પૂર્ણ સન્માન સાથે ભારતીય જનસમુદાયના લાડીલા નેતા સુરેશચંદ્ર જાનીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન : ભારતીય સમુદાયે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પણ કરી : આંખમાં આંસુઓ સાથે ભાવભીની આખરી વિદાય : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, વિવિધ સંપ્રદાયના ધર્માચાર્ય, સામાજિક, રાજકીય આગેવાનો, મિડીયા કર્મીઓએ શ્રધ્ધાંજલિ પાઠવી : લાગણી સભર દ્રશ્યો સર્જાયા : અમેરિકા ખાતે સદગત શ્રી સુરેશભાઈની પ્રાર્થનાસભા તા. ૧૨ શનિવારે રોયલ આલ્બર્ટસ પેલેસ, ૧૦૫૦ કિંગ જ્યોર્જીસ પોસ્ટ રોડ, ફોર્ડ, ન્યુજર્સીમાં સવારે ૧૧ થી ૧ વાગ્યે રાખવામાં આવેલ છે
ફ્રેન્કલીન પાર્ક (યુજર્સી) : ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ ભારતીય જનતા પાર્ટી (ઓએફબીજેપી) ના સ્થાપકો પૈકીના એક અને પૂર્વ પ્રમુખ, આઇના (એસોસીએશન ઓફ ઇન્ડિયન્સ ઇન નોર્થ અમેરિકા)ના ચેરમેન, ગુજરાત ફાઉન્ડેશન, ઉત્તર ગુજરાત વિકાસ મંચ, ગુજરાતી સમાજ ઓફ નોર્થ અમેરિકાના સ્થાપકો પૈકીના એક તથા લોકલાડીલા સામાજિક અગ્રણી શ્રી સુરેશચંદ્ર જાનીનું દુઃખદ અવસાન મે ૦૩, ર૦૧૮ના રોજ થયું હતું. તેમની અંતિમક્રિયા શાસ્ત્રોક્ત વિધીવિધાનથી ફ્રેન્કલીન પાર્ક ક્રિમેટોરિયમ, ન્યુજર્સી ખાતે મે ૦૭, ર૦૧૮ના રોજ સંપન્ન કરાઇ.
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભારતીય સમાજના અગ્રણીઓએ ભાવભીની શ્રધ્ધાંજલિ સાથે અંતિમ વિદાય આપી હતી. તેમના નશ્વર દેહને સહુ કોઇએ વ્યથિત હૃદયે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અમેરિકા ખાતે સદગત શ્રી સુરેશભાઈની પ્રાર્થનાસભા તા. ૧૨ શનિવારે રોયલ આલ્બર્ટસ પેલેસ, ૧૦૫૦ કિંગ જ્યોર્જીસ પોસ્ટ રોડ, ફોર્ડ, ન્યુજર્સીમાં સવારે ૧૧ થી ૧ વાગ્યે રાખવામાં આવેલ છે.
શ્રી હરેશભાઇ મહારાજ (ગોવિંદા મંદિર, જર્સીસીટી) દ્વારા હિંદુ શાસ્ત્રોક્ત વિધિ કરાઇ હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ગાયત્રીમંત્ર, શિવસ્ત્રોત્ર્મ અને રામધૂનનું સંગીત સમગ્ર વાતાવરણને ભાવવાહી બનાવી રહ્યું હતું.
સુરેશભાઇ જાનીના પરિવારજનો પૈકી ધર્મપત્નિ સુશ્રી દીપ્તીબહેન જાની, પુત્ર અમિત, બહેન દક્ષાબહેનનો પરિવાર, તેમના ભાઇ સ્વ. રાજુભાઇ જાનીના પત્નિ તથા પુત્ર, દીપ્તીબહેનના ભાઇ શ્રી અજિતભાઇ અને શ્રી નીલકંઠભાઇ ઉપાધ્યાયના પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમના સ્નેહીઓ, પરિવારજનો તથા વિશાળ સંખ્યામાં ભારતીય જન સમુદાયની ઉપસ્થિતિ ઉલ્લેખનીય હતી.
