વિશ્વમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર અર્થવ્યવસ્થાઓમાં ભારત
સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રોત્સાહન પેકેજ અપુરતું: અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી
નવી દિલ્હી તા. ૩૦: નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ ગઇકાલે કહ્યું કે ભારતની અર્થ વ્યવસ્થા દુનિયાની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે એમ પણ કહ્યું કે અર્થ વ્યવસ્થાની સમસ્યાઓ સામે લડવા માટેનું સરકારનું આર્થિક પેકેજ અપુરતું હતું. જો કે બેનર્જીએ કહ્યું કે દેશના આર્થિક વૃદ્ધિ દરમાં જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસીકમાં સુધારો જોવા મળશે.
અર્થશાસ્ત્રીએ ઓનલાઇન કાર્યક્રમમાં કહ્યું કે દેશનો આર્થિક વૃધ્ધિ દર કોરોના મહામારી સંકટ પહેલા જ ધીમો પડી રહ્યો હતો. તેમણે કહ્યું, ''ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. દ ેશની અર્થવ્યવસ્થામાં ચાલુ ત્રિમાસિકમાં પુનરોધ્ધાર જોવા મળશે.''
બેનર્જીએ કહ્યું કે ર૦ર૧માં આર્થિક વૃધ્ધિ દર આ વર્ષ કરતા સારો રહેશે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે ભારતનું આર્થિક પેકેજ પુરતું હતું. ભારતનું આર્થિક પ્રોત્સાહન સીમિત હતું. પ્રોત્સાહનના ઉપાયોથી ઓછી આવકવાળા વર્ગના લોકોની ખપત પર ખર્ચમાં વધારો ન થયો કેમકે સરકાર આ લોકોના હાથ સુધી પૈસા પહોંચાડવા ઇચ્છુક નહોતી.
મુદ્રાસ્ફિતી બાબતે બેનર્જીએ કહ્યું કે ભારતની વૃધ્ધિ રણનીતિ બંધ અર્થ વ્યવસ્થાવાળી રહી છે. જેમાં સરકાર વધુ માંગ પેદા કરે છે જેથી ઉંચી વૃધ્ધિની સાથે મુદ્રાસ્ફિતી પણ વધે છે. તેમણે કહ્યું કે ભારતમાં ર૦ વર્ષ સુધી ઉચ્ચ મુદ્રાસ્ફિતી અને ઉચ્ચ વૃધ્ધિ દરની સ્થિતિ રહી. દેશને છેલ્લા ર૦ વર્ષમાં સ્થિર ઉચ્ચ મુદ્રાસ્ફિતીથી ઘણો લાભ થયો છે.