શિકાગો : ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના સભ્યોની માસિક સામાન્ય સભા શનિવાર તારીખ 14, એપ્રિલ ,2૦18 ના રોજ માનવ સેવા મંદિરમાં ૧૧:3૦ વાગે મળી હતી.જેમાં આશરે 220 જેટલા સભ્યોએ હાજરી આપી હતી.આજના કાર્યક્રમનું સંચાલન કારોબારી કમિટીના સંયુક્ત ટ્રેઝરર શ્રી મનુભાઈ શાહે સફળતાપૂર્વક કર્યું હતું
કાર્યક્રમની શરૂઆત કારોબારી સમિતિના સભ્ય શ્રી ભુપેન્દ્ર સુથાર, શ્રીમતી હેમા શાસ્ત્રી, શ્રીમતી નલિની શાહ, શ્રીમતી પન્ના શાહ અને શ્રીમતી ભાનુ પટેલ દ્વારા પ્રાર્થના તથા હનુમાન ચાલીસાથી કરવામાં આવી હતી અને બધા ભાઈ-બહેનોએ ગાવામાં સાથ પુરાવ્યો હતો. શ્રીમતી નલીનીબેન શાહે 'શરણમાં અપના લેજે પ્રભુજી ભજન સુંદર સ્વરોમાં ગાયુ હતું. તે પછી ટ્રેઝરર શ્રી સીવી દેસાઈએ માર્ચ, 2018 નો આવક જાવકનો હિસાબ રજૂ કર્યો હતો અને ડોનેશન આપનાર સભ્યોના નામ જાહેર કર્યા હતાં. શ્રી દેસાઈએ એપ્રિલ 28, 2018 ના રોજ આયોજિત એકલ વિદ્યાલયના ફંડ રેઈઝિંગ પ્રોગ્રામની પણ માહિતી આપી હતી.
શ્રી અરવિંદભાઈ કોટક અને શ્રી ભુપેન્દ્ર સુથારે એપ્રિલ માસમાં જે ભાઈ-બહેનોના જન્મદિવસ આવતા હતા તેઓને આગળ બોલાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બર્થ ડે કાર્ડ દરેક બર્થ ડે વાળા સભ્યને આજના મહેમાન શ્રી શરદભાઈ શાહ ના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌ ભાઈ-બહેનોએ શ્રી ભુપેન્દ્રભાઈની સાથે બર્થ ડે નું ગીત 'બાર બાર એ દિન આયે, તુમ જીઓ હઝારે સાલ,હેપી બર્થ ડે ટૂ યુ' ગાઈને બર્થ ડે ની શુભેચ્છા પાઠવી હતી. જન્મદિન પ્રસંગે બધા બર્થ ડે વાળા ભાઈ બહેનોનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.
શ્રી કાંતિભાઈ પટેલે આ વર્ષે આયોજન કરવામાં આવેલ યલોસ્ટોન, લાસ વેગાસ, ગ્રાન્ડ કેનિયન અને હુવર ડેમ ની ટુરમાં પૂરતી સંખ્યા ન થવાથી રદ કરવાની જાહેરાત કરી હતી અને આવતે મહિનામાં આવતા મધર્સ ડે માટે સારું પેઈંટીંગ કરી લાવવા સભ્યોને વિનંતી કરી હતી
પ્રેસિડન્ટ ડો. નરસિંહભાઈ પટેલે સંસ્થા દ્વારા આયોજિત જુદી જુદી ટુરો ની માહિતી આપી હતી અને સભ્યોને ટુરોનો લાભ લેવા વિનંતી કરી હતી. આ વર્ષે દુબઈ અને દક્ષિણ આફ્રિકા, પનામા કેનાલ અને દક્ષિણ અમેરિકા તથા હવાઈ ક્રુઝની ટુરનું આયોજન કરવામાં આવેલું છે તેની સંપૂર્ણ વિગતો આપી હતી.
