Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

‘‘મધર્સ ડે, મેમોરીઅલ ડે, ગુજરાત ડે, તથા બર્થ ડે'': યુ.એસ.માં ઇન્‍ડિયન સિનીયર્સ ઓફ શિકાગો દ્વારા ૧૨મેના રોજ કરાયેલી ઉમંગભેર ઉજવણી

શિકાગો : ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના સભ્યોની  માસિક સામાન્ય સભા શનિવાર તારીખ 12 મે,૨૦૧8 ના રોજ માનવ સેવા મંદિર બેન્સનવીલ, શિકાગો ખાતે ૧૧:3૦ વાગે મળી હતી.જેમાં આશરે 210 જેટલા સભ્યોએ હાજરી આપી હતી.શ્રી મણિલાલ પટેલ, શ્રી ચંદ્રકાન્ત પટેલ અને શ્રી ભીખાભાઇ પટેલે સર્વેને આવકાર આપ્યો હતો અને જુલાઈ માસની પિકનિકમાં જોડાનાર સભ્યોના નામનું રજીસ્ટ્રેશન કર્યું હતું.કાર્યક્રમની શરૂઆત કારોબારી સમિતિના સભ્ય શ્રી ભુપેન્દ્ર સુથાર, શ્રીમતી હેમા શાસ્ત્રી,શ્રીમતી નલિની શાહ, શ્રીમતી પન્ના શાહ અને શ્રીમતી મયુરા દેસાઈએ સર્વધર્મ પ્રાર્થનાનું ગાન કર્યું હતું. ત્યારબાદ સર્વે સભ્યોએ સામુહિક રીતે શ્રી હનુમાન ચાલીસાનું ગાન  કર્યું હતું. શ્રી અરવિંદભાઈ કોટકે 'એક જ દે ચિનગારી મહાનલ' ભજન ગાયું હતું અને શ્રીમતી પન્ના શાહે 'માં મુઝે અપને આંચલમેં છુપાલે' ભજન સુંદર સ્વરમાં ગાયુ હતું. શ્રી નલિન શાહે બર્થ ડે કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.શ્રી સીવી દેસાઈએ એપ્રિલ મહિનાનો આવકજાવકનો હિસાબ રજુ કર્યો હતો, સાથે ડોનેશન આપનાર સભ્યોના નામ જાહેર કર્યાં હતા.

 

ત્યારબાદ એડવાઈઝરી કમિટીના સભ્ય શ્રી શરદભાઈ શાહે ગુજરાત સ્થાપના દિન પ્રસંગે વ્યક્તવ્ય રજૂ કર્યું હતું. ગુજરાતના ઝડપી આર્થિક વિકાસ અંગે આંકડાકીય માહિતી આપી તેમણે જણાવ્યું કે ગુજરાતએ ભારતનું ઝવેરાત છે અને સમગ્ર દેશના અર્થતંત્રનું ગ્રોથ એન્જીન છે. ગુજરાતના વિવિધ નિર્દેશકોની સુંદર માહિતી આપી હતી. કારોબારી કમિટીના સભ્ય શ્રી અરવિંદભાઈ કોટકે મેમોરિયલ ડે અંગે માહિતી આપી હતી. દર વર્ષે મેં મહિનાના છેલ્લા સોમવારે મેમોરિયલ ડે ઉજવાય છે.તેમણે જણાવ્યું કે શહીદોની યાદ માટે અને તેમની શહાદત બદલ આભાર વ્યક્ત કરવા આ દિવસ ઉજવાય છે.

મધર્સ ડે' ની ઉજવણી પ્રસંગે શ્રીમતી હેમાબેન શાસ્ત્રીએ પદ્ય સ્વરૂપમાં માતાના ગુણોનું સુંદર વર્ણન કર્યું હતુ. 'મા'ની સેવા ચારધામ યાત્રાથી પણ વધુ પવિત્ર છે અને 'મા' ના જીવનનો કોઈ પર્યાય નથી. માના આશીર્વાદનો ખજાનો કદી ખૂટતો નથી. માતા પ્રત્યે કુટુંબ અને સમાજનું ઋણ વગેરે અંગે તેઓએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે દરેક સર્જક પોતાની કૃતિ સાથે પોતાનું નામ જોડે છે જયારે મા એક એવી મહાન સર્જક છે કે જે બાળકનું સર્જન કરે છે પરંતુ નામ પિતાનું આપે છે. ત્યાબાદ 77 વર્ષ ઉપરની ઉંમરની મધર્સ ને આગળ બોલાવી ખુરશીઓ પર બેસાડી તેઓનું ગુલાબના ફૂલોથી ડો. રસિકભાઈ શાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સર્વે સભ્યોએ તાળીઓથી તેઓનું સ્વાગત કર્યું હતું. મધર્સ ડે ને અનુરૂપ શ્રીમતી ભદ્રાબેને 'મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લો' ગીત તેમના ભાવવાહી સ્વરોમાં ગાયું હતું. શ્રી ભુપેન્દ્ર સુથારે 'મધર્સ ડે' ને અનુરૂપ કેટલીક શાયરીઓ રજુ કરી હતી.ગ્રુપ ફોટો પણ લેવામાં આવ્યો હતો. 

