સુરત ગુરૂકુળમાં સાંસ્કૃતિક પ્રદર્શનઃ રવિવારે અમેરિકામાં સ્વામિનારાયણ જન્મોત્સવ ઉજવાશે
સુરતમાં વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોજાયેલ બ્રહ્મ મહોત્સવ નિમિતના વિવિધ કાર્યક્રમોની તસ્વીર.
રાજકોટ તા.૧૨: સ્વામિનારાયણ ગુરૂકુલ,વેડ રોડ સુરત ખાતે ચાલતા બ્રહ્મ મહોત્સવના દ્વિતીય ચરણમાં ગુરૂવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે લાઇટ વિઝન શોનો પ્રારંભ કરાયેલ.
૭૦૦ ફુટ એલઇડી તથા વિદ્યાલયના ૪૦૦*૫૦ ફુટના બિલ્ડીંગ ઉપર યોજાયેલ લાઇટ વિઝનશોમાં ભારતીય સંસ્કૃતિ, ગુરૂકુલ સંસ્કૃતિની પરંપરા,વ્યસન મુકિત શરાબ તેમજ લાંચ રૂશ્વતમાંથી બચવા ગુરૂકુલના વિદ્યાર્થીઓની ગૌરવગાથાનો હજારો ભાવિકોએ લાભ લીધેલ.
૧૧૦ ઉપરાંત ગુરૂકુલના બાળ યુવાનોએ સાથે સાથે નૃત્ય તેમજ લાઇવ સ્ટોરી સાથે શોને વધુ જીવંત બનાવેલ. આ સાંસ્કૃતિક કલ્ચરવાળા બાળકો તથા યુવાનોને શ્રી વિશ્વવંદન સ્વામીએ લખેલી વિશ્વસ્વરૂપ સ્વામીએ સંગીત સાથે સજાવટ કરેલી ચિરાગ સુતરીયા, ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી વાલાણી રવિભાઇએ એલઇડી તથા લાઇટ સજાવટ સુરતના શ્રી ફારૂકભાઇએ કરેલ.
આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે તા. ૧૨ અને ૧૩ બે દિવસ ચાલનારા આ શો રાત્રે ૮ અને ૧૦ કલાકે સહુકોઇ વિનામુલ્યે જોઇ શકશે. એ સાથે ગુરૂકુલમાં ચાલતું કાયમી સાંસ્કૃતિક પ્રદર્શન પણ સાંજે ૭ થી ૧૦ દરમ્યાન ફ્રીમાં જોવા મળશે. ૪૫ મિનિટના આ શોનો આજે દેશ-વિદેશના હજારો ભાવિકો તથા જેતપુર સ્વામી મંદિરના મહંતશ્રી નિલકંઠસ્વામી, વેડ-ડભોલી મંદિરના શ્રી પ્રભુ સ્વામી, અશ્વિની કુમાર મંદિરથી શ્રી બાલસ્વરૂપ સ્વામી, તેમજ વડતાલ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીશ્રીઓએ મનભરીને માણેલ.
વધુમાં શ્રી પ્રભુસ્વામીએ કહ્યું હતું કે અમેરિકાના ન્યુજર્સી, ન્યુયોર્ક, પરામસ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં ચાલતા બ્રહ્મ મહોત્સવમાં હજારો ભકતો વચનામૃત યજ્ઞ તથા ભકતચિંતામણી યજ્ઞ સાથે ન્યુજર્સી ગુરૂકુલના મહંત શ્રી આનંદ સ્વામીએ કહેલું કે અમેરિકામાં ઉત્સવ તા. ૧૪ને રવિવારે ભગવાનશ્રી સ્વામિનારાયણના ૨૩૮માં જન્મોત્સવ ઉજવીને કરશે. ત્યારેજ નવ દિવસ સુધી ફુટજળ પાન કરીને ઉપવાસ કરી રહેલા ૪૫ ભકતોને સંતોના હાથે પંચાજીરી-પંજરી તથા શિરાનો પ્રસાદ અર્પી પારણા કરાવાશે. વધુ માહિતી માટે અમેરિકાના મોબાઇલ નંબર ૨૨૪-૩૬૬-૭૨૭૭ ઉપર સંપર્ક કરી શકાય છે.