Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

‘‘બ્રેકફાસ્‍ટ રિવોલ્‍યુશન'': ભારતમાંથી કુપોષણનું દૂષણ નાબુદ કરવાના ધ્‍યેય સાથે શરૂ કરાયેલ નોનપ્રોફિટ પ્રોજેકટઃ ડો.પંકજ જેઠવાણી તથા તેમના માતુશ્રી સુશ્રી નિલમબેન જેઠવાણીએ ૨૦૧૪ની સાલથી શરૂ કરેલા સેવાયજ્ઞનો વ્‍યાપ અમેરિકા સુધી પહોંચ્‍યોઃ ૨૦૧૮ના અંત સુધીમાં ૧ લાખ તથા ૨૦૨૨ સુધીમાં ૧ મિલીયન ભારતીયોને પૌષ્‍ટીક નાસ્‍તો તથા સારવારથી કુપોષણમુક્‍ત કરવાની નેમ

યુ.એસ.: ભારતમાં કુપોષણથી પીડાતા લોકોને સારવાર આપી સમગ્ર દેશમાંથી કુપોષણની દૂષણ નાબુદ કરવાના ધ્‍યેય સાથે ૨૦૧૪ની સાલમાં ભારતમાં સ્‍થપાયેલ નોનપ્રોફિટ બ્રેકફાસ્‍ટ રિવોલ્‍યુશનની શાખા યુ.એસ.માં શરૂ કરાઇ છે.

ડો.પંકજ જેઠવાણી તથા તેમના માતુશ્રી નિલમ જેઠવાણીએ શરૂ કરેલા આ રજીસ્‍ટર્ડ નોનપ્રોફિટ ‘બ્રેકફાસ્‍ટ રિવોલ્‍યુશન' નામક સેવા યજ્ઞ દ્વારા દેશની સ્‍કૂલો, આંગણવાડીઓ, હોસ્‍પિટલો, NGO, અનાથાશ્રમ, સહિતના સ્‍થળોએ સારવાર આપવાનું કામ થાય છે જેનો વ્‍યાપ મહારાષ્‍ટ્ર, ગુજરાત, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ તથા દિલ્‍હીમાં વધુ છે.

યુ.એસ.માં પણ આ પ્રોજેકટ ઇન્‍ડિયન અમેરિકન દાનવીર શ્રી અરૂણ ભણશાલી તથા ડો.શિરીષ પાત્રાવાલાના માર્ગદર્શન તથા મદદથી શરૂ કરાયો છે.

આ સેવાયજ્ઞ અંતર્ગત ૧૦૦ ટકા વિટામીન તથા લોહતત્‍વ પુરૂ પાડતો નાસ્‍તો આપવામાં આવે છે ઉપરાંત હેલ્‍થ ચેક અપ કરી આપવામાં આવે છે. પ્રોજેકટ શરૂ થયાથી અત્‍યાર સુધીમાં પાંચ મિલીયન ડીશ અપાઇ ગઇ છે જેનો લાભ ૫૦ હજાર જેટલી મહિલાઓ તથા બાળકોને મળ્‍યો છે એક અંદાજ મુજબ ભારતમાં પચાસ ટકા જેટલા બાળકો કુપોષણથી પીડાય છે તેથી યુ.એસ.ના દાતાઓની પણ મદદ મેળવી ૨૦૧૮ની સાલના અંત સુધીમાં ૧ લાખ તથા ૨૦૨૨ સુધીમાં ૧ મિલીયન જેટલા લોકોને કુપોષણથી મુક્‍ત કરવાનો હેતુ છે.

(11:06 pm IST)