Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભારતની યુવતી સાથે લગ્ન કરી હનીમૂન ઉજવી તરછોડી દેતા NRI પતિદેવોની સંખ્યામાં અધધ...વધારો:રાષ્ટ્રીય મહિલા આયોગના અહેવાલ મુજબ 20 હજાર જેટલી યુવતીઓએ હનીમૂન બાદ પતિને જોયો જ નથી

અમદાવાદ: વિદેશોમાં સ્થાયી થયેલા NRI યુવાનો ભારતની યુવતી સાથે લગ્ન કરી હનીમૂન ઉજવી વિદેશ ગયા પછી પત્નીને તેડાવવાનું નામ લેતા નથી આવી યુવતીઓની સંખ્યાનો આંકડો ચોંકાવનારો છે.

 રાષ્ટ્રીય મહિલા આયોગના એક આંકડા મુજબ, એનઆરઆઇ (નૉન રેસિડેન્ટ ઇન્ડિયન) યુવક સાથે લગ્ન કર્યા બાદ 20 હજાર યુવતીઓ એવી છે જેમણે હનીમૂન બાદ પતિને જોયો જ નથી. દર 8 કલાકે એનઆરઆઇ સાથે પરણેલી યુવતી મદદ માટે પોતાના ઘરે ફોન કરતી હોવાની વિગતો પણ બહાર આવી હતી. જાન્યુઆરી 2015થી નવેમ્બર 2017 સુધી 1064 દિવસમાં વિદેશ મંત્રાલયને 3328 આવી ફરિયાદો મળી હતી. આમાં સૌથી વધુ મહિલાઓ પંજાબની, પછી આંધ્ર-તેલંગાણાની અને ત્રીજો નંબર ગુજરાતનો છે.

    વધતી જતી આ સમસ્યાના નિરાકરણ માટે વિદેશ મંત્રાલયે પણ એવી જાહેરાત કરી છે કે દેશમાં આવી લગ્ન કરી બાદમાં તરછોડી દેતા પતિઓ સામે કાર્યવાહી કરાશે. તેમના ફોટો પણ વિભાગની વેબસાઇટ પર મુકવામાં આવશે. તેમને સમન્સ આપવામાં આવશે. અત્યારે વિદેશી પતિઓને નોટિસ આપવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકાર એનઆરઆઇ પતિ દ્વારા તરછોડાયેલી મહિલાઓને ન્યાય અપાવવા માટે મેરેજ એક્ટ, પાસપોર્ટ એક્ટ તથા ફોજદારી કાયદામાં ફેરફારની તૈયારી શરૂ કરી છે.

    આ અંગે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પ્રસ્તાવને કેન્દ્રીય કાયદા મંત્રાલયે મંજૂરી આપી છે. આવતા અઠવાડિયે ફેરફારને કેબિનેટની મંજૂરી મળશે એવી શક્યતા છે. અખબારમાં પણ નોટિસ આવતી હોય છે પણ ઉકેલ આવતો નથી. એવા પણ સૂચન થયા છે કે આવા કેસોમાં તેમના પાસપોર્ટ રદ કરી નાખવા જોઇએ અને સંપત્તિ જપ્ત થવી જોઇએ. દિલ્હી, હરિયાણા, તમિલનાડુમાં પણ આ દૂષણ છે. આ પ્રકારના લગ્નનું રજીસ્ટ્રેશન 7 દિવસમાં થઇ જશે તો જ વિઝા મળશે.

(12:07 pm IST)