એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 7th March 2018

યુ.એસ.ની ‘‘મિન્‍નેસોટા સ્‍ટેટ કોલેજીસ એન્‍ડ યુનિવર્સિટીઝ''ના ચાન્‍સેલર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી દેવીન્‍દર મલહોત્રાની નિમણુંકઃ વચગાળાના ચાન્‍સેલર તરીકેની યશસ્‍વી કામગીરીને ધ્‍યાને લઇ ૩ વર્ષની મુદત માટે ચાન્‍સેલર તરીકે નિમાયા

મિન્‍નેસોટાઃ યુ.એસ.માં મિન્‍નેસોટા સ્‍ટેટ કોલેજીસ એન્‍ડ યુનિવર્સિટીઝ (MSCU)ના  વચગાળાના ચાન્‍સેલર તરીકે નિમાયેલા ઇન્‍ડિયન અમેરિકન શ્રી દેવીન્‍દર મલહોત્રાને ૨ માર્ચ ૨૦૧૮ના રોજ કાયમી ચાન્‍સેલર તરીકે નિમણુંક આપવામાં આવી છે. આ પદ માટેના કુલ ૩ ઉમેદવારો પૈકી શ્રી મલહોત્રાને ટ્રસ્‍ટીઓએ યોગ્‍ય ગણ્‍યા છે.

તેમની પસંદગીને યથાર્થ ગણાવતા ટ્રસ્‍ટીઓએ જણાવ્‍યું હતું કે શ્રી મલહોત્રાએ વચગાળાના ચાન્‍સેલર તરીકેની કામગીરી દરમિયાન તમામ કોમ્‍યુનીટી માટે સમાનતા તથા તેઓની સંસ્‍કૃતિ જાળવી રાખવાનું કાર્ય કરી બતાવ્‍યુ છે.

૭૦ વર્ષીય શ્રી મલહોત્રા મેટ્રોપોલિટન સ્‍ટેટના વચગાળાના પ્રેસિડન્‍ટ તરીકે નિવૃત થયા હતા. જેઓ શિક્ષણ ક્ષેત્રે ૪૦ વર્ષ ઉપરાંતનો અનુભવ ધરાવે છે તેમને ૩ વર્ષ માટે ચાન્‍સેલર તરીકે નિમણુંક અપાઇ છે.

(9:43 pm IST)