તે બીન રહીશ ભારતીયો વિશ્વની સૌથી મોટી  લોકશાહીના પર્વને ઉજવવા અને વડાપ્રધાન પરત્વેની પોતાની કૃતજ્ઞતા વ્યસ્ત કરવા સાત સમંદર  પારથી પોતાના માદરે વતન આવ્યા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા, યુએઇ, વગેરેથી  મોટા પ્રમાણમા એનઆરઆઇ ગુજરાત કે જેમની જન્મ ભૂમિ, કર્મભૂમી, માતૃભુમિ છે ત્યાં આવી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતાડવા શહેરો અને ગામડાઓ ખુંદી રહ્યા છે. આ લોકો ભલે ભારતથી દુર રહેતા હોય પણ  તેઓનો આત્મા-દિલ ગુજરાત અને ભારતમાં ધબકી રહ્યું છે. મોદીએ છેલ્લા પ વર્ષમા જે કાર્યો  કર્યા છે તેનાથી પ્રભાવિત થયેલા આ લોકો ઇચ્છે છે મોદી ફરી ર૦૧૯ નો ચૂંટણી જંગ જીતે અને  ફરી દેશનુ સુકાન સંભાળે. આ એનઆરઆઇ વિદેશમાં રહેછે જયાં તેમણે ગૌરવ અનુભવ્યું છે. વિદેશી લોકો તેમને હવે માનભેર નિહાળી રહ્યા છે. જેનું ઋણ ચુકવવા વિદેશા઼મો રહેતા એનઆરઆઇ હાલ પોતાના કામધંધા છોડી ભાજપ અને મોદીને તન-મન-ધનથી મદદ કરવા આવી પહોચ્યા છે. તેઓ અહિં આવી પોતાના સગા-સબંધીઓ, મિત્રો, બીઝનેસમેન વગેરેને મળી રહ્યા છે. અને મોદી ભાજપને મત આપવા તેઓને જણાવી રહ્યા છે.  આવા જ એક ઉમદા પાટીદાર  અગ્રણી મોદી-ભાજપપ્રેમી  એવા અમેરિકાના સુપ્રસિદ્ધ ન્યુરોલોજીસ્ટ ડો. વિઠલભાઇ ડી. ધડુક છે. તેઓ હાલ અમેરિકાથી ગુજરાત આવ્યા છે અને પોતાના માદરે વતન સૌરાષ્ટ્ર ફરી રહ્યા છે. આ દરમ્યાન શનિવારે સાંજે તેઓ ''અકિલા'' કાર્યાલય આવ્યા હતા અને  ''અકિલા'' ના યુવા ધરોહર- એકઝીકયુટીવ ઓડીટર નિમિશભાઇ ગણાત્રાને મળ્યા હતા જે દરમ્યાન તેમણે ભારત-અમેરિકા સહિતની બાબતો અંગે નિમિશભાઇ ગણાત્રા સાથે વિસ્તૃત વિચારોની આપ-લે કરી હતી. આ દરમ્યાન તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં મોદીનો  ભવ્ય વિજય થશે. એનડીએ ૩૦૦ થી વધુ બેઠકો મેળવશે અને ર૦ર૦ સુધીમાં ભારત ડેવલપ (વિકસિત) રાષ્ટ્ર બની જશે.

મૂળ ઉપલેટા-માણાવદર પંથકના નાકરા ગામના વતની એવા ડો. ધડુકે ગઇકાલે અને આજે પોતાના પંથકમાં ભાજપના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. વિશાળ રેલીઓને સંબોધન કર્યુ હતુ અને ભાજપ-મોદીને જીતાડવા માદરે વતનના લોકોને અપીલ કરી હતી.  તેમણે કહ્યું હતુ કે મે લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ સ્થાનિક ઉમેદવાર કોણ છે એ ભુલીને માંત્ર મોદીને કેન્દ્ર સ્થાને રાખી માત્ર મોદીના નામ પર ભાજપને મત આપે. તેઓએ નાની-મોટી બેઠકો, ડોર ટૂ ડોર પણ પ્રચાર કર્યો હતો એટલું જ નહી ફોન કોલ્સ, મેસેઝ, ઇ-મેઇલ થકી પણ ભાજપ-મોદીનો જોરદાર પ્રચાર કર્યો હતો.

