Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

યુ.એસ.માં ઇન્ડિયન સિનિયર્સ શિકાગોની જનરલ મિટિંગ મળી : 260 જેટલા સભ્યોની ઉપસ્થિતિ : પ્રાર્થના,હનુમાન ચાલીસા,મેડિકેર અંગે માહિતી,નવરાત્રીનું મહત્વ,જન્મદિવસ મુબારકબાદી,પુસ્તક વિમોચન,મનોરંજન,આરતી,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ

 

શિકાગો :ઈન્ડીયન સિનિયર્સ ઓફ શિકાગોની  જનરલ મિટિંગ તારીખ 13, ઓક્ટોબર, 2018  શનિવારના રોજ સવારે 11:30 વાગે માનવ સેવા મંદિર, બેન્સનવીલ ખાતે મળી હતી, જેમાં 260 જેટલા સભ્યોએ હાજરી આપી હતી.આજની સભાનું સંચાલન કારોબારી સભ્ય શ્રી અરવિંદભાઈએ સફળતાપૂર્વક કર્યું હતું..

 

. કાર્યક્રમની શરૂઆત શ્રી ભુપેન્દ્ર સુથાર, હેમા શાસ્ત્રી,પન્ના શાહ, કાંતાબેન પટેલ તથા નલીનીબેન શાહ દ્વારા પ્રાર્થના તથા હનુમાન ચાલીસાથી કરવામાં આવી હતી. અને બધા ભાઈ બહેનોએ ગાવામાં સાથ પુરાવ્યો હતો.તે પછી શ્રી ભુપેન્દ્ર સુથારે ગાંધીજીનું પ્રિય ભજન 'વૈશ્ણવજન' સુંદર રાગમાં ગાયું હતું.
ત્યારબાદ શ્રી સીવી દેસાઈએ સપ્ટેમ્બર મહિનાનો સંપૂર્ણ હિસાબ રજૂ કર્યો હતો.સાથે સાથે ડોનેશન આપનાર સર્વે વ્યક્તિઓનાં નામ જાહેર કર્યાં હતાં.
તેઓશ્રીએ મેડિકેર સબંધી કેટલીક ઉપયોગી માહિતી આપી હતી.

ડો.અનંતભાઈ રાવલે નવા વર્ષમાં બધા સિનિયર્સ ભાઈ બહેનોને આશીર્વાદ આપ્યા હતા. તે પછી નવરાત્રી પર્વ વિષે બોલતાં  જણાવ્યું કે ભારત ઉત્સવ પ્રિય દેશ છે. વર્ષ દરમિયાન બે નવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છેએક ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9 અને બીજી આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી. તેઓએ માં દુર્ગાના નવ સ્વરૂપોની વિસ્તૃત માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે નવરાત્રી શક્તિની ઉપાસનાનો તહેવાર છે. સમગ્ર ભારતમાં પૂજા- હવન ,આરતી ,રાસ અને ગરબાથી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
  
પ્રો. શરદભાઈ શાહે 'સરદાર જયંતી' ની ઉજવણી પ્રસંગે  આપતાં જણાવ્યું કે 31 મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન હોવાથી ભારત સરકારે તેને 'રાષ્ટ્રીય એકતા દિન' તરીકે જાહેર કર્યો છે. પ્રો. શાહે જણાવ્યું કે સરદાર પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા.તેઓ બેરિસ્ટર હતા. તેમને ભારત રત્ન થી સન્માનવામાં આવ્યા હતા. સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી હતા. તેમના અનેરા કાર્યને બિરદાવવા સરદાર સરોવર ડેમ પર 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ( જે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા છે) જે બનાવવામાં આવી છે. જેની કુલ ઊંચાઈ 240 મીટર ( 800 ફૂટ ) છે.

શ્રી અરવિંદ કોટક અને શ્રી ભુપેન્દ્ર સુથારે ઓક્ટોબર માસમાં જે ભાઈ-બહેનોના જન્મદિવસ આવતા હતા તેઓને આગળ બોલાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બર્થ ડે કાર્ડ દરેક બર્થ ડે  વાળા સભ્યને આજના મહેમાન પ્રો. શરદભાઈ શાહે ના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌ ભાઈ-બહેનોએ અરવિદભાઈ અને ભુપેન્દ્રભાઈની  સાથે બર્થ ડે નું ગીત  'બાર બાર દિન આયે, તુમ જીઓ હઝારે સાલ,હેપી બર્થ ડે ટૂ યુ' ગાઈને બર્થ ડેની શુભેચ્છા પાઠવી હતીગ્રુપમાં બધાનો ફોટો લેવામાં આવ્યો હતો.

