Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

અમેરિકાના ન્યુયોર્કમાં 8 જૂન 2019 ના રોજ નીકળી જગન્નાથજીની સવારી : આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના ઉપક્રમે આયોજિત રથયાત્રામાં જગન્નાથજી ,બલભદ્રજી,તથા સુભદ્રાજીનો રથ ખેંચવાનો લહાવો મળવાથી ભાવિકો ભાવવિભોર : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ પણ રથયાત્રામાં જોડાયા

શનિવાર ૮મી જૂનના અનુકુળ તાપમાનનો ફાયદો ન્યૂયોર્કના રહેવાસિઓએ શહેરના રાજમાર્ગ સમાન ફિફ્થ એવન્યુ ઉપર આંતર રાષ્ટ્રિય કૃષ્ણ ભાવના સંઘ તરફથી યોજવામાં આવેલી  રથયાત્રા દરમ્યાન સરઘસના રૂપમાં ચાલીને ઉઠાવ્યો હતો. બપોરના બાર વાગ્યાના નિર્ધારિત સમયે ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ શ્રી શત્રુઘ્ન સિંહા તેમજ સંસ્થાના મુખ્ય સન્યાસિઓના હાથે નરિયેળ વધેરાયા બાદ  શ્રી જગન્નાથજી, બલદેવજી તેમ સુભદ્રાજીએ પોત પોતાના રથમાં વિરાજીને પ્રસ્થાન કર્યું હતું. રથયાત્રાના મુખ્ય મહેમાન તરીકે ૨૦૨૦ની સાલની ચૂંટણીના હરિફ સુ શ્રી તુલસી ગબ્બર્ડ રહ્યા હતા. "થોડા સમય પુરતું રાજકારણને બાજુમાં મુકીને આજે મ્હારે ભક્તિમાં તરબોળ થઈ જવું છે" એમ કહીને તેમણે તેમના સુંદર કંઠે કીર્તન ગવડાવવાનું શરુ કર્યું હતું. સર્વે આમંત્રિત મહેમાનો સાથે અંગત સ્તરે હળવા મળવાનો સમય પણ તેમણે આપ્યો હતો.રથયાત્રામાં અનેક ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો. ઉપરાન્ત રથયાત્રાને નિહાળવા હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી. રથને બાંધેલા દોરડાં ખેંચીને ત્રણેય રથોને મહા મંત્રનું ગાન  સતત રટણ કરતે કરતે પ્રખ્યાત વોશિગ્ટન સ્વેર પાર્કમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભક્તોના મનોરંજન માટે  સંગીત અને ભજન-કિર્તનનો કાર્યક્રમ સાંજના સાત વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. સાથે સાથે સ્વાદિષ્ટ શાકાહારી પ્રિતિ ભોજનની પણ સર્વે માટે નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતિય કલા, કારીગીરી, સ્થાપત્ય, શિલ્પ અને ફોટોગ્રાફનું અનોખું પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ ન્યુયોર્કના ભૌતિક વાતાવરણની વચ્ચે લગભગ દસ હજાર શ્રધ્ધાલુઓએ શ્રી કૃષ્ણની પર્યટન લીલાના આધ્યાત્મિક સ્વાદમાં તરબોળ થઈને દિવસ પસાર કર્યો હતો. સંસ્થાની વધુ જાણ માટે www.nyckrishnafestival.com  અથવા

૭૧૮-૮૯૭-૨૨૬૭ ઉપર નિખિલ કે શૈલા ત્રિવેદીનો સંપર્ક સાધવો.

(8:42 pm IST)