મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં મોટો ઉછાળો: 24 કલાકમાં નવા 39,544 કેસ : નાગપુરમાં લોકડાઉન હટાવાયું
એકલા મુંબઇમાં 24 કલાકમાં 5,394 નવા કેસ :નાગપુરમાં હવે બાકીના જિલ્લાની જેમ નાઇટ કર્ફ્યૂ લાગુ રહેશે
મુંબઈ :મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ ફરી એકવાર ડરાવ્યા છે. છેલ્લા 3 દિવસથી મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો આવી રહ્યો હતો પરંતુ બુધવારે ફરી એકવાર ઉછાળો આવ્યો છે. આંકડાઓ પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,544 નવા કેસો સામે આવ્યા છે. આ અગાઉ સતત 3 દિવસથી કેસ ઘટી રહ્યા હતા. રાજ્યમાં 30 માર્ચને 27,918 કેસ, 29 માર્ચના રોજ 31,643 કેસ આવ્યા હતા. જ્યારે 28 માર્ચના રોજ 40,414 પોઝિટિવ મળ્યા હતા. એટલે કે 28 તારીખ બાદ 31 તારીખે તેમાં ફરી ઉછાળો આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 227 લોકોના મોત થયા છે. જ્યારે 30 માર્ચના રોજ 139 લોકોના મોત થયા હતા. એટલે કે 30 માર્ચની સરખામણીએ 31 માર્ચના રોજ મોતની સંખ્યા 88 વધી ગઇ છે. એકલા મુંબઇમાં 24 કલાકમાં 5,394 દર્દીઓ સામે આવ્યા છે. અને 15ના મોત થઇ ચૂક્યા છે. હાલ 3,56,243 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નાગપુરમાં લાગેલુ લોકડાઉન આજે હટાવાયું છે. નાગપુરમાં કોરોનાના વધતા કેસો બાદ 21 માર્ચે લોકડાઉન લગાવાયું હતું. નાગપુરમાં હવે બાકીના જિલ્લાની જેમ નાઇટ કર્ફ્યૂ જ લાગશે