   મંત્રી શ્રી હીરાભાઈ પટેલે ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના ઉપક્રમે તારીખ 4, નવેમ્બર, 2018 ના રોજ આયોજિત વાર્ષિક મનોરંજન કાર્યક્રમની વિગતો આપી હતી અને જુદી જુદી કમિટીઓ અને સ્વયંસેવક ભાઈ બહેનોને સમયસર હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવવા વિનંતી કરી હતી.

જોઈન્ટ ટ્રેઝરર શ્રી મનુભાઈ શાહે તથા શ્રી નલીનભાઇ શાહે વાર્ષિક કાર્યક્રમમાં કરવામાં આવેલ બેઠક વ્યવસ્થા ની જાણ કરી હતી. તમામ સભ્યોને વાર્ષિક કાર્યક્રમની ટિકિટ મેળવી લેવા જણાવ્યું હતું. એડવાઈઝર ડૉ રસિકભાઈ શાહે લખેલ પુસ્તક " ન્યૂ ગ્લોબલ રૅલીગીન ફોર હૂમાનીતય" ની વિમોચન વિધિના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો શ્રી ડાહ્યાભાઈ પ્રજાપતિ (જનરલ સેક્રેટરી, માનવ સેવા મંદિર), શ્રી હરિભાઈ પટેલ (પ્રેસિડન્ટ,ભારતીય સિનિયર સીટીઝન ,શિકાગો ),શ્રી રમણભાઈ પટેલ,( પ્રેસિડન્ટ,યુનાઇટેડ સિનિયર સીટીઝન ,શિકાગો ), શ્રી શિરીષભાઈ અને શ્રી અશોકભાઈ ( પ્રેસિડન્ટ, સિલ્વર સિનિયર ગ્રુપ) નું પ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઇ પટેલે પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું. ડો. રસિકભાઈ શાહે સ્વરચિત પુસ્તક અંગે જરૂરી માહિતી આપી હતી. તેઓએ પુસ્તકના વિષય અસ્તુ, પૃથ્વીનું સર્જન, માનવજાતિની ઉત્પત્તિ, વૈશ્વિક જાગૃતતા, રૂઢિગત ધાર્મિક માન્યતાઓમાં પરિવર્તન વિષે છણાવટ કરી હતી.તેઓનું પુસ્તક અમેઝોન।કોમ પરથી પ્રાપ્ત કરી શકાય છે. વિમોચન વિધિ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ડો. રસિકભાઈ શાહના ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. અને અભિનંદન પાઠવ્યા હતા.
  
ગાંધી સમાજ ઓફ શિકાગોના પ્રેસિડન્ટ શ્રી હિતેશભાઈ ગાંધીએ 20 ઓક્ટોબર, 2018 ના રોજ આયોજિત રોહિત પારેખ એન્ડ પાર્ટીના રસ-ગરબા ના કાર્યક્રમમાં સર્વે સભ્યોને પધારવા નિમંત્રણ આપ્યું હતું અને સિનિયર્સને માત્ર 5 ડોલરમાં પ્રવેશ પાસ આપવાની જાહેરાત કરી હતી.

   નવરાત્રી પ્રસંગે માં દુર્ગાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. નરસિંહભાઇ પટેલે કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. શ્રી અરવીંદભાઈ કોટકે રમુજી ટુચકાઓ દ્વારા સભ્યોને ખુબ હસાવ્યા હતા.
 
શ્રીમતી હસુમતિ પટેલના જન્મદિન નિમિત્તે તેઓ તરફથી આઈના લંચ માટે મીઠાઈ અને ફરસાણની વ્યવસ્થા કરવામાં આવી હતી, તે બદલ શ્રી કાંતિભાઈ પટેલ અને શ્રીમતી હસુમતીબેનનો આભાર પ્રેસિડન્ટ ડો. નરસિંહભાઇ પટેલે માન્યો હતો. અને તેઓના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
         
અંતમાં સામુહિક શ્લોકનું પઠન કરી સર્વે સભ્યોએ સ્વાદિષ્ટ લંચ આરોગ્યું હતું અને સુખરૂપ વિદાય લીધી હતી. અંતમાં સમુહમાં શ્લોક બોલી બધાએ સ્વાદિષ્ટ ભોજન લઈ વિદાય લીધી હતી. તેવું ઇન્ડિયન સિનિયર્સ શિકાગો પ્રેસિડન્ટ શ્રી નરસિંહભાઇ પટેલની યાદી જણાવે છે.

 

(9:58 pm IST)