શરાબીને દારૂ ન મળતા સેનિટાઈઝર પીતા મોત
દારૂ જ દારૂડિયાને પી જશે
નાગપુર, તા. ૩૦ : કોરોના મહામારીના સમયમાં જ્યાં એક તરફ લોકો પોતાના જીવ બચાવવામાં લાગ્યા છે ત્યાં મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. નાગપુરમાં એક વ્યક્તિને દારૂ નહીં મળતા તેણે સેનિટાઈઝર પી લીધું હતું જેને કારણે તેનું મોત નિપજ્યું છે. મૃતક મહાનગરપાલિકામાં કર્મચારી હતો. નાગપુરમાં એવા કેટલાક કેસ સામે આવ્યા છે જ્યાં લોકોએ લોકડાઉનમાં દારૂમાં સેનિટાઈઝર ભેળવીને પીધું છે. લોકોને એ વાતની જાણકારી છે કે સેનિટાઈઝરમાં આલ્કોહોલ હોય છે જેને કારણે લોકો સેનિટાઈઝરનો પણ નશો કરી રહ્યા છે.
નાગપુર મહાનગર પાલિકાના સફાઈ કર્મચારી ૪૫ વર્ષીય ગૌતમ ગોસ્વામી દારૂની જગ્યાએ સેનિટાઈઝરનો નશો કર્યો હતો. તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તેની સારવાર કરીને તેને ઘરે મોકલી દીધો હતો. બે દિવસ બાદ તેની તબિયત ફરીથી લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન ગૌતમનું મોત થઈ ગયું હતું.