મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

મહારાષ્‍ટ્રમાં હવે ભાજપનું રાજઃ ફડણવીસને સિંહાસન

મહારાષ્‍ટ્રમાં નવી સરકાર રચવાના ચક્રો ગતિમાનઃ ભાજપ-શિવસેનાના શિંદે જુથની બેઠકોઃ ફડણવીસ નેતાપદે ચૂંટાશે : શિંદે અથવા તેઓ જે સુચવે તે બનશે નાયબ મુખ્‍યમંત્રીઃ આજે રાત સુધીમાં અથવા કાલે શપથવિધિ યોજાશેઃ હવે વિધાનસભાના ખાસ સત્રની જરૂર નહી

મુંબઇ, તા.૩૦: શિવસેનાના સુપ્રિમો ઉધ્‍ધવ ઠાકરેએ ગઇકાલે રાત્રે મુખ્‍યમંત્રીપદેથી રાજુનામુ આપ્‍યા બાદ રાજયમાં નવી સરકારની રચનાના ચક્રો ગતિમાન થયા છે. રાજયમાં ૩૧ મહિના બાદ ફરીથી ભાજપનું શાસન આવી રહ્યુ છે અને નવી સરકારના સુકાની રહેશે દેવેન્‍દ્ર ફડણવીસ. ભાજપના નેતૃત્‍વ હેઠળની સરકારમાં શિવસેનાના બાગી નેતાઓ સામેલ થશે એટલુ જ નહિ શિંદે અથવા તેઓ જે નામ સૂચવે તે નાયબ મુખ્‍યમંત્રી પણ બનશે. આજે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાઇ રહી છે જેમાં દેવેન્‍દ્ર ફડણવીસને નેતાપદે ચૂંટણી કાઢવામા આવી રહ્યા છે તો  બીજી તરફ ગોવામાં શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ પણ બેઠક યોજી હોવાનુ જાણવા મળે છે. ભાજપના વડપણ હેઠળની સરકારનો શપથવિધિ આજે રાત સુધીમાં અથવા તો આવતીકાલે યોજવાની તૈયારી થઇ રહી છે.

મહારાષ્‍ટ્ર વિધાનસભા સચિવ રાજેન્‍દ્ર ભાગવતે રાજ્‍યના તમામ ધારાસભ્‍યોને જણાવ્‍યું છે કે રાજ્‍યપાલના આદેશ મુજબ હવે ફ્‌લોર ટેસ્‍ટની જરૂર નથી. તેથી આજનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે નહીં. ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે મહારાષ્‍ટ્રના સીએમ અને એમએલસી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

ઉદ્ધવ ઠાકરેના નાટકીય રાજીનામાને પગલે મહારાષ્‍ટ્ર ભાજપના નેતા દેવેન્‍દ્ર ફડણવીસ ફરીથી રાજ્‍યના મુખ્‍ય પ્રધાન બનવાની સૂચના છે. તેમણે બુધવારે કહ્યું હતું કે ભવિષ્‍યની કાર્યવાહી નક્કી કરવામાં આવશે અને ગુરુવારે તેની જાહેરાત કરવામાં આવશે. ફડણવીસ તાજ હોટલમાં ધારાસભ્‍યોની બેઠક માટે હતા. અહીં આગામી મુખ્‍યમંત્રી તરીકે ફડણવીસના સમર્થનમાં સૂત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા.

મહારાષ્‍ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્‍ચે બુધવારે સાંજે ઉદ્ધવ ઠાકરેના મુખ્‍યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત થતાં જ ભારતીય જનતા પાર્ટીમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. મુંબઈની તાજ હોટલમાં ભાજપના નેતાઓ નારા લગાવતા, મીઠાઈઓ વહેંચતા જોવા મળ્‍યા હતા. તેના કેન્‍દ્રમાં દેવેન્‍દ્ર ફડણવીસ હતા, જેઓ મંગળવારે સાંજે રાજ્‍યપાલને મળ્‍યા હતા. બુધવારે સાંજે, ઠાકરેએ મહારાષ્‍ટ્રમાં ફ્‌લોર ટેસ્‍ટને રોકવા માટે સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યા પછી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. રાજ્‍યપાલે ગુરુવારે સવારે ૧૧ વાગ્‍યે મહારાષ્‍ટ્રમાં ફ્‌લોર ટેસ્‍ટનો આદેશ આપ્‍યો હતો, જેની સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ઉદ્ધવ ઠાકરેની ટીમ, જે માત્ર ૧૫ ધારાસભ્‍યો સુધી ઘટી ગઈ છે, તેણે સુપ્રીમ કોર્ટની અરજીમાં માંગ કરી હતી કે ગુરુવારે બોલાવવામાં આવેલ ફ્‌લોર ટેસ્‍ટ બંધ કરવામાં આવે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર હવે ઉદ્ધવના રાજીનામા બાદ ભાજપના દેવેન્‍દ્ર ફડણવીસ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. આ રાજકીય સંકટની શરૂઆત કરનાર શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે ડેપ્‍યુટી સીએમ બની શકે છે.

એવી ચર્ચા પહેલાથી જ ચાલી રહી હતી કે જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય શિવસેનાની તરફેણમાં નહીં જાય તો ઉદ્ધવ ઠાકરે મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે. બુધવારે સાંજે યોજાયેલી મહારાષ્‍ટ્ર કેબિનેટની બેઠકમાં અટકળોને વેગ મળ્‍યો હતો, જ્‍યાં સરકારે ત્રણ શહેરોના નામ બદલ્‍યા હતા અને ઠાકરેએ તેમના સહકાર બદલ મંત્રીઓનો ઔપચારિક રીતે આભાર માન્‍યો હતો.

રાજીનામાની જાહેરાત કરતા ઠાકરેએ ફેસબુક પર લાઈવ આવીને કહ્યું, ‘જે લોકોને અમે ઉભા કર્યા છે અને બનાવ્‍યા છે, તેમણે અમારી સાથે છેતરપિંડી કરી છે. હું અનપેક્ષિત રીતે સત્તામાં આવ્‍યો છું અને તે રીતે હું બહાર નીકળી રહ્યો છું. શિવસેના એક પરિવાર છે, તેને તૂટવા નહીં દે. હું કયાંય જવાનો નથી.'

(11:28 am IST)