મોદીના શાસનમાં ભારતમાં લોકશાહીનું પતન : એક પક્ષનું શાસન હોય તેવા દેશમાં ફેરવી રહ્યા છે
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મેગેઝિન 'ધ ઈકોનોમિસ્ટ'ના નવા અંકમાં સરકારની ટિક્કા
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મેગેઝિન 'ધ ઈકોનોમિસ્ટ'ના નવા અંકમાં મોદીના શાસનમાં ભારતમાં લોકશાહીનું પતન થઈ રહ્યું હોવાની ટીકા કરાઈ છે. ટ્રાન્સપેરન્સી ઈન્ટરનેશનલે ભારત એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશ હોવાનો રીપોર્ટ આપ્યો તેના બીજા દિવસે જ પ્રસિધ્ધ થયેલા આ લેખના કારણે મોદી સરકાર ચિંતામાં છે. 'ધ ઈકોનોમિસ્ટ'ના લેખમાં મોદી ભારતને એક પક્ષનું શાસન હોય તેવા દેશમાં ફેરવી રહ્યા છે એવી ટીકા પણ કરાઈ છે.
મોદી દેશના અર્થતંત્રમાં તેજી લાવવા વિદેશી રોકાણ આકર્ષવા મથી રહ્યા છે ત્યારે જ ભારત ભ્રષ્ટાચારમાં અગ્રેસર છે અને લોકશાહી ખતરામાં છે એ પ્રકારની વાતોથી દેશની ઈમેજ બગડે જ. તેના કારણે વિદેશી રોકાણ પર અસર પડશે એવી સરકારને ચિંતા છે.
મોદીની ચિતાનું બીજું કારણ જો બિડેન પણ છે. બિડેન મોદી સરકારની નીતિઓના ટીકાકાર છે. મોદીના શાસનમાં માનવાધિકાર ભંગ વધ્યો છે એવું બિડેન વારંવાર કહી ચૂક્યા છે. ભારતમાં લોકશાહી ખતરામાં છે એ પ્રકારના અહેવાલોનો ઉપયોગ બિડેન મોદી સરકાર પર દબાણ લાવવા કરી શકે છે.