મુખ્ય સમાચાર
News of Monday, 30th August 2021

દક્ષિણ મુંબઈમાં સાંજે અચાનક આકાશમાંથી મોટા અવાજો આવ્યા : લોકોએ નિહાળ્યું તો ત્રણ સુખોઈ ફાઈટર જેટ હતા

વિમાનોએ ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજાનારા કાર્યક્રમની તૈયારી માટે ઉડાન ભરી હતી

મુંબઈ :  દક્ષિણ મુંબઈમાં સોમવારે સાંજે અચાનક આકાશમાંથી મોટા અવાજો આવવા લાગ્યા હતા . થોડા સમયમાં આ અવાજ એટલો ઉગ્રતાથી સાંભળવામાં આવ્યો કે મુંબઈગરો સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા. થોડા સમય માટે કોઈ સમજી શક્યું નહીં કે શું થઈ રહ્યું છે.

લોકો આકાશ તરફ જોઈ રહ્યા હતા, ત્યારે ત્રણ ભારે વિમાનોને પસાર થતા જોયા. આ ત્રણ સુખોઈ ફાઈટર જેટ  હતા.

જે મુંબઈના આકાશમાં ઉડી રહ્યા હતા. થોડા સમય માટે આ ઘટનાને કારણે લોકોના હૃદયમાં ભય વધી ગયો. પરંતુ થોડા સમય પછી આનું કારણ સામે આવ્યું ત્યારે હાશકારો અનુભવાયો.

1 સપ્ટેમ્બર (બુધવાર)ના રોજ આ વિમાનોએ ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજાનારા કાર્યક્રમની તૈયારી માટે ઉડાન ભરી હતી. ભારતે 1971નું યુદ્ધ જીત્યું હતું. આ નિર્ણાયક યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાવ્યું હતું. આ યુદ્ધમાં જીતની સુવર્ણ વિજય જ્યોત 1 સપ્ટેમ્બરના રોજ મુંબઈ પહોંચી રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ વિજય જ્યોતિનો સ્વીકાર કરશે. તે ગૌરવપૂર્ણ ક્ષણોની સ્મૃતિ તરીકે બુધવારે સાંજે 5.30 કલાકે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ વિશેષ કાર્યક્રમમાં વાયુસેનાના હેલિકોપ્ટર સાથે સુખોઈ વિમાનોનું ફ્લાઈ પાસ્ટ બનવાનું છે. આ જ કાર્યક્રમ માટે સોમાવરે એક્સરસાઈઝ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 1971ના યુદ્ધના 5 નાયકોને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપવામાં આવશે અને તેમના ગૌરવને યાદ કરવામાં આવશે. ગૌરવના આ તહેવારની શરૂઆત પહેલા સુખોઈ વિમાન ઉડતી સલામી આપશે.

ફ્લાઈટમાં આ સુખોઈ વિમાનોનો જોરદાર અવાજ અને તેમની હિલચાલમાં વીજળીની ચમક જોઈને મુંબઈના લોકોના હૃદય તેમના દેશના બહાદુરો માટે પ્રેમ, આદર અને ગૌરવથી ભરાઈ જશે. સોમવારે સાંજે આ ત્રણેય સુખોઈ વિમાન પૂણે નજીકના લોહગાંવથી ઉડાન ભરીને મુંબઈમાં પ્રવેશ્યા. તેમના મોટા અવાજો સાંભળીને મરીન ડ્રાઈવ, આઝાદ મેદાન, મુંબઈ સીએસટી, ચર્ચગેટ વિસ્તારના લોકોમાં પહેલાં તો ગભરાહટ ફેલાયો હતો, બાદમાં જ્યારે લોકોને તેના વિશે ખબર પડી ત્યારે હાશકારો અનુભવ્યો. તેમજ લોકો બુધવારે યોજાનારા આ કાર્યક્રમ વિશે જાણવા માટે વધુ આતુર પણ દેખાયા.

(11:53 pm IST)