Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

દારેસલામ – ટાન્ઝાનિયા હિન્દ મહાસાગરમાં શ્રી હરિકૃષ્ણ ભગવાનને પંચામૃતથી અભિષેક – સમુદ્ર સ્નાન...

પૂર્વ આફ્રિકામાં ઝાંઝીબાર” અને  ટાન્ગનીકા બંને નજીકના બે દેશો મળીને એક દેશ થયો છે. તેનું સંયુક્ત નામ ટાન્ઝાનિયા કરવામાં આવ્યું હતું. દારેસલામ ટાન્ઝાનિયા રાષ્ટ્રનું મુખ્ય શહેર છે ને જે તે સમયે રાજધાની પણ હતી. તા. ૨-૧-૨૦૧૯ થી તા. ૫-૧-૨૦૧૯ સુધી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ટાન્ઝાનિયાના દારેસલામમાં બિરાજી સત્સંગી બંધુઓને કારણ સત્સંગનો દિવ્ય લાભ આપ્યો હતો. યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપા ૭૦ વર્ષ પહેલા સત્સંગના બીજ રોપ્યાં હતાં, ત્યારથી લઈને આજ સુધી સત્સંગનો અવિરત વિકાસ થઇ રહ્યો છે. ચાર દિવસના રોકાણ દરમ્યાન સ્વાગત, પધરામણી, મહાપૂજા, પારાયણો, આશીર્વાદ, શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી અભિષેક, સમુદ્ર સ્નાન જેવા પ્રસંગો યોજાયા હતા.

હિન્દ મહાસાગરમાં શ્રી હરિકૃષ્ણ ભગવાનને પંચામૃતથી અભિષેક – સમુદ્ર સ્નાન...

ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પાવન પાદારવિન્દથી અનેકવાર પુનિત બનેલા હિન્દ મહાસાગર તટે  શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ આચાર્ય સ્વામીજી મહારાજ, સંતો અને હરિભક્તો નિયત સમયે પહોચ્યા હતા. સાગર કિનારે સહુ સભાના રૂપમાં બેસી ગયા. ત્યારબાદ શ્રી હરિકૃષ્ણ મહારાજને ઘી, દૂધ, દહીં, મધ અને કેસર જળ – પંચામૃતથી દાર્શનિકસાર્વભૌમ આચાર્ય સ્વામીજી મહારાજે સ્નાન કરાવ્યું હતું. પૂજનીય સંતોએ આ અવસરે કીર્તન ગાયું હતું,

સખી નાવા પધાર્યા ઘનશ્યામ રે, હિન્દ મહાસાગરમાંય રે...

સાથે લીધો છે મુક્ત સમાજ રે ...હિન્દ મહાસાગરમાંય રે...

સૌ સંતો-ભક્તોએ પંચામૃત પ્રસાદી જળથી આચાર્ય સ્વામીજી મહારાજને સ્નાન કરાવ્યું હતું. ત્યારબાદ સંતો-ભક્તો સહ સમુદ્રમાં સ્નાન કરવા પધાર્યા હતા. સમુદ્ર જળમાં સૌ સંતો-ભક્તોને ભેટી અને સંભારણું કરી આપ્યું હતું. આચાર્ય સ્વામીજી મહારાજે રમત ગમતની સાથે દિવ્યાનંદ આપ્યો હતો. તેનાથી સર્વ સંત હરિભક્તો અત્યંત હર્ષોલ્લાસમાં મશગૂલ બની ગંદા ઘેલા બની ગયા હતા. અત્રેના નાગરિકો પણ આ લીલા જોઇને એમ માનતા હતા કે, આવા મોટા ભગવાનના મહાન સંત સહુની સાથે હળીમળીને સુખ આપે છે, એજ મોટાની મહાનતા છે. સમુદ્ર સ્નાન બાદ બહાર આવી વસ્ત્રો પહેરીને ઉતારે પધાર્યા હતા.

(12:03 pm IST)