મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક PM મોદીના વખાણ કરીને બધાને ચોંકાવી દીધા

આનંદ શર્માએ કોરોના વેકસીન બનાવી રહેલી કંપનીઓની મુલાકાત બદલ પીએમ નરેન્દ્રભાઇ મોદીના વખાણ કર્યા છે

નવી દિલ્હી, તા.૩૦: કોંગ્રેસ ભલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યપ્રણાલીની ટીકા કરે પરંતુ તેમના જ કેટલાક નેતાઓને હવે સાચા ખોટામાં અંતર સમજાવવા લાગ્યું છે. પાર્ટીના દિગ્ગજ નેતા ગણાતા આનંદ શર્માએ કોરોના વેકસીન બનાવી રહેલી કંપનીઓની મુલાકાત બદલ પીએમ નરેન્દ્રભાઇ મોદીના વખાણ કર્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે તેનાથી કોરોના યોદ્ઘાઓનું મનોબળ વધશે.

આનંદ શર્માએ રવિવારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો આ પ્રવાસ ભારતીય વૈજ્ઞાનિકો માટે ઉત્સાહવર્ધક હતો અને આગલી હરોળના કોરોના યોદ્ઘાઓ તેનાથી પ્રોત્સાહિત થશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીનો પ્રવાસ ભારતીય વૈજ્ઞાનિકો અને કોવિડ-૧૯ માટે રસી બનાવવા માટેના તેમના કામની ઓળખ છે. શર્માનું આ નિવેદન એટલા માટે પણ ચોંકાવનારું છે કારણ કે પાર્ટી પ્રધાનમંત્રીના પ્રવાસ પર સવાલ ઉઠાવી ચૂકી છે.

દિગ્ગજ કોંગ્રેસી નેતા આનંદ શર્માએ ટ્વીટ કરીને કહ્યું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો સીરમ ઈન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાનો પ્રવાસ ભારતીય વૈજ્ઞનિકો અને કોવિડ-૧૯ માટે રસી તૈયાર કરવાના તેમના કામની ઓળખ છે. તે આગલી હરોળના કોરોના યોદ્ઘાઓનું મનોબળ વધારશે અને રાષ્ટ્રને આશ્વસ્ત કરશે.' તેમણે વધુમાં કહ્યું કે આ એવી સંસ્થાઓનું પણ સન્માન છે જેમને ભારતે અનેક દાયકાઓમાં તૈયાર કરી છે, જેમાં ભારતને દુનિયાના સૌથી મોટા રસી નિર્માતા બનાવવાની વિશેષજ્ઞતાઓ અને ક્ષમતા રહેલી છે.

અત્રે જણાવવાનું કે આનંદ શર્મા પાર્ટીના પ્રવકતા છે અને કોંગ્રેસના એ ૨૩ નેતાઓના સમૂહમાં સામેલ છે જેમણે પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાની માગણી કરી હતી. આ અગાઉ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ પર સવાલ ઉઠાવ્યા હતા. હવે શર્માએ પીએમ મોદીના વખાણ કરીને સ્પષ્ટ કરી દીધુ છે કે આ મામલે તેમનું સ્ટેન્ડ પાર્ટી કરતા બિલકુલ અલગ છે.

નોંધનીય છે કે પીએમ નરેન્દ્રભાઇ મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત લઈને કોરોના વાયરસની રસીના વિકાસ અને નિર્માણ પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.

(3:44 pm IST)