પાકિસ્તાનમાં અપહરણ કરાયેલી શીખ યુવતિને ટુંક સમયમાં ઘેર પરત ફરવાની મંજુરી અપાશેઃ બન્ને પરિવારો વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું જણાવતાં પંજાબ પ્રાંત ગવર્નર મોહમ્મદ સરવર
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં શીખ યુવતિના અપહરણ તથા ફરજીયાત ધર્માતર મામલે ભારે ઉહાપોહ બાદ બંને પરિવારો વચ્ચે સમજુતિ થઇ ગઇ છે તથા બહુ જલ્દીથી એટલે કે ટુંક સમયમાં જ યુવતિને તેના ઘેર પરત મોકલી દેવાશે તથા તેની માતા સાથે મુલાકાત કરાવી દેવાશે તેવું પંજાબ પ્રાંતના ગવર્નર મોહમ્મદ સરવરએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નનકાના સાહેબ સ્થિત ગુરૂદ્વારાના મુખ્ય પુજારીના ઘેર રાત્રે જઇ બંદુકની અણીએ અપહરણ કરી જનાર સાતથી આઠ લોકોની ટોળી વિરૂધ્ધ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને ભારતમાં પણ વિરોધ પ્રદર્શન કરાયા હતા. આખરે આ બાબતે પાકિસ્તાન સરકારે તુરંત પગલા લઇ યુવતિને મુકત કરાવી લાહોરના આશ્રય ગૃહમાં રાખી છે. અને હવે તેને ટુંક સમયમાં તેના ઘેર જવા દેવાની મંજુરી અપાશે તેમ જણાવાયું છે.