ખેડુત આંદોલનને લઈને જેપી નડ્ડાના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરિય બેઠક: ગૃહમંત્રી, રક્ષામંત્રી અને કૃષિમંત્રી સામેલ
નવી દિલ્હી નવા કૃષિ કાયદાને લઈને ખેડુતોના આંદોલનને જોતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરિય મીટિંગ મળી છે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમાર સામેલ થયાં.
કૃષિ કાનુનને લઈને દિલ્હીના સિમાડે છેલ્લા 4 દિવસથી પ્રદર્શન કરી રહેલા ખેડુત સંગઠનોએ પ્રદર્શનકારીઓને ઉત્તર દિલ્હીના બુરાડી સ્થિત મેદાનમાં જવા માટેની વાતચીત શરૂ કરવાના કેન્દ્રના પ્રસ્તાવનો અસ્વિકાર કરી દીધો છે.
તેમણે કહ્યું કે, તેઓ પોતાનું પ્રદર્શન રોકશે નહી અને કૃષિ કાયદા સામે વિરોધ શરૂ રાખશે. લગભગ 30 જેટલા ખેડુત સંગઠનોની રવિવારે મળેલી બેઠક બાદ તેમના પ્રતિનિધિઓએ જણાવ્યું કે તે બુરાડીના મેદાનમાં નહી જશે કારણ કે તે ખુલ્લી જેલ છે. તેઓ વાતચીત માટે કોઈ શરત નહી સ્વિકારે અને દિલ્હીમાં પ્રવેશતા તમામ પાંચ રસ્તાઓ જામ કરશે.
કૃષિ કાનુન સામે પ્રદર્શન કરી રહેલા ખેડુતોના ધરણાનો રવિવારે ચોથો દિવસ છે. ખેડુત દિલ્હની સરહદે 26 નવેમ્બરથી પ્રદર્શન કરી રહી છે. ખેડુત દિલ્હી-હરિયાણાંની સરહદે સિંધુ બોર્ડર પર એકઠાં થયાં છે. થોડાં ખેડુતો દિલ્હીના નિરંકારી સમાગમ મેદાનમાં હાજર છે. શનિવારે ખેડુતોએ નક્કી કર્યું છે કે તેઓ હજુ સિંધુ બોર્ડર પર જ પ્રદર્શન કરશે અને બુરાડીના નિરંકારી સમાગમ મેદાનમાં નહી જાય, આ સિવાય ખેડુતોએ નક્કી કર્યું છે કે તેઓ દરરોજ 11 વાગ્યે મીટિંગ કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે