એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 31st December 2020

પાકિસ્તાનમાં ઐતિહાસિક હિન્દુ મંદિરને હિંસક બનેલા ટોળાએ તોડી પાડ્યું : બાદમાં લગાવી આગ

સ્થાનિક તંત્ર અને પોલીસના અધિકારી મૂક દર્શન બન્યા

ઇસ્લામાબાદ,તા. ૩૧: પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટના કરક જિલ્લામાં બુધવારે સ્થાનિક મોલવીઓની આગેવાનીમાં ધૂત બનેલી ભીડે એક હિન્દુ મંદિર તોડી નાખ્યું. એટલું જ નહીં, કટ્ટરપંથિઓની આ ભીડે મંદિરને આગના હવાલે પણ કરી દીધું.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો મંદિરની દિવાલ અને છતને તોડતા દેખાઇ રહ્યા છે. ત્યારે, મંદિર પર ટોળાએ એવી રીતે હુમલો કર્યો કે તેને સમગ્ર રીતે નસ્તેનાબૂદ કરી દીધું છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં મંદિરને નુકસાન પહોંચાડવાની આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ પાકિસ્તાનમાં મંદિરો પર હુમલા થતા રહ્યા છે.

વોયર ઓફ પાકિસ્તાન માઇનોરિટી નામના એક ટ્વિટર હેન્ડલથી પણ એક વીડિયો ટ્વિટ કરવામાં આવ્યો છે, જેમાં મંદિરને તોડતા લોકોને સ્પષ્ટ જોઇ શકાય છે. પાકિસ્તાનના એક પત્રકારે જણાવ્યા અનુસાર, હિંદુઓએ મંદિરનો વિસ્તાર કરવા માટે તંત્ર પાસેથી મંજૂરી લીધી હતી, પરંતુ સ્થાનિક મોલવીઓએ મંદિરને નષ્ટ કરવા માટે એક ટોળાની વ્યવસ્થા કરી. એમ પણ કહેવાય રહ્યું છે કે, સ્થાનિક તંત્ર અને પોલીસના અધિકારી મૂક દર્શક બન્યા રહ્યા કારણ કે મંદિર જમીન નીચે ધ્વંસ થયું હતું.

કરક જિલ્લાના તેરી ગામમાં સ્થિત ઐતિહાસિક મંદિર અને પરમહંસ જી મહારાજની સમાધી ૨૦૧૫માં એક સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, જીર્ણોદ્ઘાર અને વિસ્તાર કરવામાં આવી રહ્યો હતો. આ મંદિરને આ પહેલા ૧૯૯૭માં એક સ્થાનિક મુફ્તીએ નષ્ટ કરી દીધું હતું અને આના પર ગેરકાયદે કબજો કરી લીધો હતો.

કેટલાક લોકોએ આ ઘટનાને શરમજનક ગણાવી છે, જેની નિંદા કરતા દેશમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં હિન્દુ અલ્પસંખ્યકો પર અત્યાચાર અને જબરદસ્તી ધર્મપરિવર્તનના પણ સમાચાર સતત આવતા રહે છે.

(10:38 am IST)