હાથરસ ગેંગરેપ કેસને ગંભીરતાથી લેતા પીએમ મોદીઃ મુખ્યમંત્રી યોગીને ફોન કરી દોષિતો વિરૂદ્ધ કડક પગલા લેવા જણાવ્યુઃ 3 સભ્યોવાળી સીટની રચના કરી 7 દિવસમાં રિપોર્ટ તૈયાર કરાશે
નવી દિલ્હી: હેવાનોની હેવાનિયતનો ભોગ બનેલી હાથરસની 19 વર્ષની પીડિતાનું મંગળવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું. આ ઘટનાને પીએમ નરેન્દ્ર મોદીએ પણ ખુબ ગંભીરતાથી લીધી છે. તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફોન કર્યો અને આ મામલે દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ બાજુ યોગી આદિત્યનાથે ગેંગરેપ અને મર્ડર કેસની તપાસ માટે 3 સભ્યોવાળી SITની રચના કરી છે. આ SIT સમગ્ર તપાસ કરીને 7 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે.
પીએમ મોદીએ સીએમ યોગીને કર્યો ફોન
હેવાનિયતનો ભોગ બનેલી યુવતીનું મૃત્યુ થતા ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. એમા પણ રાતોરાત પરિવારની હાજરી વગર જ અંતિમ સંસ્કાર કરી નાખતા પોલીસ પર અનેક સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલો પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો અને તેમણે તેને ગંભીરતાથી લીધો. સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે પીએમ મોદીએ હાથરસની ઘટના પર વાત કરી છે અને કહ્યું કે દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
SITની રચના
યોગી આદિત્યનાથે ગેંગરેપ અને મર્ડર કેસની તપાસ માટે 3 સભ્યોવાળી SITની રચના કરી છે. આ SIT સમગ્ર તપાસ કરીને 7 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે. મળતી માહિતી મુજબ આ SITના અધ્યક્ષ સચિવ ગૃહ ભગવાન સ્વરૂપને બનાવવામાં આવ્યા છે. જ્યારે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ચંદ્રપ્રકાશ અને આગ્રમાં પીએસીના સેનાનાયક પૂનમ તેના સભ્ય હશે. SIT પીડિતાના પરિજનોને મળીને તેમના નિવેદનો લેશે અને આ સાથે જ મામલા સંબંધિત પોલીસકર્મીઓના નિવેદનો નોધી, ઘટનાનું કારણ અને કાર્યવાહીનું વિવરણ ભેગું કરીને શાસનને પોતાનો રિપોર્ટ સોંપશે.