Gujarati News

Gujarati News

News of Thursday, 10th November 2022

અન્નકૂટ મહોત્સવ : 201 અવનવી મીઠાઇ-વાનગીઓ સાથે એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં લાભ પાંચમ પર્વે ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો :અન્નકૂટના દર્શનાર્થે 2200 જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા :ગોકુલધામના પ્રાંગણમાં 15 મિનિટ સુધી યોજાયેલી ભવ્ય આતશબાજી નિહાળી શ્રદ્ધાળુઓ આનંદથી ઝૂમી ઊઠ્યા

એટલાન્ટા. અમેરિકા : અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે નવા વર્ષ નિમિત્તે શનિવારે લાભ પાંચમ પર્વે ગોવર્ધનપૂજા સાથે અન્નકૂટ મહોત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરાઇ હતી. શિયાળાના પ્રારંભે ફુલગુલાબી ઠંડીનો ચમકારો હોવા છતાં 201 અવનવી મીઠાઇ-વાનગીઓ સાથે આયોજિત આ ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે 2200 જેટલાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રાત્રે 7.30 વાગે ભવ્ય આતશબાજી સાથે અન્નકૂટ મહોત્સવનું સમાપન થયું હતું.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટા ખાતે ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. આ હવેલીમાં દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે શનિવારે લાભ પાંચમ પર્વે શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી કલ્યાણરાયજી પ્રભુના સાંનિધ્યમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.15 ઓક્ટોબરે ગોકુલધામ હવેલીનો પંચમ પાટોત્ત્સવ ભવ્ય રીતે યોજાયો હતો.

શનિવારે સવારે 10 થી 11.30 સુધી ગોકુલધામ હવેલીના દર્શન ચોકમાં ગોવર્ધનપૂજા યોજાઇ હતી. ગોવર્ધન પૂજાના મનોરથી સુશ્રી બેલા-બિરેન શાહ અને સુશ્રી ગોપીબહેન મુન્શી સહિત વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ આ પૂજાનો લ્હાવો લઇ ગોવર્ધનજીની પરિક્રમા કરી હતી.

ત્યારબાદ બપોરે 3 થી રાત્રે 8 વાગ્યા સુધી શ્રી ઠાકોરજીના ભોગ અર્થે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. ગોકુલધામ હવેલીના મુખ્યાજી નરપત મહારાજ દ્વારા તૈયાર કરાયેલી 150 જેટલી અવનવી મીઠાઇઓ,વાનગીઓ અને વિવિધ પકવાન મળી 201 સામગ્રી-વાનગીઓ સાથેના આ ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.અન્નકૂટ દરમિયાન યોજાયેલી બે મહાઆરતીનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

અન્નકૂટ મહોત્સવના મુખ્ય મનોરથી સ્વ.દિલીપભાઇ તેમજ સુશ્રી સરોજબહેન પટેલ, સ્વ.વિપિનભાઇ અને સુશ્રી મનોરમાબહેન મજમુદાર અને સુશ્રી કિર્તીબહેન-હેમંતભાઇ પટેલ સહિત 25 મનોરથીઓનું શ્રી ઠાકોરજી સન્મુખ સન્માન કરાયું હતું
અન્નકૂટ મહોત્સવ સાથે આયોજિત નિ:શુલ્ક મહાપ્રસાદનો શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો. શ્રદ્ધાળુઓએ ગોકુલધામ હવેલીના સ્વયંસેવક ભાઇઓ-બહેનો દ્વારા આ મહોત્સવ વેળા કરાયેલી કાબિલેદાદ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણીને ભવ્ય અને દિવ્ય બનાવવા એક્ઝિક્યુટિવ સેક્રેટરી શ્રી તેજસ પટવા, ટ્રેજરર શ્રી કિન્તુ શાહ ટીમના સભ્યો શ્રી પરિમલ પટેલ,શ્રી સમીર શાહ, શ્રી અલકેશ શાહ, શ્રી દીપ ઠાકર, શ્રી કેતુલ ઠાકર, શ્રી હિતેષ પંડિત, શ્રી ભાવેશ સુરેજા, શ્રી મેહુલ પારેખ,શ્રી આત્મય તલાટી અને શ્રી આર્ષ તલાટી, શ્રી કરણ શાહ, તેમજ મહાપ્રસાદ સેવામાં સુશ્રી રંજનબહેન સિરોયા,શ્રી ધિરૂભાઇ પટેલ,શ્રી અશ્વિન પટેલ, શ્રી રાજુભાઇ પટેલ, શ્રી ગિરિશ શાહ, શ્રી આકાશ પટેલ, શ્રી નિકશન પટેલ શ્રી કિરીટ શાહ, શ્રી રજનીભાઇ શેઠ, શ્રી દર્શન પટેલ,શ્રી  વૈભવ શાહે જહેમત ઉઠાવી હતી. ગોકુલધામ સજાવટ ટીમની બહેનોએ અન્નકૂટ પ્રસાદ વિતરણની કામગીરી નિભાવી હતી.

રાત્રે 7.30 વાગે ગોકુલધામના પ્રાંગણમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. 15 મિનિટ સુધી યોજાયેલી ફટાકડાની ભવ્ય આતશબાજી નિહાળી દર્શનાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આતશબાજી સાથે અન્નકૂટ મહોત્ત્સવનું સમાપન થયું હતું તેવું શ્રી દિવ્યકાંત ભટ્ટની યાદી જણાવે છે.

(6:28 pm IST)