એન. આર. આઈ. સમાચાર
News of Monday, 6th August 2018

શિકાગોમાં ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના સંચાલકોએ સભ્યોની લાગણીને ધ્યાનમાં રાખીને સાહિત્ય,ભજન તેમજ ગુજરાતી ગીતો અને હાસ્ય રસથી ભરપુર એવા રમુજી ટૂચકાઓ સભર ડાયરાનું કરેલું આયોજનઃ ૩૦૦ જેટલા સીનીયર ભાઇ બહેનો તેમજ આમંત્રીત મહેમાનો અને સ્પોન્સરોએ સૌરાષ્ટ્રના પ્રખ્યાત કલાકાર ભીખુદાન ગઢવી, તેમજ રમુજી ટૂચકાઓ રજુ કરીને હાસ્યની છોળોમાં તરબોળ કરનાર એવા હાસ્યના કલાકાર સુખદેવ ધમેલીયા, તેમજ આણંદની લોકગાયિકા આશા ઠાકોરે ડાયરાનો રંગ જમાવ્યોઃ રાત્રે પોણા આઠ વાગે શરૃ થયેલો ડાયરાનો પ્રોગ્રામ સળંગ સવાચાર કલાક ચાલ્યા બાદ મધ્યરાત્રીએ પૂર્ણ થયોઃ સંસ્થાના પ્રમુખ હરિભાઇ પટેલે સૌનો માનેલો આભાર આગામી ૧૮મી ઓગટે. જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ થશે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ભારતીય સીનીયર સીયી ઓફ શિકાગોના સંચાલકો સીનીયરોના હિતાર્થે અનેક પ્રકારની રચનાત્મક પ્રવૃતિઓ કરે છે અને તેમના જો કોઇપણ પ્રકારના અણઉકલ્યા પ્રશ્નો હોયતો તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે આ સંસ્થાના સંચાલકોએ સીનીયરોની લાગણીને ધ્યાનમાં લઇને ઓગષ્ટ માસની ૩જી તારીખને શુક્રવારે કેરોલસ્ટ્રીમ ટાઉનમાં આવેલ રાણા રેગન કોમ્યુનીટી સેન્ટરમાં એક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સંસ્થાના સભ્યો તેમજ આમંત્રીત મહેમાનોને મળીને ૩૦૦ જેટલા ભાઇ બહેનોએ હાજરી આપી હતી. આ ડાયરાનો કાર્યક્રમ રાત્રે પોણા આઠ વાગે શરૃ થયો હતો અને તે સતત સવાચાર કલાક સુધી ચાલ્યો હતો અને મધ્યરાત્રીએ બાર વાગે પૂર્ણ થયો હતો.

સીનીયર સંસ્થા દ્વારા યોજવામાં આવેલ આ ડાયરાની શરૃઆતમા જગદંબામાં ભવાની જેવા ભકિતગીતથી થઇ હતી અને જાણીતા લોક ગાયક ભીખુદાન ગઢવી જુનીયરે શરૃઆત કરી હતી અને પોણો કલાક સુધી તેમણે પોતાના કંઠે સુંદર ભજનો તેમજ લોકગીતો રજુ કર્યા હતા જેમાં અવિનાશ વ્યાસ અને અન્ય કવિઓની રચનાઓ રજુ કરવામાં આવી હતી.

ત્યાર સૌરાષ્ટ્રના જાણીતા હાસ્ય કલાકાર સુખદેવ ધમેલીયાએ પોતાની સુંદર વાણીમાં હાસ્યરસના રમુજીટૂચકાઓ રજુ કર્યા હતા અને પ્રેક્ષકોએ પણ સામેથી તેનો સારો  એવો પ્રતિભાવ આપ્યો હતો. આ પ્રસંગે ડાયરામાં ભાગ લેનાર કોકીલ કંઠે સુંદર ભજનો તેમજ લોકગીતો રજુ કરનાર આણંદના રહીશ આશાબેન ઠાકોરેતો સીનીયર ભાઇ બહેનોના મનહરી લીધા હતા અને સુંદર ભજનો તેમજ કૃતિઓ રજુ કરવા માટે સૌ પ્રેક્ષકો તેમની વાહવાહ પોકરતા હતા અને વન્સમોર દ્વારા બીજી વખત તે કૃતિઓ રજુ કરવા માટે વિનંતીઓ કરવામાં આવતી હતી અને તેમના દ્વારા તે રજુ પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતમાં ભીખુદાન ગઢવી જુનીયર તેમજ આશા ઠાકોરે સ્વ.ઝવેરચંદ મેઘાણીની કૃતિ કસુબીનો રંગ સુંદર કંઠમાં રજુ કરી હતી અને તેની સાથે સવાચાર કલાક માટે યોજવામાં આવેલો કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

આ સંસ્થાના પ્રમુખ હરિભાઇ પટેલે સૌ સભ્યો દ્વારા કમીટીના તમામ મેમ્બરોેએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે અથાગ પરિશ્રમ કરેલ તે બદલે સર્વેને તેમણે આભાર માન્યો હતો અને આગામી ૧૮મી ઓગષ્ટને શનિવારે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ રજુ કરવામાં આવશે. એવું અંતમાં જણાવ્યું હતું.

આ ડાયરાના કાર્યક્રમને સફળ બનાવવા માટે (૧) પરસોત્તમ પંડ્યા (૨)મધુભાઇ પટેલ (૩)પ્રવિણ પટેલ, (૪)અશ્વીન બોડીવાલા (૫)અમ્રીત પટેલ (૬)શિરીષ શાહ (૭)ચંદુ દવે (૮)ઇન્દુભાઇ વાધાણી (૯)રાઇસીંગ પરમાર (૧૦)ચંદ્રવદન ચુડાસમા (૧૧)મદરસંગ ચાવડા (૧૨)જયંતી ઓઝાએ અથાગ પરિશ્રમ કર્યો હતો.

આ ડાયરાની રજુઆત સ્કાય વીઝનવાળા અલ્પેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેમજ સાઉન્ડ સીસ્ટમનું સંચાલન તારીકભાઇએ કર્યુ હતું.

(12:01 am IST)