મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

તારામાં ભાઈ દેખાય છે એટલે સંબંધ નથી બનાવી શકતી

પતિ ધારે તો બીજા લગ્ન ભલે કરી લે, પણ એ ઘર છોડીને જશે નહીં. ભોપાલના પતિ-પત્નીનો વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો

ભોપાલ,તા. ૩૦: ભોપાલમાં એક વિચિત્ર કેસ કોર્ટ સમક્ષ આવ્યો હતો. પત્નીએ કહ્યું હતું કે તેના પતિમાં તેને ભાઈની ઝલક દેખાય છે એટલે તે શારીરિક સંબંધ બનાવી શકતી નથી. પતિ ધારે તો બીજાં લગ્ન ભલે કરી લે, પણ એ ઘર છોડીને જશે નહીં. ભોપાલના પતિ-પત્નીનો વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં એક મહિલાએ કોર્ટમાં અરજી કરી હતી કે તેના પુત્ર અને વહુને છૂટાછેડા આપવામાં આવે. એ પછી જયારે બંને પક્ષનું અલગ અલગ કાઉન્સેલિંગ કરાયું એમાં પત્નીએ કહ્યું હતું કે તેને એના પતિમાં ભાઈની ઝલક દેખાય છે.

સાસુ સાથે તેને મા જેવી ફીલિંગ આવે છે. એના કારણે તે પતિ સાથે શારીરિક સંબંધ બનાવી શકતી નથી. પત્નીએ કહ્યું હતું કે પતિ ધારે તો ભલે બીજી કોઈ સારી છોકરી શોધીને લગ્ન કરી લે, પરંતુ એ ઘર છોડીને જશે નહીં. તેને આ ઘરમાં જ રહેવું ગમે છે. પતિએ કહ્યું હતું કે લગ્નના દોઢ વર્ષ થવા છતાં તેને પત્ની સાથે કોઈ જ શારીરિક સંબંધો બન્યા નથી. પત્ની પતિને હંમેશા દૂર જ રાખે છે. પત્ની એક જ વાત કરે છે એ તેને ભાઈ જેવો ગણે છે.

પત્નીમાં સુધારો આવશે એ આશાએ પતિએ દોઢ વર્ષ કાઢી નાખ્યું હતું. પત્નીને મનોવિજ્ઞાાનિકને પણ બતાવ્યું હતું, પરંતુ એની માનસિકતામાં કોઈ જ ફરક પડયો નહીં. પતિએ ડિવોર્સ મેળવવાની વિનંતી કરી હતી. કુટુંબ ન્યાયાલય ભોપાલના કાઉન્સેલરે કહ્યું હતું કે હજુ એક વખત બંનેનું અલગ અલગ કાઉન્સેલિંગ કરીને સમજાવાશે. જો પત્નીની માનસિકતામાં ફરક પડશે તો લગ્નજીવન ટકી જશે, નહીંતર ડિવોર્સ આપ્યા વગર છૂટકો રહેશે નહીં. ભોપાલના આ કિસ્સાની ભારે ચર્ચા જામી છે.

(9:39 am IST)