શિવસેનાના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરતા રાજકીય અટકળો વેગવંતી
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના મુદ્દે રાજ્યપાલને મળવા ગયા હતા
મુંબઇમાં શિવસેનાના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી આ પ્રતિનિધિમંડળ ધારાસભ્ય દળના નેતા એકનાથ શિંદે અને આદિત્યા ઠાકરેની આગેવાનીમાં રાજભવન પહોંચ્યું હતુ. રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગેનો અંતિમ નિર્ણય તેમના પિતા ઉદ્ધવ ઠાકરે લેશે. શિવસેનાના નેતા મહારાષ્ટ્રમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનના મુદ્દે રાજ્યપાલને મળવા ગયા હતા.
તેમણે ખેડૂતો અને માછીમારોને થયેલા નુકસાનની ભરપાઇની માંગણી કરી હતી બીજી તરફ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જે નક્કી થયું છે તેનાથી અમને કંઇ પણ ઓછું કે વધારે નથી જોઇતું. સૂત્રો મુજબ ઉદ્ધવ ઠાકરે તે વાત પર પણ ભાર આપી રહ્યા છે કે 2014ની વ્યવસ્થા કરતા આ વખતે ગઠબંધન સરકારમાં તેઓ વધુ હિસ્સેદારી ઇચ્છે છે. સૂત્રો મુજબ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના ધારાસભ્યોને તેમ પણ જણાવ્યું કે ભાજપે હજુ સુધી સરકારની રચના માટે સત્તા વહેચણીની કોઇ પણ ફોર્મુલા રજૂ કરી નથી.