ભારતીય સામાજિક અગ્રણીઓમાંના TV Asiaનાં શ્રી એચ. આર. શાહ, શ્રી સુનીલ નાયક, શ્રી હીરૂભાઇ પટેલ, શ્રી પીટર કોઠારી, ડો. વિઠ્ઠલ ધડુક, રંજનબહેન ધડુક, વીરૂ પટેલ, પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્મા તથા તેમના પુત્ર, રસિકભાઇ પટેલ, શ્રી પ્રફુલ્લ રાજા, ડો. હેમંતભાઇ પટેલ તથા બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટી શ્રી પટેલ, સ્વામીનારાયણ ગાદી સંસ્થાન સીકોકસ ધર્મસ્થાનના ડી.એમ. પટેલ તથા અગ્રણીઓ, રાજભોગના શ્રી અરવિંદ પટેલ, રાજુ પટેલ, યોગી ડિવાઇન સોસાયટીના અગ્રણીઓ શ્રી શાન્તિ મામા તથા અન્યો, સ્વામીનારાયણ ગુરૂકુળના સંતશ્રી માધવપ્રિયદાસજીની આજ્ઞાથી ઉપસ્થિત અગ્રણીઓ, દ્વારકાધિશ મંદિરના શ્રી પંકજ શેઠ, આઇસીએસના પૂર્વ પ્રમુખ શ્રી અનિલ પટેલ, સિનિયર્સ એસોસીએશન્સના અગ્રણીઓ શ્રી સુભાષ દોશી, શ્રી પોપટભાઇ પટેલ, શ્રી નીલેશ દસોંદી, શ્રી ગોવિંદ શાહ, શ્રી અરવિંદ પટેલ તથા અન્યો, ઓએફબીજેપીના શ્રી કૃષ્ણા રેડ્ડી, શ્રી ગુલાંટી, શ્રી જગદીશ સેવાણી, શ્રી જયેશ પટેલ, શ્રી મધુ ઉપાધ્યાય, શુકલા પરિવાર, શ્રી આર.પી. સીંગ, શ્રી રક્ષપાલ સુદ, કોંગ્રેસમેન (મન્મથ કાઉન્ટી, ન્યુજર્સી) શ્રી ચીન ગોપાલ જર્સીસીટી વેપારી મંડળના સર્વશ્રી રાજુ પટેલ, એશિયન મર્ચન્ટસ એસોસીએશનના સર્વશ્રી ભાવેશ દવે, સુરેશ પટેલ મુખી, રસિક પટેલ, બલિ પટેલ, મિડિયાના સર્વશ્રી સુનીલ હાલી, રાજીવ ભાંભરી, સુભાષ શાહ, નીતીન ગુર્જર, કૌશિક અમીન, જનક રાવલ, શશીકાન્ત પરીખ, પંકજ બ્રહ્મભટ્ટ, ગુંજેશ દેસાઇ, મુકેશ કાશીવાલા, ગાયત્રી જોશી, પંકજ બ્રહ્મભટ્ટ, સામાજિક મહિલા અગ્રણીઓ પૈકીના સંધ્યા પટેલ, રંજનબહેન ધડુક, પારૂલ અમીન, વંદના નાયક, દામિની પરીખ, વિગેરેની ઉપસ્થિતિ ઉલ્લેખનીય હતી.
કનેકિટકટના અગ્રણીઓ શ્રી અતુલ નાયકની સાથે ઉપસ્થિત હતા. હેલ્થ સર્વિસીસના ડો. તુષાર પટેલ, શ્રી રૂપેશ ત્રિવેદી, અમર ગોસ્વામી, ટેનેસીથી ભારતીય અગ્રણી શ્રી હસમુખ (કાકા) પટેલ, જર્સીસીટીના શ્રી જયેશ મોદી, શ્રી અમિતશાહ, શ્રી કિશોર (મામા) પંડયા-રાજકોટના પરિવારજનો, શ્રી પ્રમોદ ઉપાધ્યાય તથા પરિવારજનો, સુશ્રી પ્રેમી બહેન પટેલ, હાર્ષિકા પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને શ્રધ્ધાસુમન પાઠવ્યાં હતાં.
પ્રાસંગિક યુલોજી (પ્રવચન)માં TV Asiaનાં શ્રી એચ. આર. શાહ ખુબ જ હૃદયપૂર્વકની યાદગાર ઘટનાઓ વર્ણવી હતી. ટીવી એશિયાના સ્ટુડિયોમાં સૌથી વધુ ભારતના રાજકીય અગ્રણીઓને મુલાકાત માટે સુરેશભાઇ લઇ આવ્યા હતા, અને તેઓ આ પૂર્વે કોઇને જાણતા પણ ન હતા અને આ તમામ અગ્રણીઓ સાથે આજીવન ઘરોબો બંધાયો હતો. તેમણે ઉમેર્યુ હતું, મારા જીવન કાળમાં પ્રથમવાર કોઇના દેહને ત્રિરંગામાં લપેટાયેલા જોયો છે. ભારતીય જનજીવનના તેઓ ખરા અર્થમાં અગ્રણી હતા. સમાજના વિવિધ જુથ, ભારતીય સમુદાયને તેઓ કડીરૂપ બની જોડી આપતા હતા.
સતત છ ટર્મથી લોકસભામાં પ્રતિનિધિત્વ કરી ચુકેલા સાંસદ શ્રી રતિલાલ વર્મા પોતાની શારીરિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમના પુત્ર સાથે રોહડ આયલેન્ડથી આવ્યા હતા. ખુબ જ ભાવુક બની પોતાનુ઼ વકતવ્ય આપ્યુ હતું. તેમણે ખેલદિલી પૂર્વક સ્વીકાર કર્યો હતો કે તેમના રાજકીય જીવનના અનેક પ્રસંગોમાં સુરેશભમાઇ તેમના ખરા માર્ગદર્શક બન્યા હતા. અનેકવાર રાજકીય સલાહ તેમને આપી હતી.
