Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

શિકાગો નજીક હોફમેન એસ્‍ટેટમાં આવેલ જલારામ મંદિરમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીયુત અટલબિહારી વાજપેયીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવાનો એક કાર્યક્રમ ઓવરસીસ ફ્રેન્‍ડસ ઓફ બીજેપીના ઉપક્રમે ઓગષ્‍ટ માસની ૨૨મી તારીખને બુધવારે સાંજના સાડા છ વાગ્‍યાથી આઠ વાગ્‍યા દરમ્‍યાન યોજવામાં આવેલ છે આ પ્રસંગે ડો.ભરતભાઇ બારાઇ, અમર ઉપાધ્‍યાય, યુવા પાંખના નેતા નિરવ પટેલ, ફ્રેન્‍ડસ ઓફ ઓવરસીસ બીજેપી શિકાગો ચેપ્‍ટરના પ્રમુખ આચાર્ય રોહિતભાઇ જોશી, તેમજ અનેક મહાનુભાવો શ્રી અટલજીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરશેઃ શિકાગોની સિનીયર સંસ્‍થા તેમજ અન્‍ય ભારતીય સંગઠનના નેતાઓ પણ મોટી સંખ્‍યામાં હાજરી આપશે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને લોકલાડીલા નેતા શ્રી અટલબિહારી વાજપેયીજીનું ગઇ ઓગષ્‍ટ માસની ૧૬મી તારીખે અચાનક અવસાન થતાં વિદેશોમાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્‍યોમાં ઘેરો શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી અને તેની અસર અમેરીકામાં ભીન્‍ન ભીન્‍ન શહેરોમાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્‍યોમાં થવા પામી હતી.

સદગતના આત્‍માને શાંતિ મળે તે માટે ઓવરસીસ ફ્રેન્‍ડ્‍સ ઓફ બીજેપી શિકાગો ચેપ્‍ટરના ઉપક્રમે શિકાગો નજીક હોફમેન એસ્‍ટેટમાં આવેલ પૂજય જલારામ બાપાના ભવ્‍ય કલાત્‍મક મંદિરના આરાધના હોલમાં ઓગષ્‍ટ માસની ૨૨મી તારીખને બુધવારે સાંજના સાડા છ વાગ્‍યાથી આઠ વાગ્‍યા દરમ્‍યાન એક શ્રધ્‍ધાંજલી સભાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભારતીય સમાજના જાણીતા કાર્યકર ડો.ભરતભાઇ બારાઇ, યુવા પાંખના નેતા નિરવ પટેલ, બીજેપીના અગ્રણી અમર ઉપાધ્‍યાય તેમજ શિકાગો ચેપ્‍ટરના પ્રમુખ આચાર્ય રોહિતભાઇ જોશી તેમજ સીનીયર સંસ્‍થા તથા અન્‍ય ભારતીય સમાજના આગેવાનો સદગત અટલજીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરશે તો ભારતીય સમાજના તમામ સભ્‍યોને આ શ્રધ્‍ધાંજલી સભામાં પધારવા નમ્ર વિનંતી કરવામાં આવે છે.

આ અંગેની જરૂરી માહિતી આચાર્ય રોહિતભાઇ જોશી ૭૭૩-૪૫૬-૩૨૮૯ , નિરવ પટેલ ૬૩૦-૭૦૯-૯૯૦૨ અથવા અમર ઉપાધ્‍યાય ૮૪૭-૨૨૬-૪૯૨૯ પાસેથી મળી રહેશે.

આ શ્રધ્‍ધાંજલી સભામાં સ્‍વ.અટલબિહારી વાજપેયીજીની વિડિયો કલીપ પણ બતાવવામાં આવશે અને ત્‍યારબાદ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે એવું રોહિતભાઇ જોશીએ અમારી એક મુલાકાતમાં જણાવ્‍યુ હતુ. 

(10:00 pm IST)