જાણવા જેવી શ્રેણીમાં શ્રીમતી શર્મી ત્રિવેદીએ પ્લાસ્ટિકનો ઉપયોગ અને તેની આડ અસરો વિષે વિસ્તારથી વિગતો આપી હતી. કેટલીક વસ્તુઓનું નિદર્શન પણ કર્યું હતું.
કારોબારી કમિટીના સભ્ય શ્રી નલીનભાઇ શાહે 26 જુલાઈ, 2018 ના રોજ વિસ્કોન્સિન ડેલ્સના એક દિવસના પ્રવાસની માહિતી આપી હતી અને શ્રીમતી હેમાબેન શાસ્ત્રીએ 24 જૂનના દિવસે આયોજન કરેલ કેસિનો ટુરની વિગત આપી હતી. કારોબારી કમિટીના સભ્ય શ્રી નરેશ દેખતાવાળાએ તારીખ 11 ઓગષ્ટ, 2018 ના રોજ ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના સભ્યો દ્વારા રજૂ થનાર રંગારંગ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી. તેમાં રજૂ થનાર વિવિધ આઈટોમાં ભાગ લેવા સભ્યોને જાણ કરી હતી. તે ઉપરાંત 9 જૂન, 2018 ના મનોરંજન કાર્યક્રમની પણ માહિતી આપી હતી. પ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઈ પટેલે મે 11, 2018 ના રોજ આયોજિત ઐશ્વર્યા પંડિત અને સાહિલ સોલંકી ના સંગીત કાર્યક્રમ વિષે જાણ કરી હતી.
ભારતીય સમાજના સ્મશાનગૃહો અંગે ડૉ. ચંદ્રકાન્તભાઈ મોદી અને સુરેશભાઈ બોડીવાલાએ ઓડિયો- વિઝયુઅલ દ્વારા સુંદર માહિતી આપી હતી. ભારતીય સમાજના કોઈ વ્યક્તિના અવસાન બાદ અંતિમક્રિયા માટે વ્યાજબી ડરે વિધિપૂર્વક અગ્નિદાહ માટે શિકાગોના વિવિધ ફ્યુનરલ્સમાં શું વ્યવસ્થા છે તેની જાણ કરી હતી. આ સંબંધી ઉપયોગી માહિતી ધરાવતું પુસ્તક પ્રકાશિત કરવાની યોજનાની માહિતી આપી હતી. ભારતીય સમાજ માટે આ સુંદર કાર્ય કરી રહેલ ડૉ. મોદી અને શ્રી બોડીવાળાને સર્વે સભ્યોએ તાળીઓથી વધાવ્યા હતા.
ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના આમંત્રણને માન આપી પધારેલા શ્રી જગદીશભાઈ શાહ અને શ્રીમતી પલ્લવીબેન શાહે મનોરંજન કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. શ્રી જગદીશભાઈએ ભજનો, હિન્દી ફિલ્મોના જુના ગીતો , શ્રીનાથજીની સ્તુતિ વગેરે સુંદર સ્વરોમાં ગાયાં હતાં. 45 મિનિટના મનોરંજન કાર્યક્રમને તમામ સભ્યોએ આનંદપૂર્વક માન્યો હતો. સંસ્થા વતી બને કલાકારોનું પુચ્છગુચ્છથી બહુમાન કરવામાં આવ્યું હતું.
શ્રી યોગેશ દેસાઈ અને શ્રીમતી અંજના દેસાઈની 40 મી લગ્નતિથિ પ્રસંગે સંસ્થા તરફથી પુચ્છગુચ્છથી બહુમાન કરવામાં આવ્યું હતું.આજના જમણવારમાં બકલાવાની મીઠાઈ સ્પોન્સર કરવા બદલ તેઓનો આભાર માનવામાં આવ્યો હતો.
અંતમાં શ્લોક અને પ્રાર્થના ગાયા બાદ સર્વે સભ્યોએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માન્યો હતો અને વિદાય લીધી હતી. તેવું પ્રેસિડન્ટ શ્રી નરસિંહભાઇ પટેલના અહેવાલ દ્વારા શ્રી ચિતરંજન દેસાઇની યાદી જણાવે છે.