ડો. ધડુકનુ કહેવુ઼ છે કે અમો માતૃભુમિનુ ઋણ અદા કરવા ૧૦૦  જેટલા એનઆરઆઇ હાલ ગુજરાત આવ્યા છીએ. અને અમારી રીતે પ્રચાર કરી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે મોદી દેશના વડાપ્રધાન તરીકે શ્રેષ્ઠ વ્યકિત છે. તેમના નેતૃત્વમાં દેશ ''સ્ટ્રોંગ-કલીન-યુનાઇટેડ ઇન્ડિયા'' બનશે. તેમણે છેલ્લા પ વર્ષમાં જે કાર્યો કર્યા છે દેશને ગૌરવ અપાવ્યુ  છે તે માની ન શકાય તેવું  છે.  તેમણે દેશનો વિકાસ કર્યો છે, દેશને સુરક્ષિત બનાવ્યો છે. હુ માનું છું કે જો તેઓ ફરી વડાપ્રધાન બનશે તો ભારત ર૦ર૦માં વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બની જશે. મોદી પાસે દેશ માટેનું સ્પષ્ટ વિજન છે. મોદીની કામ કરવાની શૈલી, તેમની નિર્ણયશકિત, તેમની વહીવટી કુશળતા, તેમનો પ્રભાવ અદભૂત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત વિશ્વનેતાઓ પણ મોદીના જાદુથી આકર્ષિત થયા છે.  અમે અમેરિકામાં રહીએ છીએ પણ હવે અમને જબરૂ માન-સન્માન મળી રહ્યું છે જે વડાપ્રધાન મોદીને આભારી છે. વિદેશી લોકો અમને હવે માનથી જુએ છે જેના કારણે અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ. મોદી એક ''યુનિક પર્સન' હોવાનુ ગણાવતા ડો. ધડુકે  કહ્યું હતુ કે અમોને વિશ્વાસ છે કે એનડીએ ૩૦૦ થી વધુ બેઠકો મેળવશે.

ડો. ધડુકે જણાવ્યું હતુ કે મોદીના હાથમાં ભારત દેશ સુરક્ષિત છે તેમણે પોતાની કુટનીતિથી પાકિસ્તાનને એકલું અટુલુ પાડી દીધુ છે તેમણે એવી સ્થિતિ ઉભી કરી છે કે સમગ્ર વિશ્વ એક તરફ અને પાકિસ્તાન એક તરફ. મોદી જ હિમતપૂર્વકના નિર્ણયો લઇ શકે, બીજા નહિ. તાજેતરમાં અવકાશમાં સેટેલાઇટને માર ગિરાવી તેમણે ભારતને ગૌરવ અપાવ્યું છે.

તેમણે કહ્યું હતુ કે, ભારતના લોકોએ દીર્ધદ્રષ્ટિ અપનાવી પોતાની  ભાવિ પેઢીની સુખાકારી, ખુશાલી માટે મોદીને જીતાડેએ જરૂરી છે.  એક સવાલના જવાબમા ધડુકે કહ્યું હતુ કે  અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભરપુર પ્રેમ કરે છે. ટ્રમ્પની નીતિઓથી અમેરિકાને ફાયદો થયા છે. તેમની નીતિઓ-નિર્ણયોથી અમેરિકાના વેડફાતા પૈસા બચ્યા છે. ભવિષ્યમાં ચૂંટણી થશે ત્યારે તેઓ જ રાષ્ટ્રપતિ બનશે.

(3:50 pm IST)