Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

‘‘૧૫મો પ્રવાસી ભારતીય દિવસ'': ઉતર પ્રદેશના વારાણસીમાં આગામી ૨૧ થી ૨૩ જાન્‍યુ ૨૦૧૯ દરમિયાન થનારી ઉજવણીઃ ભારતના વડાપ્રધાન શ્રીનરેન્‍દ્ર મોદી તથા મોરેશિઅસના હિન્‍દુ વડાપ્રધાન શ્રી પ્રવિણ જગનાથના હસ્‍તે ઉદઘાટન થશે

વોશીંગ્‍ટનઃ ૧૫મો પ્રવાસી ભારતીય દિવસ આગામી ૨૧ થી ૨૩ જાન્‍યુ ૨૦૧૯ દરમિયાન ઉત્તર પ્રદેશના વારાણસી મુકામે ઉજવાશે.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી તથા મોરેશિઅસના હિન્‍દુ વડાપ્રધાન શ્રી પ્રવિણ જગનાથના વરદ હસ્‍તે ખુલ્લા મુકાનારા આ દિવસમાં વિશ્વભરમાંથી ભારતીયો જોડાશે. જેઓ આ સમય દરમિયાન અલ્‍હાબાદ મુકામે અર્ધ કુંભમેળાનો તથા કુંભ સ્‍નાનનો પણ લાભ લઇ શકશે. ઉપરાંત ૨૬ જાન્‍યુ.ના રોજ ઉજવાનારા પ્રજાસત્તાક પર્વમાં પણ જોડાઇ શકશે.

ભારતના વિદેશ મંત્રાલય તથા ઉત્તર પ્રદેશ સરકારના સંયુક્‍ત ઉપક્રમે ઉજવાનારા આ પ્રવાસી ભારતીય દિવસ વિષે વોશીંગ્‍ટન મુકામે ભારતના કોમ્‍યુનીટી અફેર્સ મિનીસ્‍ટર શ્રી અનુરાગ કુમારએ જાણકારી આપી હતી.

આ પ્રવાસી ભારતીય દિવસનું સૂત્ર ‘‘રોલ ઓફ ઇન્‍ડિયન ડાયસ્‍પોરા ઇન બિલ્‍ડીંગ ઓફ ન્‍યુ ઇન્‍ડિયા'' રહેશે.

આ દિવસે ભારતના વિકાસમાં મહત્‍વનું યોગદાન આપનાર વિશ્વ વ્‍યાપ્‍ત ભારતીયોને ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન એવોર્ડ'' આપી બહુમાન કરાશે.

ઉલ્લેખનીય છે કે ૧૯૧૫ની સાલમાં મહાત્‍મા ગાંધી ૯ જાન્‍યુ.ના રોજ સાઉથ આફ્રિકાથી ભારત પરત આવ્‍યા હતા તેની સ્‍મૃતિમાં ૨૦૦૩ની સાલથી દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. જે ૨૦૧૫ની સાલ સુધી દર વર્ષે યોજાતો હતો બાદમાં દર બે વર્ષે યોજવામાં આવે છે.

(8:57 pm IST)