રાજકોટમાં આજે ૯ મોત : ૩પ કેસ રિકવરી રેટ ૯ર% સુધી પહોંચવાની તૈયારી
રાજકોટમાં કોરોના કેસ ઓછા થવાનું નામ નથી લેતા... મૃત્યુઆંક વધતા ફફડાટ : શહેરના કુલ કેસનો આંક ૧૦૮૬૭ થયો : ૯૯૪૧ દર્દી સાજા થઇ ગયા : હોસ્પિટલમાં ૧૯૯૧ બેડ ખાલી : ગઇકાલે ૮૦ને રજા અપાઇ
રાજકોટ, તા.૩૦ : દિવાળી બાદથી શહેરમાં એક પછી એક કોરોના કેસ વધી રહ્યા છે. સાથો સાથ મૃત્યુઆંક પણ વધતા ફફડાટ ફેલાયો છે. જોકે સામે રિકવરી રેટ ૯ર ટકા સુધી પહોંચવા આવ્યો છે. આજે સવારે ૮ વાગ્યા સુધીમાં કુલ ૯ મોત નોંધાયા છે. જયારે બપોરે ૧ર વાગ્યા સુધીમાં નવા ૩પ કેસ નોંધાયા છે. સવારે જીલ્લા આરોગ્ય તંત્રની સત્તાવાર યાદીમાં જાહેર કર્યા મુજબ ગઇકાલે સવારે ૯થી આજે તા.૩૦ના સવારે ૮ વાગ્યા સુધી એમ છેલ્લા ર૪ કલાકમાં શહેર જીલ્લામાં કોવિડ તથા નો કોવિડ ૯ જેટલા વ્યકિતઓના મૃત્યુ નોંધાયા છે. જયારે ગઇકાલે થયેલ ૬ મોત પૈકી માત્ર ૧ દર્દીનું મોત જ કોરોનાથી થયાનું સરકારની કોવિડ ડેથ કમીટીએ જાહેર કર્યું છે.
દરમિયાન મ.ન.પા.ના આરોગ્ય વિભાગે આજે બપોરે ૧ર વાગ્યા સુધીમાં ૩પ નવા પોઝીટીવ કેસ આવ્યાનું જણાવ્યું હતું. આ સાથે શહેરમાં કુલ ૧૦૮પ૭ કેસ થયા છે. તેની સામે ૯૯૪૧ લોકો સાજા થયા છે તેની રિવકરી રેટ ૯૧.૮પ ટકા સુધી પહોંચ્યો છે.
જયારે આજ સુધીમાં કુલ ૪૩,પરર૪ લોકોના ટેસ્ટ થયા છે અને પોઝીટીવીટી રેટ ર.૪૮ ટકા સુધી યથાવત હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. આજની સ્થિતિએ શહેર-જીલ્લાની કોવિડ હોસ્પિટલોમાં ૧૯પ૧ બેડ ખાલી છે.
- રાજકોટમાં ૬૪ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અને ગ્રામ્યમાં ર૩૩ વિસ્તાર સંક્રમિત
રાજકોટ : જીલ્લા આરોગ્ય સમિતિના જણાવ્યા મુજબ આજે રાજકોટમાં ૬૪ કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે. જેમાં શાસ્ત્રીનગર નાના મોવા મેઇન રોડ, ચંદ્રપાર્ક, બિગ બઝાર પાસે, હસનવાડી, ભકિતનગર સર્કલ પાસે, નવરંગ પાર્ક, કોઠારીયા મેઇન રોડ, યશ એપાર્ટમેન્ટ, દિવાનપરા, જયરાજ પ્લોટ, પેલેસ રોડ, ભરતવન સોસાયટી, કોઠારીયા રોડ, કલ્યાણ પાર્ક, રેસકોર્સ રીંગ રોડ, સદ્ગુરૂનગર કુવાડવા રોડ વિગેરે.