Gujarati News

Gujarati News

News of Sunday, 9th September 2018

નંદાલયની જેમ હૃદય પ્રેમથી ઉભરાય ત્યારે સાચો પ્રાગટ્યોત્સવ થાય

શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ, અમેરીકા ખાતે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

જ્યોર્જીયા : શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVPના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી અમેરિકાના સવાનાહ (જ્યોર્જીયા) ખાતે પધાર્યા છે. અહીં સ્વામીશ્રીના સાનિધ્યમાં સવાનાહ ગુરૂકુલમાં શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે જન્માષ્ટમીનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો.

આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઇ-બહેનોએ લાભ લીધો. સેવાભાવી ઉત્સાહી બહેનોએ બાલકૃષ્ણલાલનો ભવ્ય હિંડોળો સજાવ્યો હતો. આ પ્રસંગે ત્રિદિવસીય ભક્તિ-જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠેથી ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યનું રહસ્ય સમજાવતા સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, આપણું શરીર પણ ગોકુળ છે. 'ગો' શબ્દના અનેક અર્થ થાય છે. જેમાંથી એક અર્થ ગાયો થાય છે. જ્યાં ગાયોનો સમુદાય વસે એને ગોકુળ કહેવાય. ગોકુળ શબ્દનો બીજો અર્થ છે, ઇન્દ્રિયોનો સમુદાય- એટલે આપણું શરીર. ઈન્દ્રિયો ગાય જેવી પવિત્ર બનવી જોઇએ અને શરીર પવિત્ર અને સાત્ત્વિક બને ત્યારે ગોકુળ થયું કહેવાય.

આપણું હૃદય નંદાલય બનવું જોઈએ. આપણા હૃદયમાં નંદબાવા અને માતા યશોદા જેવો પ્રેમ ઉભરાય ત્યારે એ નંદાલય બને છે. આવા નંદાલયમાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે. આ સાચો પ્રાગટ્યોત્સવ છે. વિશેષમાં સ્વામીશ્રીએ ઘોષણા કરી હતી કે આવતા એપ્રિલ માસમાં તારીખ ૧૭ થી ૨૧ સુધી સનાતન મંદિરનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જેમાં કથાની સાથોસાથ યજ્ઞ, અભિષેક, અન્નકૂટ, રાજોપચાર પૂજન, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે અનેકવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે.

સાથે સાથે પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી મંદિરમાં ગુજરાતી ભાષાના વર્ગો તેમજ યોગના વર્ગો પણ શરૃ

થઈ ચૂક્યા છે.

આ મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી વેદાંતસ્વામી અને યુવાનોની ટીમે ઉત્સાહથી સેવા બજાવી હતી. આ પ્રસંગે આશરે સાંઇઠ જેટલા નાના દીકરા-દીકરીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને સર્વના દિલને જીતી લીધા હતા. રસોડાની સેવા ઉત્સાહી સેવાભાવી બહેનોએ ઉપાડી લીધી હતી. સંગીતકાર શ્રી ઘનશ્યામ ભગતે કીર્તનોની રમઝટ બોલાવી હતી.

(1:09 pm IST)