Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

અમેરિકાના ન્યુયોર્કમાં કોરોનાથી 15 હજાર નાગરિકોના મોત : 15 મે ના રોજ લોકડાઉન પૂરું થયા પછી ન્યુયોર્ક સિટીને બાદ કરતાં સ્ટેટના 3 શહેરો ક્રમશઃ ખુલ્લા મુકાશે : ન્યુયોર્ક સીટી જૂન મહિના સુધી બંધ

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં કોરોનાથી 15 હજાર નાગરિકોના મોત થયા છે. 15 મે ના રોજ લોકડાઉન પૂરું થયા પછી ન્યુયોર્ક સિટીને બાદ કરતાં સ્ટેટના 3 શહેરો ક્રમશઃ   ખુલ્લા મુકાશે જયારે  ન્યુયોર્ક સીટી જૂન મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ન્યુયોર્ક  સિટીના મેયર બિલ ડે બ્લાસિયોએ આ માહિતી આપી છે. ન્યૂયોર્કમાં પ્રતિ દિન હોસ્પિટલમાં દાખલ થનાર, આઇસીયુમાં એડમીટ થતાં દર્દીઓ અને મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ મેયરે કહ્યું કે અધિકારીઓ ફરી શહેરને ખોલવાનો વિચાર કરે, એ પહેલાં આ ઘટાડો ચાલું રહેવો જોઈએ. ન્યૂયોર્કના મેયર બ્લાસિયોએ સોમવારે પોતાની નિયમિત પત્રકાર પરિષદમાં કહ્યું કે, શહેર ફરી ખોલવાની વાત કરીએ તો સ્પષ્ટ રુપે હજુ સુધી અમે આ માટે તૈયાર નથી. એટલા માટે મારું માનવું છે છે કે એ કહેવું યોગ્ય રહેશે કે જૂનમાં અમે કેટલીક વાસ્તવિકતામાં ફેરફાર કરી શકીશું એ પણ ત્યારે જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો થાય. ન્યૂયોર્કના મેયરે ઉમેર્યું કે મેના અંતમાં કે જૂનની શરુઆતમાં અમે અંતરને માપવામાં સક્ષમ બની શકીશું. આ દરમિયાન ગર્વનર એન્ડ્રયૂ કુઓમોએ જાહેરાત કરી કે ન્યૂયોર્ક પ્રાંતના ત્રણ ક્ષેત્રો - ફિંગર લેક્સ, સદર્ન ટીયર અને મોહાક વેલી રીજન્સ - એ સાત માપદંડ પૂરા કરે છે, જે રાજ્યની પ્રાદેશિક ચરણબદ્ધ છૂટ પહેલાં ચરણને પૂરાં કરે છે. ન્યૂયોર્ક રાજ્યના બંધની વર્તમાન સમયમર્યાદા 15 મેના રોજ પૂર્ણ થાય છે.
ગર્વનર કુઓમોએ કહ્યું કે જો આ જ વલણ કાયમ રહે છે તો 15 મેથી ત્રણ ક્ષેત્રોમાં પ્રથમ ચરણ માટે વેપાર-ધંધા શરુ કરવામાં આવશે, જેમાં બાંધકામ, ઉત્પાદન, જથ્થાબંધ પુરવઠાની ઉપલબ્ધતા, કરિયાણાનો વેપાર, કૃષિ અને માછલી વ્યવસાયને મંજૂરી મળી શકે છે. તેમણે કહ્યું કે નોર્થ કન્ટ્રી અને સેન્ટ્રલ ન્યૂયોર્ક ક્ષેત્ર હજુ સાત પૈકી છ માપદંડ પૂરાં કરે છે.

(5:49 pm IST)