યુલોજી (પ્રવચન) સમય ખુબ જ ભાવાત્મક બન્યો હતો. સમય મર્યાદાના કારણે ખુબ જ મર્યાદિત અગ્રણીઓને પોતાની ભાવાંજલિ અર્પણ કરવાનો સમય મળ્યો હતો.
પુત્ર અમિતે તેના પિતા અને રાહબર તરીકે સુપેરે શબ્દાંજલિ અર્પણ કરી હતી.
અન્ય સમાજિક અગ્રણીઓ પૈકીના વકતાઓ પૈકી સર્વશ્રી ડો. વિઠ્ઠલ ધડુક, શ્રી સુનીલ નાયક, સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના શ્રી ડી.એમ. પટેલ, પીટર કોઠારી, વીરૂ પટેલ, શ્રી કૃષ્ણા રેડ્ડી, શ્રી રસિકભાઇ પટેલ વિગેરે મુખ્ય હતા.
બી.એ.પી.એસ. મંદિરના શ્રી પ્રફુલ્લ રાજા તથા અન્ય અગ્રણીઓએ સંતોના આશીર્વાદ સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અમદાવાદ છારોડી ગુરૂકુળના સ્વામી માધવપ્રિયદાસએ મોકલાવેલો સંદેશો પ્રસારિત કરાયો હતો.
આ પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, ગુજરાતના મહેસુલ પ્રધાન શ્રી કૌશિક પટેલના શોક સંદેશા પણ પ્રાાપ્ત થયા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ દીપ્તીબહનેને મોકલાવેલા સંદેશોમાં સુરેશભાઇના અવસાનનો આઘાત વ્યકત કર્યો હતો, સાથે જ અમેરિકાના ભારતીય સમુદાયને અર્પણ કરેલી સેવાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રખર રાષ્ટ્રપ્રેમી અને ચુસ્ત સંગઠનકાર તરીકે સુરેશભાઇની દિલોજાન સેવાઓને બિરદાવી સુરેશભાઇની સંકલન, સંઘર્ષ અને સફળતાની પ્રસંશા કરી કર્મયોગી ગણાવ્યા હતા. મહેસુલ મંત્રી શ્રી કૌશિક પટેલે પણ તેમને સાચા રાષ્ટ્રવાદી જણાવી પોતાની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
ઉપસ્થિત સમુહ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ, મંત્રોચ્ચાર સાથે ભારે હૈયે અગિ્નસંસ્કાર કરાયા હતા. અંતિમ વિદાય સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સુનીલ નાયક તથા શ્રી અનિલ પટેલ, શ્રી જગદીશ (એકટર) પટેલ, શ્રી અમર ગોસ્વામી, શ્રી વીરૂ પટેલ, શ્રી ઠાકોર બલસારા, શ્રી અરવિંદ પટેલ (રાજભોગ), શ્રી મુકેશ કાશીવાલા, શ્રી દીપક ઠાકર તથા અન્યોએ કર્યુ હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ભારે હૈયે શ્રી સુનીલ નાયકે સુરેશભાઇના કાર્યોને, તેમના જીવનન પ્રસંગો અને તેમની સમાજ માટેની દીર્ધદીષ્ટિનો વિશદ્ પરિચય આપ્યો હતો. કાર્યક્રમના સંચાલનનું આયોજન પણ તેમણે ખુબ જ ખંતથી અને હ્રદયપૂર્વક નિભાવ્યું હતું.
શ્રી સુરેશભાઇ સમાજના અદના માનવથી ભારતના વડાપ્રધાન સુધી સહુને સાંકળતી કડી હતા. વિવિધ જુથો, ભારતીય સમુદાય, સામાજિક ધાર્મિક સંસ્થાઓ, વિવિધ વિચારધારાના લોકોમાં એક સાંકળતી કડી રૂપ હતા. અમેરિકાના ભારતીય સમુદાયના ખરા અર્થમાં તાણા-વાણાને સાંકળીને અનોખું પોત વણી આપનાર હતા. તેમના કાર્યોની મહેક હવે સદૈવ આપણી સાથે રહેશે. પ્રભુ તેમના આત્માને પોતાના હૃદયમાં સ્થાન આપે, ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થનાઓ. જાની પરિવારને તેમની ખોટ સદા સાલશે. તેમના કાર્યોની સુવાસને જાની પરિવાર સદૈવ જાળવશે તેવી પ્રાર્થનાઓ સહ.... ૐ શાંતી....
( તસ્વીર ત્થા વિડીયો સૌજન્ય - શ્રી ગુન્જેશ દેસાઈ - ટીવી એશીયા - ન્યુજર્સી )