છેલ્લા ૨૪ કલાકમાં ૪૫,૯૫૧ કેસ નોંધાયાઃ ૮૧૭ લોકોના મોત
દેશમાં કોરોનાના કેસમાં ફરી આવ્યો ઉછાળો
નવી દિલ્હી, તા.૩૦: ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત દ્યટી રહ્યા છે. જોકે આજે ગઈકાલની સરખામણીએ થોડા વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૫,૯૫૧ કેસ નોંધાયા હતા અને ૮૧૭ લોકોના મોત થયા હતા. જયારે ૬૦૭૨૯ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે દેશમાં ૩૭,૫૬૬ નવા કોરોનાના કેસ આવ્યા છે અને ૯૦૭ લોકોના મોત થયા છે, જયારે ૫૬૯૯૪ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. દેશમાં સતત ૪૮માં દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. ૨૯ જૂન સુધી દેશભરમાં ૩૩ કરોડ ૨૮ લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૧૬ લાખ ૨૧ હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૪૧ કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે ૨૧ લાખથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે ૩ ટકા કરતાં વધારે હતો.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
કુલ કોરોના કેસ - ત્રણ કરોડ ૦૩ લાખ ૬૨ હજાર ૮૪૮, કુલ ડિસ્ચાર્જ - બે કરોડ ૯૪ લાખ ૨૭ હજાર ૩૩૦, કુલ એકિટવ કેસઃ ૫ લાખ ૩૭ હજાર ૦૬૪, કુલ મોતઃ ૩ લાખ ૯૮ હજાર ૪૫૪ છે.
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર ૧.૨૩ ટકા છે જયારે રિકવરી રેટ અંદાજે ૯૬.૯૨ ટકા છે. એકિટવ કેસ દ્યટીને ૩ ટકાથી ઓછો થયો છે. કોરોના એકિટવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જયારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.