કારોબારી કમિટીના સભ્ય શ્રી કાંતિભાઈ પટેલે મધર્સ ડે પ્રસંગે સિનિયર ભાઈ બહેનો દ્વારા 25 જેટલાં સુંદર ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં તે મંગાવ્યાં હતાં. અને બધા ભાઈ બહેનોને ચિત્રો સાથે બધાની સામે ઉભા રાખ્યા હતા અને દરેક કલાકારનું પ્રેસિડન્ટ ડો. નરસિંહભાઇ પટેલ દ્વારા ગુલાબનું ફૂલ આપી સન્માન્યા હતા. આ નવતર પ્રયોગને ખુબ જ સારી સફળતા મળી હતી. તે પછી બધાનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો. 

શ્રી મનુભાઈ શાહે નર્તન સંસ્થાના સંચાલિકા શ્રીમતી મૃગાક્ષીબેન પટેલની ઓળખવિધિ કરાવી હતી. શ્રીમતી મૃગાક્ષીબેને તેમની સંસ્થા દ્વારા 16 જૂન, 2018 ના રોજ ઉજવનાર નૃત્ય પ્રોગ્રામ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને સર્વે સભ્યોને સહકાર આપવા વિનંતી કરી હતી. શ્રી સી વી દેસાઈએ શ્રીમતી મૃગાક્ષીબેનનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.

Souls Care Services ના શ્રી ચિરાગ શાહની ઓળખાણ શ્રી હીરાભાઈ પટેલે આપી હતી.શ્રી ચિરાગભાઈ શાહે મેડિકેર-મેડિકેડ  દ્વારા કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.તેમણે જણાવ્યું કે સિનિયરોને નર્સીંગ સેવા, ફિઝિકલ થેરેપી, સ્પીચ થેરેપી, હોમ મેકર, જેવીઅનેક સેવાઓ ઉપલબ્ધ છે. ઇન્ડિયન સિનિયર ઓફ શિકાગોના પ્રેસિડન્ટ ડો. નરસિંહભાઇ પટેલે શ્રી ચિરાગ શાહનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.

સેક્રેટરી શ્રી હીરાભાઈ પટેલે આચાર્ય ડૉ. સી. એલ. શાસ્ત્રીના અવસાન નિમિત્તે શોક ઠરાવ રજૂ કર્યો હતો અને અને બધા સભ્યોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શ્રી હીરાભાઈ પટેલે ' મધર્સ ડે' દિવસને ધ્યાનમાં રાખીને જાહેરિત કરી હતી કે આજના લંચ માટે પીરસવાની જવાબદારી ભાઈઓ ઉપાડશે અને સર્વે બહેનોને પ્રથમ લંચ પીરસવામાં આવશે. શ્રી નલીનભાઇ શાહે 26 જુલાઈના દિવસે યોજાયેલ વિસ્કોન્સિન ડેલ્સની ટુર અંગે,શ્રીમતી હેમાબેન શાસ્ત્રીએ 26 ઓગષ્ટના  રોજ યોજાનાર કસીનો ટુર અંગે માહિતી આપી હતી અને સભ્યોને તેનો લાભ લેવા વિનંતી કરી હતી. 

ડૉ. નરસિંહભાઈ પટેલે ઑગષ્ટની 11 મી તારીખે સંસ્થાના સિનિયર સભ્યો દ્વારા થનારા મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેવા સર્વે સભ્યોને વિનંતી કરી હતી. જુલાઈની 14 મી તારીખે આયોજિત વાર્ષિક પિક્નિકના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી અને આ પીકનીક માટે સર્વે ભાઈ બહેનીને કેશ કે વસ્તુના રૂપમાં મદદ કરવા વિનંતી કરવામાં આવી હતી. આ વર્ષની પીકનીક માટે સર્વ સભ્યોએ ઉદારતાથી દાન આપ્યું છે તે માટે સર્વે સભ્યોનો આભાર માનવામાં આવ્યો.

   અંતમાં શ્લોકનું પઠન કરીને સ્વાદિષ્ટ ભોજન આરોગી સર્વે સભ્યોએ સહર્ષ વિદાય લીધી હતી તેવું ISC પ્રેસિડન્‍ટ શ્રી નરસિંહભાઇ એમ.પટેલના અહેવાલ દ્વારા શ્રી ચિંતરંજન દેસાઇની યાદી જણાવે છે.

(9:37 am IST)