'ભારત પહેલા, નાગરિકો પહેલા', ભાવનાને સાર્થક કરતું હશે નાણા બજેટઃ આખી દુનિયાની નજર ભારતના બજેટ પર હશેઃ નરેન્દ્રભાઇ મોદી આપ્યા સારા સંકેત
નવી દિલ્હીઃબજેટને લઈને દરેકને ઘણી અપેક્ષાઓ છે. બજેટમાં લોકોને શું મળ્યું તે બુધવારે સવારે 11 વાગ્યે સંસદમાં જાણી શકાશે, પરંતુ તે પહેલા જ આજે સંસદના બજેટ સત્ર પહેલા જ વડાપ્રધાને પોતાના સંબોધનમાં ઇશારો કરીને બજેટની દિશા જણાવી હતી.
પીએમ મોદીએ આજે સંસદ સંકુલથી પોતાના સંબોધનમાં કહ્યું કે આ સમયે દુનિયાભરની અર્થવ્યવસ્થા તોફાનનો સામનો કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં પણ ભારત વિશ્વ માટે આશાનું કેન્દ્ર બની રહ્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેમની સરકાર ઇન્ડિયા ફર્સ્ટ, સિટીઝન ફર્સ્ટની ભાવના સાથે કામ કરે છે. બજેટ પણ આ ભાવનાથી આગળ વધારવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે મને આશા છે કે ભારતનું બજેટ સામાન્ય લોકોની સાથે સાથે દુનિયાની આશાઓને પૂરી કરવાનો પ્રયાસ કરશે જે ભારતને આશાના કિરણના રૂપમાં જોઈ રહ્યા છે.
વડાપ્રધાનની વાત પરથી લાગે છે કે ચૂંટણી પહેલાના આ છેલ્લા બજેટમાં સરકાર લોકકલ્યાણકારી યોજનાઓ માટે સરકારી તિજોરી ખોલી શકે છે. આ ઉપરાંત મોંઘવારી ઘટાડવા અને બચત અને કમાણી વધારવા સાથે સંબંધિત જાહેરાતો પણ થઇ શકે છે. બજેટમાં સામાન્ય લોકો પણ ટેક્સ છૂટમાં વધારો કરવાની માગ કરી રહ્યા છે. વર્ષ 2014થી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે સામાન્ય લોકોને છેલ્લા બે બજેટથી સ્લેબમાં ફેરફારની આશા હતી, પરંતુ આ વિશે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.