જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યોના લોકોને જમીન ખરીદવાના હક્કનો વિરોધ કેમ?
કાશ્મીરી પંડિતોના સંગઠને પણ નવા સંશોધનની ટીકા કરી : પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં બહારનું કોઈ જમીન નથી ખરીદી શકતું
શ્રીનગર: ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર બંધારણની કલમ 370ની જોગવાઈઓને નાબૂદ કરીને કેન્દ્ર સરકારે તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરી દીધી હતી. જે બાદ તાજેતરમાં કેન્દ્ર સરકારે હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બહારના એટલે કે દેશના અન્ય રાજ્યોના લોકોને જમીન ખરીદવાનો અધિકાર આપી દીધો છે. જો કે કેન્દ્ર સરકારના આ પગલાનો રાજ્યની મોટાભાગની રાજકીય પાર્ટીઓ અને સંગઠનો વિરોધ કરી રહ્યાં છે.
નેશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે,દેશમાં ખાસ કરીને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં જમીન માલિકીના હક્ક સબંધિત વિશેષ કાયદો છે. જ્યાં અન્ય રાજ્યોના લોકો જમીન નથી ખરીદી શકતા. તેમણે પ્રશ્ન પૂછ્યો કે, કેમ જમ્મુ-કાશ્મીરમાં આ પ્રકારનો કાયદો ના હોઈ શકે? હિમાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય અને નાગાલેન્ડ જેવા અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારતીયો આજે પણ જમીન નથી ખરીદી શકતાં. જ્યારે અમે આવા કાયદાની વાત કરીએ છીએ, તો દેશદ્રોહી થઈ જઈએ છીએ. જ્યારે અન્ય રાજ્યોથી (વિશેષ જોગવાઈઓ) માટ અવાજ બુલંદ થાય છે, તે મીડિયામાં કેમ તેની ચર્ચા નથી થતી? અમારી લડાઈ અમારી ઓળખ અને અમારા ભવિષ્યની સુરક્ષા માટેની છે. ભાજપના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરની મુખ્ય પાર્ટીઓને હાંસિયામાં ધકેલવાનો પ્રયત્ન કરી રહી છે.
ઓમરે પ્રશ્ન પૂછ્યો હતો કે, દિલ્હીની કેન્દ્ર સરકાર શું ઈચ્છે છે? શું તેઓ અમને મુખ્યધારાથી હટાવવા માંગે છે? અમે અમારી ઓળખ અને જમીનની રક્ષા માટે લડાઈ લડી રહ્યાં છીએ. ગત વર્ષે લોકસભા ચૂંટણી બાદ રાજકીય પાર્ટીઓને આશા હતી કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થશે, પરંતુ આજે અમે અમારી ઓળખ માટે લડી રહ્યાં છીએ.
નેશનલ કૉન્ફરન્સ અને PDP સહિત જમ્મુ-કાશ્મીરના અનેક રાજનીતિક પાર્ટીઓએ આ મામલે તમામ મોરચે લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર પેન્થર્સ પાર્ટી, કોંગ્રેસ અને એક કાશ્મીરી પંડિતોના સંગઠન જમ્મુ-પશ્ચિમ વેસ્ટ એસેમ્બલી મૂવમેન્ટે પણ આ સંશોધનને કાશ્મીરી પંડિત સમાજ માટે મૃત્યુઘંટ સમાન ગણાવી છે. તેમનું કહેવું છે કે, જ્યાં અગાઉની સરકારોએ અમારી જમીન પરત કરવા માટે કોઈ યોગ્ય પગલા નથી ભર્યા, ત્યાં આ ભાજપ શાસિત સરકારે એવું નક્કી કર્યું છે કે, અમે કાયમ શરણાર્થી જ રહીંએ.
કેન્દ્ર સરકારે ગત 27 ઓક્ટોબરે કાયદામાં સંશોધન કરીને દેશભરના લોકો માટે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવાનો માર્ગ મોકળો કરી દીધો છે. ગત વર્ષે ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 નાબૂદ કર્યાં બાદ મોટુ પગલુ ભરતા કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના જમીન માલિકીના અધિકાર સબંધિત કાયદામાં પરિવર્તન કર્યું છે. જે બાદ દેશભરમાંથી કોઈ પણ અહીં જમીન ખરીદી શકે છે.