શ્રીરામનુ સ્મરણ સત્ય, ગાયન એ પ્રેમ અને કથા સાંભળવી એ કોઇની કરૂણાઃ પૂ. મોરારીબાપુ
ગોકુલ-મથુરાના રમણરેતીમાં આયોજીત 'માનસ પ્રેમ સુત્ર-૩' ઓનલાઇન શ્રીરામકથાનો વિરામ
રાજકોટ તા. ૩૦ :.. પૂ. મોરારીબાપુના વ્યાસાસને ગોકુલ-મથુરાના રમણરેતી ખાતે આયોજીત ઓનલાઇન શ્રીરામ કથા 'માનસ પ્રેમ સુત્ર-૩' એ કાલે વિરામ લીધો છે. પૂ. મોરારીબાપુએ સત્ય-પ્રેમ-કરૂણા વિશે ગઇકલે વાત કરી હતી.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહયુ હતું કે, સંતોના અનેક ભાવ છે. ધનુષ્ય મધ્યમાંથી તુટયું એટલે ? સવારે નહિ સાંજે નહીં બપોરે તુટયું. પરશુરામથી નહી, બલરામથી નહીં પણ વચ્ચેના રામ દ્વારા તુટયું - સોમ, મંગળ, બુધ નહીં શુક્ર, શનિ, રવિ પણ નહીં પણ વચ્ચેનો વાર ગુરૂવાર એ ગુરૂકૃપાથી તુટયું આદિ આદિએ પછી પુર્ણ પ્રેમરસ વહયો બધા જ પ્રસંગો સતત ચાલતી અશ્રુધારાઓ વચ્ચે બાપુ વર્ણવતા રહ્યા અને કથા ભાવમાં ડૂબવાને કારણે બાપુનું વિમાન નીકળી ગયંુ. સમય કરતા વધારે અઢી કલાક સુધી કથા સતત વહેતી પ્રેમાશ્રુધારામાં વહેતી રહી.
બાપુએ જણાવ્યંુ કે, રામનું સ્મરણ સત્ય છે. ગાયનએ પ્રેમ છે અને કથા સાંભળવી એ કોઇની કરૂણા છે.
આ માનસ જ મારા માટે માળા છે, માનસ જ મંત્ર છે, માનસ જ મારૂતિ છે, માનસ જ મુરતિ છે અને માનસ જ તમારા મોરારીબાપુ માટે મારગ છે.
પૂ. મોરારીબાપુએ કહયું કે, વ્યાપક કયાંય જઇ શકે જ નહીં જેમ કૃષ્ણ રમણરેતીથી ગોકુળથી કયાંય ગયો નથી એમ પંચવટીથી રામ ગયાજ નથી એ ભાવ આજે પણ મહાત્માઓ અનુભવે છે. આંશુ જ પ્રેમસુત્રનું ભાષ્ય છે. એ આંસુ રમણવિહારી પ્રસાદરૂપે આપે એટલું જ માંગીએ.