Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।।

માનવ જીવન મૂલ્યવાન છે. જીવનને સ્મરણ(ભજન), સેવા, સદાચાર અને સત્સંગથી શણગારવું જોઈએઃ - સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીની ઉપસ્થિતીમાં લંડન ખાતે હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર ચાલી રહ્યો છે.

સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી પરીવ્રાજક સંત છે. તેઓ સૌરાષ્ટ્રના નેસડા અને ગામડાથી લઈને દેશ-વિદેશના મહાનગરો સુધી અવિરત વિચરણ કરતા રહે છે. શાસ્ત્રોના રહસ્યોને પોતાના વર્તનમાં વણનારા સ્વામીશ્રી જ્યાં જ્યાં પધારે છે, ત્યાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને સત્સંગની લહેર પ્રસરી જાય છે.

અમેરીકા અને કેનેડાની સત્સંગ યાત્રા પૂર્ણ કરીને લંડન પધારેલા સ્વામીજીના સાનિધ્યમાં પંચદિનાત્મક હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર ચાલી રહ્યો છે. હિંદુ સંસ્કૃતિના ગૌરવસમા ગ્રંથરાજ શ્રીમદ્ ભાગવતજીને કેન્દ્રમાં રાખીને સ્વામીશ્રી સત્સંગનો લાભ આપી રહ્યા છે.

ભગવાન અને ભાગવતજીનું પૂજન કરીને વ્યાસાસને બિરાજેલા સ્વામીશ્રીએ કથામૃતનું પાન કરાવ્યું હતું. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, 'માનવ જીવન મૂલ્યવાન છે. જીવનને સ્મરણ-ભજન, સેવા, સદાચાર અને સત્સંગથી શણગારવું જોઈએ.'

સ્વામીશ્રીએ ભાગવતજીના સંદેશને સમજાવતા કહ્યું હતું કે, 'મૂર્તિમાં ભગવાન સાક્ષાત્ બિરાજમાન હોય છે. આપણી આંખોની મર્યાદિત શક્તિને લીધે આપણને મૂર્તિમાં ભગવાન ન જણાય તો અનુભવી મહાપુરુષોનો સંંગ કરવો જોઈએ. આ પૃથ્વી પર સાક્ષાત્કારી સંત અવશ્ય વિચરતા હોય છે. એમનો યોગ અને ઓળખાણ થાય તો મનુષ્ય જીવન સાર્થક થઈ જાય.'

યુવાનોને ટકોર કરતાં સ્વામીજીએ જણાવ્યું હતું કે, 'દરેક યુવાન શરીર, પ્રાણ અને મનથી તંદુરસ્ત હોવો જોઈએ.'

'જેમ મંદિરમાં જઈને માળા કરનારો યુવાન અમને ગમે છે તેમ મેદાનમાં જઈને રમતો રમનારો યુવાન પણ અમને ગમે છે.' 'જીવનમાં શારીરિક સ્વાસ્થ્યનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ મહત્ત્વ પ્રાણના નિયમનનું છે. પ્રાણનું નિયમન એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની નિયમિતતા. પ્રાણાયામ દ્વારા આ પ્રક્રિયાને નિયમિત કરી શકાય છે. યુવાનોએ દરરોજ પ્રાણાયામ જેવી હળવી યોગિક ક્રિયાઓ કરવી જોઈએ.'

'મનને પવિત્ર રાખવા માટે સંગની પવિત્રતા ખૂબ જ જરૂરી છે. યુવાનોએ સોશ્યલ મિડીયાના દૂષણથી બચવું જોઈએ. સજ્જન પુરુષોનો સંગ અને સાત્વિક વાંચન માનવીના મનને શુભ વિચારોથી સમૃદ્ધ કરે છે.'

સ્વામીશ્રીના સત્સંગનો લાભ લેવા માટે લંડનના વિવિધ વિસ્તારમાંથી ભક્તજનો પધારી રહ્યા છે.

આ સેમિનારમાં પ.ભ.શ્રી શીવજીભાઈ ગોવિંદભાઈ કેરાઈ મુખ્ય યજમાન તરીકે લાભ લઈ રહ્યા છે. તદુપરાંત લંડન નિવાસી અને હિંદુધર્મ અને સમાજની સેવા કરનારા અ.નિ. શ્રીહરિભાઈ મૂળજીભાઈ હાલાઈ, શ્રીકચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, કેન્ટન-હેરોના અગ્રણી અ.નિ. શ્રીધનજીભાઈ શામજીભાઈ પીંડોરીયા અને ધર્મ તથા સમાજ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ કરનાર અ.નિ. શ્રીભીમજીભાઈ લક્ષ્મણભાઈ રાઘવાણી(નાઈરોબી)ની પવિત્ર સ્મૃતિ જોડાયેલી છે.

શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર - ઈસ્ટ લંડન તથા જીય્ફઁ ગુરુકુલ પરિવાર - લંડનના સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આ સેમિનારની વિવિધ સેવા પ્રવૃત્તિઓ ઉપાડી લીધી છે.

(11:24 am IST)